સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની ઘટના પૂર્વે સોહરાબ અને કૌસરબી સાથેની ત્રીજી વ્યક્તિ કોણ હતી? તે હજુ પણ રહસ્યનો વિષય છે. કારણ કે, ઉદેપુર પોલીસ સમક્ષ ૯ ડિસેમ્બર, ૨૦૦૫ના નિવેદનમાં તુલસીએ ખુદ સોહરાબના એન્કાઉન્ટર અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી. બહુચર્ચિત સોહરાબ એન્કાઉન્ટર કેસના સંખ્યાબંધ વણઉકલ્યા કોયડાઓનો સમય જતા ઉજાગર થતા ગયા છે. આમ છતાં, બે માતબર તપાસ એજન્સીઓ આ ઘટના પૂર્વે સોહરાબ, કૌસરબીની સાથે ત્રીજી વ્યક્તિ કોણ હતી તે અંગે નક્કર હકીકતો મેળવી શકી નથી. સીઆઈડી ક્રાઈમે જે-તે સમયે તેની તપાસમાં આ ત્રીજી વ્યક્તિ કલીમુદ્દીન નામનો શખ્સ હોવાનું જણાવ્યુ હતું.
જ્યારે સીબીઆઈની તપાસ દરમિયાન કેટલાક એવા તથ્યો બહાર આવ્યા છે કે આ ત્રીજી વ્યક્તિ તુલસીરામ પ્રજાપતિ ઉર્ફે પ્રફુલ્લ હતો. જો કે ‘ડીબી ગોલ્ડ’ પાસે એવા દસ્તાવેજો જે સાબિત કરે છે કે, તુલસીરામ પ્રજાપતિ સોહરાબના એન્કાઉન્ટરથી તદ્દન અજાણ હતો. જેનાથી એવું સાબિત થાય છે કે, સોહરાબ, કૌસરબીની ત્રીજી વ્યક્તિ તુલસીરામ તો નહોતી જ. ૩૧ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ભીલવાડામાં કુખ્યાત હમીદ લાલા ઉર્ફે લોમડીની હત્યા કરવાના મામલે ઉદેપુર પોલીસે ૨૯ નવેમ્બર, ૨૦૦૫ના રોજ તુલસીરામ પ્રજાપતિને ચંદન ઝા નામની એક વ્યક્તિના ભીલવાડાના આઝાદનગર સ્થિત મકાનમાંથી પકડ્યો હતો.
ત્યાર બાદ ભંવરસિંહ, પોલીસ નિરીક્ષક, થાના અધિકારી, હાથીપોલ, ઉદયપુર સમક્ષની પૂછપરછ નોંધમાં તા. ૯ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ તુલસીરામ એવું સ્પષ્ટ પણે કબૂલે છે કે, સોહરાબનું પોલીસ અથડામણમાં મૃત્યુ થયુ હોવા અંગે તેને કોઈ જાણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સોહરાબનું એન્કાઉન્ટર ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે સંયુક્તપણે ૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ કર્યું હતું.
સોહરાબ સાથે રહેલી ત્રીજી વ્યક્તિ અંગે સીઆઈડી અને સીબીઆઈના વિરોધાભાસી દાવાઓની વચ્ચે તુલસીએ રાજસ્થાન પોલીસ સમક્ષ આપેલું નિવેદન નવો વિવાદ સર્જી શકે છે. શક્ય છે કે, સોહરાબ કેસના આરોપીઓને તુલસીના આ નિવેદનના માધ્યમથી સીબીઆઈ તપાસની સામે આંગળી ચિંધવાની વધુ એક તક મળે.
હવે હૈદરાબાદ એંગલ જ ઉકેલ આપી શકે
સીઆઈડી ક્રાઈમના તત્કાલીન તપાસનીશ અધિકારી ગંભીરસિંહ પઢેરિયાએ આ એન્કાઉન્ટર કેસની ચાર્જશીટ રજુ કરતી વખતે હૈદરાબાદ પોલીસના ૮ કર્મચારીઓને વોન્ટેડ દર્શાવ્યા હતા. જ્યારે, બીજી તરફ સીબીઆઈએ હૈદરાબાદ પોલીસ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. જોકે, આગામી દિવસોમાં સોહરાબ એન્કાઉન્ટર કેસમાં હૈદરાબાદ પોલીસની ભૂમિકા અંગે થયેલી તપાસના તાણાવાણાઓ બહાર આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ હૈદરાબાદના તત્કાલીન વરિષ્ઠ પોલીસ કર્મચારીઓ સાથે આ મામલે સઘન ચર્ચા હાથ ધરી હતી. આ પરિસ્થિતિમાં હવે માત્ર હૈદરાબાદ પોલીસ જ ત્રીજી વ્યક્તિ કોણ હતી તે અંગેની સ્પષ્ટ રજુઆત કરી શકે છે.
