-ત્રણ દિવસ પછી ચાર આના જોવા નહીં મળે, ૧૯૫૦થી ચલણમાં આવ્યા હતા
-ઘરમાં ચાર આના અથૉત્ ૨૫ પૈસાનો સિક્કો હોય તો વટાવવા માટે છેલ્લા ત્રણ દિવસ
અત્યાર સુધી શુભ મનાતો ‘સવા’ રૂપિયો અને તે સિવાયના તમામ ‘સવા’ ત્રણ દિવસ પછીથી દુર્લભ થઈ જશે. શ્રદ્ધાળુઓ હવે ધાર્મિકસ્થળે સવા રૂપિયાનો પ્રસાદ ચઢાવી નહીં શકે. ત્રણ દિવસ બાદ ચાર આના બજારમાં જોવા નહીં મળે. રિઝર્વ બેન્કે આદેશ જારી કરી જ દીધો છે જે મુજબ ૩૦ જુનથી ચાર આના વ્યવહારમાં જોવા નહીં મળે. તમારા ઘરમાં જો ચાર આના પડ્યા હોય તો તેને વટાવવા માટે આ ત્રણ જ દિવસ બાકી છે. મતલબ કે પાઈ-પાઈનો હિસાબ કરવાની આ છેલ્લી તક છે.
જાહેર અને ખાનગી ક્ષેત્રની તમામ બેન્કોમાં ચાર આના અને તેનાથી નાના સિક્કા આપીને તેના બદલામાં સમાન મૂલ્યના રૂપિયા મેળવી શકાય છે. આ ઉપરાંત આરબીઆઈની તમામ શાખાઓમાં પણ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર સરકારે ૨૦ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ આદેશ કર્યો હતો જે મુજબ ૨૫, ૨૦, ૧૦ અને પાંચ પૈસાના સિક્કા હવે બંધ થઈ જશે.
ચાર આનાનો ઈતિહાસ :
૧૫ ઓગસ્ટ, ૧૯૫૦થી સિક્કાનું ભારતીય બજારમાં ચલણ શરૂ થયું. એક આનાની કિંમત ૬ પૈસા હતી. તે મુજબ ૨૫ પૈસાને ચાર આના કહેવાતા હતા. એક રૂપિયાનો મતલબ ૧૬ આના થતો હતો. ૧૯૫૭માં દશાંશ પદ્ધતિ આવ્યા બાદ આના સમાપ્ત થઈ ગયા અને એક રૂપિયો એટલે ૧૬ આનાને બદલે ૧૦૦ પૈસા થઈ ગયા.
૧૯૬૩માં ત્રણ પૈસાના સિક્કા શરૂ થયા, ૧૯૬૮માં ૨૦ પૈસાના સિક્કા શરૂ થયા. મોંઘવારી વધવાથી ૧૯૭૦માં એક, બે અને ત્રણ પૈસાના સિક્કા બંધ થઈ ગયા. બોલિવૂડમાં ચાર આનાને લગતું કિશોર કુમારનું જાણીતું ગીત ‘પાંચ રૂપૈયા બારહ આના’ ચાર આનાને હંમેશા યાદ કરાવતું રહેશે.