મોદીની હત્યાનું કાવત્રું ઘડી રહ્યો હતો અબુ હમઝા

-દિલ્હી પોલીસ પાસે પોપટ બન્યો આતંકવાદી
-મુંબઈ હુમલા વખતે કંટ્રોલરૂમમાં હતો અબુ
દિલ્હી પોલીસ સમક્ષ સૈયદ જબિઉદ્દીન ઉર્ફે અબુ જીંદાલે 26/11ના આતંકવાદી હુમલામાં પોતાની ભૂમિકા સ્વીકારી લીધી છે. તે વધુ એક આતંકવાદી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો. જેથી દિલ્હી પોલીસને તેના ભાવિ આયોજનોમાં રસ છે. દરમિયાન મળતી માહિતી પ્રમાણે, અબુ હમઝા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માંગતો હતો.
અબુના ખૂંખાર મનસૂબા
અબુ હમઝાના ભાવિ આતંકવાદી હુમલા જેટલા જ ભયાનક તેના આતંકવાદી મનસૂબા હતા. બહાર આવી રહેલા અહેવાલો પ્રમાણે, તેણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવત્રું ઘડ્યું હતું. જેના કારણે તે લાઈમ લાઈટમાં આવ્યો હતો. જો કે, તેનું કાવત્રુ પાર પડ્યું ન હતું.
ગુજરાતના હુલ્લડોથી હમઝા ખૂબ જ વ્યથિત હતો. જેના કારણે તેણે સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવું શરૂ કર્યું હતું. અહીં અબુનું 'બ્રેઈન વોશ' કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે સીમીની કટ્ટરવાદી પાંખ 'ઈન્ડિયન મુજાહિદ્દીન'માં જોડાયો હતો. ત્યારબાદ તે લશ્કર-એ-તોઈબાના સંપર્કમાં આવ્યો હતો. અબુ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તોઈબા અને ઈન્ડિયન મુજાહિદ્દીનની વચ્ચે કડીનું કામ કરતો હતો.
વધુ એક 26/11ની ફિરાકમાં હતો અબુ હમઝા
બહાર આવી રહેલા અહેવાલો પ્રમાણે, અબુ હમઝાને સાઉદી અરેબિયામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના બે અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીના એક અધિકારી તેને લેવા માટે સાઉદી અરેબિયા ગયા હતા. આ માટે સાઉદી અરેબિયાની ગુપ્તચર સંસ્થાની મદદ લેવામાં આવી હતી અને ત્યાંની સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.
જો મીડિયામાં આવતા અહેવાલોનો વિશ્વાસ કરવામાં આવે તો લશ્કર-એ-તોઈબાએ જ તેને ફંડ ઊભું કરવા માટે સાઉદી અરેબિયા મોકલ્યો હતો. ઉપરાંત તે નવા આતંકવાદીઓની ભરતી પણ કરનારો હતો. અબુ 26/11 જેવા વધુ એક આતંકવાદી હુમલાના આયોજનની ફિરાકમાં હતો. જે આ વર્ષના અંતભાગમાં કરવામાં આવનારો હતો.
વર્ષ 2009માં પાકિસ્તાનમાં અબુ હમઝાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને વર્ષ 2012માં ભારત પરત લાવવામાં આવ્યો હતો. વચ્ચેની કડીઓને જોડવામાં આવે તો આઈએસઆઈ દ્વારા સાત આતંકવાદીઓને છોડી મુકવામાં આવ્યા હતા. જેમાં હમઝાનો પણ સમાવેશ થાય છે. રોની કાઉન્ટર-ટેરરિઝમ ડિવિઝનના વડા બી. રમને દાવો કર્યો હતો કે, તા. 12મી ફેબ્રુઆરી 2009ના પાકિસ્તાનના ગૃહપ્રધાને હમઝા સહિત છ અન્યોની ધરપકડની જાહેરાત કરી હતી. તેમની ઉપર 26/11ના આતંકવાદી હુમલાનો ખટલો ચાલનારો હતો. રમનના કહેવા પ્રમાણે, દિલ્હી પોલીસ સાઉદી અરેબિયાથી જે હમઝાને લાવી તે અને પાકિસ્તાનમાં પકડવામાં આવેલો હમઝા એક છે કે અલગ-અલગ તે જાણવું રહ્યું. કારણ કે, જો પાકિસ્તાનમાં તેની ઉપર ખટલો ચાલતો હોય તો તે સાઉદી અરેબિયા નાસી છૂટવામાં કેવી રીતે સફળ થયો ?
પાકિસ્તાને આપી સહકારની આપી ખાતરી
અબુ હમઝા ઉર્ફે અબુ જીંદાલની ધરપકડના ગણતરીના કલાકોમાં, તેણે સ્વીકારી લીધું છે કે, મુંબઈ હુમલા વખતે તે પાકિસ્તાનમાં હતો. કંટ્રોલરૂમમાંથી તેણે અને પાંચ અન્ય શખ્સોએ હુમલાનું સંચાલન કર્યું હતું. જેમાં ઝકીરઉર રહેમાન લખવીનો પણ સમાવેશ થાય છે. દરમિયાન પાકિસ્તાનના ઉચ્ચાયુક્તના કહેવા પ્રમાણે, ત્રાસવાદ બંને દેશોની સમસ્યા છે. આથી, સાથે મળીને તેનો મુકાબલો કરવો બંને દેશોના હિતમાં છે.
તપાસમાં ઝંપલાવશે ગુજરાત પોલીસ
દરમિયાન, નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી દ્વારા પણ અબુ હમઝાની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. એનઆઈએ દ્વારા મુંબઈ હુમલાના સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવશે. ઉપરાંત ડેવિડ હેડલી અને લખવીના સંદર્ભમાં પણ તેની પૂછતાછ કરવામાં આવી શકે છે. તપાસ એજન્સીઓને ખાતરી છે કે, હેડલી અંગે કસાબ જેટલું જાણે છે, તેના કરતા વધુ અબુ હમઝા જાણતો હશે. અન્ય રાજ્યોની પોલીસ પણ હમઝાની પૂછપરછ કરવા માંગે છે. બેંગ્લોર ખાતે ઈન્ડિયન ઈનસ્ટિટ્યૂટ ઓફ સાઈન્સ ખાતેના હુમલામાં તેની સંડોવણી બહાર આવી છે. જેથી કર્ણાટક પોલીસ તેની પૂછપરછ કરવા માંગે છે. જ્યારે ગુજરાતના કેટલાક કેસોમાં તે વોન્ટેડ હોવાથી રાજ્યની પોલીસ પણ તેની પૂછપરછ કરવા માંગે છે.
(એજન્સીના ઈનપુટ્સની સાથે)
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