શરીફ ખાનના ઈશારે મલેશિયાથી થતો હતો કારોબાર
ઉદેપુર પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ તુલસી, સોહરાબુદ્દીન અને નઈમુદ્દીન શરીફ ખાનના ઈશારે કામ કરતા હતા. ખંડણીમાંથી ઉઘરાવેલી રકમ તેઓ શરીફખાનને મલેશિયા ખાતે મોકલાવતા હતા. તુલસી અને સોહરાબુદ્દીનની ઈચ્છા નઈમુદ્દીનને મલેશિયામાં પ્રસ્થાપિત કરી અને છોટા દાઉદ ઉર્ફે શરીફ ખાનની માફક ગેંગલીડર બનાવવાની હતી. સોહરાબ અને તુલસીએ ઘડેલી વ્યૂહરચના મુજબ ખંડણી દ્વારા ઉઘરાવેલા નાણાનો સઘળો કારોબાર નઈમુદ્દીન ઉર્ફે મુન્નાને સોંપવાનો હતો.
આ નિવેદનનો સાર જોઈએ તો- સોહરાબને નૂર મોહમંદ ઘોઘારી, અમદાવાદના રમઝાની ગાંધી, મહેન્દ્રસિંહ બાપુ, નૂર મોહંમદના સાળા સિરાજ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. હમીદ લાલાની હત્યા, મુંબઈમાં ડૉ. પ્રકાશ સતપ્પાના ઈશારે કરેલી જાનવાની હત્યા બાદ પ્રોફેશનલ કિલર બની ગયેલા તુલસીરામને મહારાષ્ટ્રમાં ડૉ.સતપ્પાના ઈશારે એક મોટી વ્યક્તિની હત્યા કર્યા બાદ અમદાવાદમાં પણ એક હત્યા કરવાની તૈયારી રાખવા માટે સોહરાબે સૂચના આપી હતી. જોકે, આ મનસૂબા પાર પડે તે પહેલા સોહરાબ અને તુલસીના એન્કાઉન્ટર થઈ ગયા.
ખુદ રમણ અને દશરથ પટેલે સોહરાબને સોપારી આપી હતી!
મણિભાઇ શાહે પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રકચરના દશરથ પટેલ અને રમણ પટેલ પાસેથી R ૩ કરોડની લેણી રકમ કઢાવવા માટે સોહરાબ અને તુલસીરામનો સંપર્ક કર્યો હતો તે વાત સર્વવિદિત છે. આ ઘટનામાં R ૧.૬૫ કરોડમાં આખરે સમાધાન થયું હતું. જો કે આ ઘટના બાદ હાથીપોલ પોલીસમથક, ઉદયપુરના પોલીસ નિરીક્ષક ભવરસિંહસમક્ષના તા. ૯-૧૨-૨૦૦૫ના નિવેદનમાં તુલસીરામ પ્રજાપતિએ એક ચોંકાવનારી કબૂલાત કરી હતી.
તદ્નુસાર રમણભાઇ પટેલે સુરતમાં રહેતા પોતાના ભાઇના સાળા પંકજ શાહ પાસેથી લેવાના નીકળતા R ૩પ કરોડ કઢાવવા માટે સોહરાબ અને તુલસી પ્રજાપતિને સોપારી આપી હતી. આ સોપારી વસૂલવા ખુદ રમણભાઇની એસ્ટીમ કારમાં નૂરભાઇ ઘોઘારી, મહેન્દ્રસિંહ, સોહરાબુદ્દીન અને હું રમણભાઇની સાથે સુરત ગયા હતા.
આ બંને ઘટનાક્રમ બાદ પૈસાની ઘટ પડતાં સોહરાબના કહેવાથી ૮ ડિસેમ્બર ર૦૦૪ના રોજ પાયોનિયર કન્સ્ટ્રકશનની નવરંગપુરા સ્થિત ઓફિસની તુલસી અને દીપુ સિલ્વેસ્ટર ગયા હતા અને ત્યાં ફાયરિંગ કર્યું હતું. બાદમાં ગભરાઇને પટેલ બંધુઓએ સોહરાબને R ૧૦ લાખ પહોંચતા કર્યા હતાં.