દરિયાદિલીથી મંત્રી ખુશ
ગ્રામીણ વિકાસમંત્રાલયમાં તાજેતરમાં કેબિનેટમાં ફેરફારથી આવેલા નવા મંત્રીની દરિયાદિલીથી નાના મંત્રીઓ ખુશ થઈ ગયા છે. ખુશીની સ્થિતિ એવી છે કે નાના મંત્રીઓ જાતે જ મંત્રાલયમાં લોકોને આમંત્રિત કરી ત્યાં થઈ રહેલાં પરિવર્તનો જોવાની સલાહ આપે છે. આમ તો આ ખુશીના ઘણા કારણ છે, પરંતુ સૌથી મોટું કારણ મંત્રીઓને કામ મળી ગયું હોવાનું બતાવવામાં આવે છે.
મોટા મંત્રીએ પોતાની ઓફિસમાં કાચના દરવાજા લગાવી પારદિર્શતા લાવ્યા છે તો તેમણે બે જુનિયર બાબુઓને બાદ કરતા પોતાની ઓફિસ સાથે જોડાયેલા તમામ અધિકારીઓને બીજી ઓફિસમાં મોકલી દીધા છે. મજાની વાત એ છે કે તેમના સમયમાં પટાવાળાઓને પણ આરામ થઈ ગયો છે કારણ કે મંત્રીજી પોતે જ ફાઈલ લઈને અધિકારીઓની કેબિનમાં પહોંચી જાય છે.
પોતાની ચિંતા ઓછી, બીજાથી પરેશાની વધારે
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઓપરેશન માટે અમેરિકા જવાનો કાર્યક્રમ બનાવી રહ્યાં હતાં ત્યારે પ્રથમ હરોળના મોટાભાગના નેતાઓની નજર હતી કે તેમની ગેરહાજરીમાં કોને કામ સોંપવામાં આવે છે. સ્પષ્ટ છે કે જેમને કામ મળશે તેમનું કદ મોટું માનવામાં આવે. એ.કે. એન્ટોની, રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સુધી તો વાત ઠીક છે, પરંતુ જનાર્દન દ્વિવેદીનું નામ પણ સામેલ થતાં દિગ્ગી રાજા કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ છે. નિરાશા એ વાતની નથી કે દિગ્વિજયનું નામ શા માટે સામેલ ન કરાયું, પરંતુ તેમને વાંધો એ વાતનો છે કે આ નેતાઓ વચ્ચે પંડિતજીનું નામ કેવી રીતે આવી ગયું. બંને નેતાઓ વચ્ચે પાર્ટીમાં ખેંચતાણ તો ચાલતી જ રહે છે. આ વખતે પાર્ટીના મુખ્ય પ્રવકતા જનાર્દન દ્વિવેદીના હાથમાં બાજી આવી ગઈ.
સંઘના અધિકારી
કર્મચારી બાબતના મંત્રાલયમાં હાલમાં એક નવી કવાયત ચાલી રહી છે. એવા વરિષ્ઠ અધિકારીઓની યાદી તૈયાર થઈ રહી છે કે જે ખુલ્લેઆમ સંઘની પ્રવૃત્તિમાં અને બેઠકોમાં ભાગ લે છે. સંઘ અને ભાજપના મુખ્ય નેતાઓએ મધ્ય પ્રદેશ ભવનના બંધ ખંડમાં નકસલ સમસ્યા અંગે મંથન કર્યું ત્યારે મંત્રાલયની આંખ અચાનક ખૂલી હતી. બેઠકમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મંત્રાલયનું માનવું છે કે અધિકારીઓએ આવી બેઠકોથી દૂર રહેવું જોઈએ.એ વાતનું આશ્ચર્ય નહીં જ થાય કે એવા અધિકારીઓને ઓળખીને તેમના નામની આગળ ભગવા રંગનું નિશાન લગાવી દેવામાં આવશે.
ઓએસડીનો જુગાર
કેન્દ્રીયમંત્રી સાથે હવે કોઈપણ અધિકારી દશ વર્ષની મર્યાદા પૂરી કર્યા પછી નહીં ટકી શકે. કર્મચારી મંત્રાલયે આ મુદ્દે કડક વલણ અખત્યાર કરતાં ઘણા નાનામોટા અધિકારીઓનું માપ નીકળી ગયું. મંત્રાલયે જોયું કે અડધો ડઝનથી વધુ મંત્રીઓ એવા છે કે જેમના ઓએસડી, પીએસ કે પછી એપીએસ એવા અધિકારી છે કે જેમણે નિધૉરીત મુદત ક્યારની પૂરી લીધી છે.
કેટલાક અધિકારીઓ કહેવાતી રીતે તો મંત્રાલયના સંયુક્ત સચિવ છે પણ અનૌપચારિક રીતે તો મંત્રીના પીએસ કે ઓએસડીની કામગીરી જ કરી રહ્યા છે. એ વાત અલગ છે કે ઓએસડી કે પીએસ તરીકે કોઈ ફાઇલ પર તેઓ હસ્તાક્ષર કરી શકતા નથી. પણ મંત્રીનું કામ થવું જોઈએ તે તો ચાલુ જ રહે છે. રેલવેમંત્રી સાથે કામ કરી રહેલા ઝારખંડ કેડરના આઇપીએસ ઓએસડી કે.એન.ચૌબે પણ ૧૦ વર્ષની મર્યાદામાં આવી ગયા છે. તેથી તેમણે એક તરકીબ શોધી કાઢી છે. કેડરનો લાભ લઈને રેલવે પોલીસ ફોર્સમાં પોતાના પદ બરોબર કામ લઈ લો અને રેલવેમંત્રીના કામ કરતા રહો. જુગાર ચાલુ જ છે.