-સરકારે આ અંગે એટર્ની જનરલની સલાહ માગી
-રશિયાના ટેલિકોમમંત્રી ટૂંક સમયમાં જ આ મુદ્દે મંત્રણા માટે ભારત આવશે
-એટર્ની જનરલ જી.ઈ. વહાણવટી અને ટેલિકોમ સચિવ આર. ચંદ્રશેખર હાજર રહ્યાં
ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ૧૨૨ લાઈસન્સ રદ કરી દેવાના સુપ્રીમ ર્કોટના આદેશ સામે સમીક્ષા અરજી કરવી કે નહીં તે અંગે વડાપ્રધાન મનમોહનસિંઘે શનિવારે કેન્દ્રના વરિષ્ઠ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. સરકારે આ અંગે એટર્ની જનરલની સલાહ માગી છે.
સુપ્રીમ ર્કોટના આદેશથી રશિયા અને ર્નોવેની કંપનીઓને પણ અસર થઈ છે. તેમનું સરકાર પર દબાણ વધી રહ્યું છે જેથી તેમનાં રોકાણ પર આ નિર્ણયની કોઈ અસર ન પડે. ર્નોવેની કંપની ટેલિનોરે યુનિનોરમાં R ૧૪,૦૦૦ કરોડ તથા રશિયાની કંપની સિસ્ટેમાએ શ્યામ-સિસ્ટેમામાં R ૧૨,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. આ બન્નેના લાઈસન્સ પણ રદ થયાં છે. ર્નોવેએ રાજદ્વારી માર્ગે તેની કંપનીનાં રોકાણને બચાવવા પ્રયાસ શરૂ કરી દીધા છે. રશિયાના ટેલિકોમમંત્રી આઈગોર શ્યોગોલેવ પણ ટૂંક સમયમાં જ આ મુદ્દે મંત્રણા માટે ભારત આવી રહ્યા છે. સુપ્રીમ ર્કોટના આદેશ પછી ટ્રાઈએ સ્પેક્ટ્રમની લિલામી માટે નવેસરથી સૂચન મંગાવ્યાં છે. આવા સંજોગોમાં વડાપ્રધાને શનિવારે સુપ્રીમ ર્કોટના આદેશ પર ચર્ચા માટે બેઠક બોલાવી હતી. તેમાં ટેલિકોમમંત્રી કપિલ સિબ્બલ ઉપરાંત નાણામંત્રી પ્રણવ મુખરજી, ગૃહમંત્રી પી. ચિદમ્બરમ હાજર રહ્યા હતા.કાયદામંત્રી સલમાન ખુરશીદ પણ હાજર રહ્યા હતા. એટર્ની જનરલ જી.ઈ. વહાણવટી અને ટેલિકોમ સચિવ આર. ચંદ્રશેખર પણ તેમાં હાજર હતા.
સિબ્બલે કહ્યું કે ર્કોટના નિર્ણયના કેટલાક અંશોની માહિતી વડાપ્રધાન અને મંત્રીઓના જૂથને આપવામાં આવી હતી. આ જૂથ કોઈ નિર્ણય લેવા માટે ન હતું. સમગ્ર પ્રકરણ કેબિનેટ સમક્ષ જશે જેથી સરકાર ર્કોટના આદેશના અમલ પહેલાં આ બાબતથી વાકેફ થઈ શકે. એફડીઆઈને અસર થવાના ડર વચ્ચે ટેલિકોમ સચિવે આ નિર્ણયને કારણે ટેલિકોમ ક્ષેત્ર પર થનારી સંભવિત અસર અંગે માહિતી આપી હતી.
આદેશ શું હતો
સુપ્રીમ ર્કોટે ગયા સપ્તાહે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજાના કાર્યકાળમાં નવ કંપનીઓને અપાયેલા ટુ-જી સ્પેક્ટ્રમના ૧૨૨ લાઈસન્સ રદ કરી દીધા હતા. ર્કોટે 'વહેલા તે પહેલા’ના ધોરણે સ્પેક્ટ્રમ ફાળવણીની નીતિને ખોટી ગણાવીને ચાર મહિનામાં નવેસરથી લાઈસન્સની લિલામી કરવાના આદેશ આપ્યા હતા.