ખેડાના ૮૦ વર્ષના મહિલાનો ચાલીસ વર્ષ પહેલાં દીકરો ઘર છોડી ચાલ્યો જતાં દીકરીઓએ અંતિમવિધી કરી
હિન્દુ શાસ્ત્રોમાં ૧૬ સંસ્કાર પૈકીના અંતિમ અગ્નિસંસ્કાર પુત્રના હાથે જ થાય તેમ સૌ ભૂતકાળમાં ઈચ્છતા હતા, પરંતુ સમય પરિવર્તનની સાથે સાથે પુત્રીઓ પણ હવે પુત્ર સમોવડી બની છે. ખેડા શહેરમાં પોતાની માતાને ત્રણ પુત્રીઓએ એક્સાથે અગ્નિસંસ્કાર આપીને પરિવર્તનની જયોતને ઉજાગર કરી છે. છેલ્લાં કેટલાય સમયથી બીમાર ૮૦ વર્ષની માતાનું નિધન થતાં અગ્નિદાહ કોણ આપશે? તેવો પ્રશ્ન સર્જાયો હતો, પરંતુ ત્રણેય દીકરીઓએ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરી અંતિમયાત્રામાં જોડાઈ હતી અને સ્મશાનમાં જઈ પોતાની માતાને અગ્નિદાહ આપ્યો હતો. એ ઘડીએ સ્મશાનમાં ઉપસ્થિત સૌની આંખોમાં અશ્રુધારાઓ છુટી હતી.
ખેડા નગરના ચોકસી બજાર વિસ્તારમાં રહેતાં દેવીબહેન જીવણલાલ દરજી (ઉં.વ.૮૦)ને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. મોટો પુત્ર ૪૦ વર્ષ પહેલાં ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જ્યારે ત્રણેય પુત્રીઓ પરિણીત છે. વૃદ્ધ માતા દેવીબહેન એકલાં જ રહેતા હતા. છેલ્લાં એક માસથી તેઓની નાદુરસ્ત તબિયત બાદ બુધવારે સવારે તેઓનું નિધન થયું હતું.
અવસાન થતાં જ અડોશપાડોશ અને સમાજના લોકોએ તેમની દીકરીઓને જાણ કરતાં હૈયાફાટ રૂદન સાથે માતાના અંતિમ દર્શન કરવા દોડી આવી હતી. સમાજના સૌ પ્રજાજનો આ અગ્નિદાહ કોણ આપશે? તેની ચિંતા હતી. ત્યારે ત્રણેય દીકરીઓ ઈલાબેહન, નિરૂબહેન અને દક્ષાબહેને એક્સાથે માતાને અગ્નિસંસ્કાર આપવા માટેનો નિર્ણય કરીને તેને જાહેર કરતાં સમાજના સૌએ આ નિર્ણયને વધાવી લીધો હતો.
દીકરાંથી વિશેષ આ દીકરીઓને માતાની સ્મશાનયાત્રાની સાથે સાથે સ્મશાનમાં પણ લઈ ગયા હતા, જ્યાં એક દીકરાને છાજે તે રીતે આ ત્રણેય બહેનોએ સંયુક્ત રીતે ચિતાની પરિક્રમા કરીને માતાને અગ્નિસંસ્કાર આપ્યા હતા. આ ર્દશ્ય જોઈને પુત્ર ન હોવાનો અહેસાસ કરનારાઓના éદયમાં પણ ભારે ગૌરવ જન્મ્યું હતું.