સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની અરજી કરનારા ડૉ.. નરેન્દ્ર કે. અમીનની હત્યાની જેલરોએ સોપારી આપી હોવાની વાત ઉપજાવી કાઢનારા વડોદરાના કુખ્યાત શકીલ ઉર્ફે તેજાના આક્ષેપો પાયાવિહોણા હોવાનું તપાસમાં સાબિત થયું છે.
સોપારી લેવાની ના પાડતાં જેલરોએ ઢોર માર માર્યો હોવાનો તેજાએ આક્ષેપ કર્યો હતો, પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલના હાઇ સિક્યોરિટી ઝોનમાં સિદ્દિકી અને તેજા વચ્ચે મારામારી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત, તેજાને હાથે ફ્રેક્ચર નહીં થયું હોવાનો ઘટસ્ફોટ તેના મેડિકલ રિપોર્ટમાં થઈ ગયો હોવાનું જેલ સત્તાવાળાએ જણાવ્યું હતું. વડોદરાની જેલમાં જવા માટે તેજાએ આ તરકટ ઊપજાવી કાઢયું હોવાનું પણ બહાર આવ્યું છે.
જેલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્દિક ઉર્ફે ઘંટી અને તેજાને કસરત કરવા માટે બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે જાપ્તાના જવાનો હાજર હતા, છતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. ૧૨ દિવસમાં ૩થી ૪ વાર બંને વચ્ચે મારામારી થઈ હતી. જેને ધ્યાનમાં રાખી બંને ઉપર શિક્ષાનો કેસ ચાલી રહ્યો છે, જે પૈકી ઘંટીની તપાસ ૮૦ ટકા પૂરી થઈ ગઈ છે, જ્યારે તેજા વડોદરા કોર્ટમાં મુદતે ગયો હોવાથી તેની તપાસ બાકી છે. શિક્ષાથી બચવા માટે તેજાએ તરકટ રચ્યું હતું.
તેજાએ વડોદરા જેલમાં કેદી પાસે ખંડણી માગી મારી નાખવાની ધમકી આપી હતી
વડોદરા જેલમાં રાખવામાં આવેલા તેજાએ પાકા કામના કેદી ઇસ્માઇલ સાથે જેલમાં જ મારામારી કરીને ઇસ્માઇલ પાસે બે લાખની ખંડણીની માગણી કરી હતી. આટલું જ નહીં જો ખંડણી નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાના પગલે તેજાને ભરૂચ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને તેની જેલની અંદર તેમજ બહારની હરક્તો ઉપર વોચ રાખવા કોર્ટે આઇબી તેમજ સત્તાવાળાને આદેશ કર્યો હતો. જે અંતર્ગત ભરૂચ જેલમાંથી સાબરમતી જેલમાં લવાયા બાદ પણ તેજાને હાઇ સિકયોરિટી ઝોનમાં રાખવામાં આવ્યો હતો.
મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપવા બદલ તેજા વિરુદ્ધ ગુનો દાખલ કરાશે
વડોદરા કોર્ટમાં મુદત માટે લઈ જવાયેલા તેજાએ જેલરોએ ભેગા મળી પોતાના ઉપર હુમલો કર્યો હોવાની અરજી કોર્ટમાં કરી હતી. આટલું જ નહીં કોર્ટમાં જ તેજાએ જાપ્તા પોલીસના જવાનો સાથે ઝપાઝપી કરીને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેથી જાપ્તા પોલીસ સાથે ઝપાઝપી કરવા તેમજ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપવા બદલ તેજા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તેવું જેલનાં સૂત્રોએ જણાવ્યું હતું.
રક્ષાબંધનને ધ્યાનમાં રાખી જેલની સુરક્ષા વધુ જડબેસલાક કરાઇ
મંગળવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી જેલમાં રહેલા કેદીઓ માટે સવારે ૭.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી રક્ષાબંધનની ઉજવણી માટે જેલ સત્તાવાળા દ્વારા મંજુરી અપાઇ છે. તેમાં પણ ખાસ કરીને કેદીઓને રાખડી બાંધવા ફક્ત સગી બહેનોને જ મંજુરી અપાઇ છે. સાથે તકેદારીના ભાગરૂપે રાખડી સિવાય બીજી કોઈ ચીજવસ્તુ બહારથી લાવવા ઉપર પ્રતિબંધ છે. જો કે સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન જેલની સુરક્ષા વધુ કડક કરાઇ છે.