મંત્રીઓનાં વાહનો જ બ્લોક સુધી જઇ શકાશે : પાકિઁગ વ્યવસ્થા બદલાઇ જશે
નવા સચિવાલય સંકુલની સુરત બદલવાની યોજના શરૂ થઇ ગઇ છે. તેના પાછળ રૂ.૧૬ કરોડ ખર્ચાશે ત્યારબાદ સચિવાલય સંકુલમાં ફરવા માટે આંતરિક બસ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. મલબત કે, નાના કે, મોટા કોઇપણ વાહન લઇને સચિવાલય સંકુલમાં ફરી શકાશે નહીં. માત્ર મુખ્યમંત્રી અને મંત્રીઓના વાહનો જ બ્લોક સુધી જઇ શકશે. આ સિવાય અંદર આવતા તમામ વાહનો સીધા પાર્કિંગમાં જશે. ત્યાંથી બહાર નીકળતા તુરંત બસ મળી જશે.
શરૂઆતમાં અન્ડર ગ્રાઉન્ડ પાકિઁગ કરવાનું હતું પરંતુ સુરક્ષા કારણે તે વિચાર પડતો મુકાયો છે. હવે તમામ પાકિઁગ જમીન પર જ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની સામેની તરફ આવેલા મુખ્ય પ્રવેશદ્વાર નં.૧થી આમ આદમી-મુલાકાતીઓને પ્રવેશ અપાશે. ત્યાં જ વ્યક્તિ અને વાહનોનું સ્કેનિંગ કરાશે.
પ્રવેશ પાસ પણ અહીં જ મળશે. ડાબી તરફ પાકિઁગ હશે. દરેક વાહનો નિયત પાકિઁગમાં પાર્ક કરીને જ આગળ વધી શકાશે. અધિકારીઓના વાહનોનું પાકિઁગ અલગ ઊભું કરાશે. જ્યારે અહીંના કર્મચારીઓ ચ-માર્ગથી પ્રવેશશે. તેના વાહનો પ્રવેશતા ડાબી બાજુ પાર્ક કરાવાશે. આ તમામ વ્યવસ્થા હાલ ચાલુ કરાઇ છે. ભવિષ્યમાં પાકિઁગમાંથી બહાર નીકળતા જ કોઇપણ બ્લોકમાં જવા બસ મળી રહેશે.
પાકિઁગની આગળ લેન્ડ સ્કેપિંગ કરાશે. જેથી વાહનો પાર્ક કર્યા છે તે દેખાશે નહીં અને લેન્ડ સ્કેપિંગને કારણે ચોક્કસ જગ્યાએથી જ વાહનો બહાર આવી-જઇ શકશે. બ્લોક નં.૧સુધી મુખ્યમંત્રી અને મંત્રીઓના વાહનો જશે. ત્યાંથી બહાર નીકળતો રસ્તો બંધ થઇ જશે.
દરેક બ્લોકની આગળના ડામરના રસ્તા બંધ કરાશે. પાર્કિગમાં અને બ્લોકની આગળ જ્યાં ડામરના રોડ છે તે બધા નવેસરથી અને સિમેન્ટના ફ્લોરિંગવાળા, આરસીસીના કે, સાદા અને ડિઝાઈનર બ્લોકના બનાવવામાં આવશે. પાકિઁગમાં પણ ડામરના રોડને બદલે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દેવા વિચારણા ચાલી રહી છે. તેમ ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું.