ગાંધીનગર શહેરમાં પાણી વિતરણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી જૂની ટેક્નોલોજીની મશીનરીમાં વધુ વીજળી વપરાવાને કારણે આ મશીનરીઓ બદલીને એનર્જી એફીશીઅન્ટ મશીનરી વાપરવા કેન્દ્ર સરકારે પાટનગર યોજના વિભાગને રૂ.૧ કરોડ ૩૫ લાખની ફાળવણી કરી છે. તે ઉપરાંત પાટનગરની સ્ટ્રીટલાઇટો માટે પણ રૂ.૫૦ લાખ ફાળવવામાં આવ્યા છે. જેના પગલે પાણી વિભાગ દ્વારા થોડા સમયમાં જ ચરેડી વોટર વર્કસ ખાતેની જૂની પંપિંગ મશીનરી બદલી નાખવામાં આવશે.
ભારત સરકારના બ્યુરો ઓફ એનર્જી એફીસીઅન્સી સંસ્થાના અધિકારીઓ થોડા સમય પહેલાં ગાંધીનગર આવ્યા હતા અને વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. સરકારી કચેરીઓ, જાહેરસ્થળોની મુલાકાત લઇને એવા નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે, ગાંધીનગર શહેરમાં પાણી વિતરણ માટે વપરાતી મશીનરીમાં વીજળીનો ઉપયોગ વધુ થાય છે. આ મશીનરીને બદલીને એનર્જી એફીસીઅન્ટ પંપો લગાવવા જોઇએ. દરમિયાન પપિંગ મશીનરી બદલવા માટેનો ૧ કરોડ ૩૫ લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
બ્યુરો ઓફ એનર્જી એફીસીઅન્સીએ ઉપરોક્ત નાણાં પાટનગર યોજના વિભાગને ફાળવી દીધા છે. ક્યા પ્રકારની પપિંગ મશીનરી રાખવાની છે તેના નિયત ધારાધોરણો પણ બ્યુરો ઓફ એનર્જી એફીસીઅન્સીએ નક્કી કર્યા છે. જૂની ટેક્નોલોજી ધરાવતી મશીનરીને કારણે અત્યારે પાટનગર યોજના વિભાગને જે વીજબિલ ભરવું પડે છે તેમાં ૩૫ ટકા જેટલો ઘટાડો આવશે. પાટનગર યોજના વિભાગને કેન્દ્રની સહાયથી ફાયદો થશે. કેમ કે, બિલ ઘટવા સાથે જૂના પંપો ઓછી ક્ષમતાથી કામ કરતા હતા. તે સમસ્યા પણ ઉકેલાઇ જશે.
દરમિયાન બ્યુરો ઓફ એનર્જી એફીસીઅન્સીએ ગાંધીનગરની કેટલીક સ્ટ્રીટલાઇટોને બદલીને એનર્જી એફીસીઅન્ટ સ્ટ્રીટલાઇટ નાખવા પાટનગર યોજનાને રૂ.૫૦ લાખ ફાળવ્યા છે. તેમાંથી મંત્રીઓના બંગલાના વિસ્તારમાં લેડ ટેક્નોલોજીની લાઇટસ નાખી દેવામાં આવી છે.