કોલેજિયન પુત્રી માતાને લોહીનાં ખાબોચિયાંમાં જોઈ ફસડાઈ પડી

નડિયાદ શહેરનાં ખ્રિસ્તી ફળિયામાં પતિ રાક્ષસ બન્યો
ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્નીને ચપ્પાનાં ૧૧ જેટલા ઘા ઝીંકી દીધા પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પતિએ ટાઉન પોલીસ મથક દોડી જઈ પીએસઓ સમક્ષ ગુનાની કબુલાત કરતાં ચકચાર
નડિયાદના ખ્રિસ્તી ફળિયામાં સોમવારે પતિએ પોતાનાં ઘરમાં જ પત્નીને ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ હતી. ઘર કંકાસ બાબતે થતા ઝઘડાથી ત્રસ્ત પતિએ સવારે ઉશ્કેરાઇ જઇને પત્નીને છાતી તથા પેટમાં ઉપરાઉપરી ચપ્પાના ૧૧ ઘા મારીને હત્યા કરી નાંખી હતી. પત્ની કરપીણ હત્યા કર્યા બાદ પતિ શહેર પોલીસે દોડી ગયો હતો. જ્યાં પોલીસ મથકનાં અધિકારી સમક્ષ મેં મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની કબુલાત આપતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલા ખ્રિસ્તી ફળિયામાં રહેતા રાજુભાઇ બાસીલભાઇ મેકવાન તેની પત્ની એલીશાબેનને સાથે અવાર નવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો. સોમવારે સવારે આ પતિ-પત્નીને ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિ રાજુભાઈ સુથારીકામ કરવા માટે ગયા હતા. જ્યારે આ દંપત્તિની મોટી પુત્રી દેવાંગી કોલેજ ગઈ હતી. જ્યારે નાની પુત્રી સોનલ તથા પુત્ર રોનક સ્કૂલે ગયા હતા.
રાજુભાઈ કામ પતાવીને સવારે ૧૧ વાગ્યાના સુમારે ઘરે આવ્યા હતા. ત્યારે આ દંપત્તિ વચ્ચે ગૃહકલેશ થયો હતો. તે સમયે રાજુભાઈએ ઉશ્કેરાઈ જઈને પોતાના ઘરમાં પડેલુ ચપ્પુ હાથમાં લઈને પત્ની એલીશાબેન (ઉં.વ.૩૭)ને છાતીના તથા પેટના ભાગે ઉપરાછાપરી ૧૧ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે એલીશાબેન લોહીથી લથપથ હાલતમાં ઘરમાં ફસડાઈ ગયા હતા. ત્યારબાદ હત્યામાં વાપરેલું ચપ્પુ મુકીને ભાગી ગયો હતો. પોણા બાર વાગે કોલેજથી પરત આવેલી પુત્રી દેવાંગીએ ઘરમાં પ્રવેશતાંની સાથે જ લોહીનાં ખાબોચિયામાં ફસડાયેલી માતાને જોતાં તેના હોશકોશ ઉડી ગયાં હતાં અને હેબતાઈ ગયેલી દેવાંગીએ બૂમાબૂમ કરી મૂકતાં આડોશપાડોશના રહીશો દોડી આવ્યા હતા.
લોહીથી ખરડાયેલી એલીશાબેનની લાશ જોઈને સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા. આ સંદર્ભે નડિયાદ શહેર પોલીસને જાણ કરાતાં ઈન્ચાર્જ પી.આઈ એમ.એન.વાઘેલા સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીથી લથપથ થયેલી એલીશાબેનનો મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમાર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે હત્યામાં ઉપયોગ કરેલ ચપ્પુ પણ પોલીસે કબજે લીધુ હતું. આ સંદર્ભે દેવાંગી મેકવાનની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે માતાની નિર્દય હત્યા કરનાર પિતા રાજુભાઈ વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મેં મારી પત્નીની હત્યા કરી નાંખી છે
પત્ની એલીશાબેનની હત્યા કર્યા બાદ પતિ રાજુભાઈ મેકવાન શહેર પોલીસ મથકે દોડી ગયો હતો. જ્યાં ફરજ પરના પીએસઓને કહ્યુ હતું કે, ‘મેં મારી પત્નીને ચપ્પા વડે હત્યા કરી નાંખી છે. તેની લાશ મારા ઘરે પડેલી છે.’ આ સાંભળીને પોલીસ મથકમાં ઉપસ્થિત રહેલા પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ સમયે હત્યા થયાનો મેસેજ પણ મળ્યો હતો. જેથી પોલીસે આ વાતને તથ્ય માનીને રાજુભાઈની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.







