- મહેમદાવાદ-રાસ્કા વચ્ચે ખેતરમાં થતો દેહનો વ્યાપાર, ૩પ યુવતીઓને દેહવેપારના ધંધામાં ધકેલી
- યુવતીઓને રાજકોટમાં પણ મોકલતા હોવાની કેફિયત, લોહીના વેપારમાં કિન્નરની પણ સંડોવણી
ઓરમાન પિતાએ પુત્રીનું અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારી દેહવેપારના ધંધામાં ધકેલી દેતાં ગર્ભવતી બની ગઇ હતી. ઓરમાન પિતા સહિતના સાગરિતો મહેમદાવાદ-રાસ્કા પાસેના ખેતરમાં કૂટણખાનુ ચલાવતાં હોવાનો ભોગ બનેલી સગીરાએ ઘટસ્ફોટ કર્યો હતો. દેહવેપારનું નેટવર્ક રાજકોટ સુધી હોવાનું તેમજ એક કિન્નરની સંડોવણીની પણ કેફિયત કરતાં ખળભળાટ મચી ગયો છે.
માંગરોલના ડુંગરી ગામની સગીરાએ ધડાકો કરતાં કહ્યું હતું કે ઓરમાન પિતા નટુ પરમારે અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ તેને દેહવેપારના ધંધામાં ધકેલી દીધી હતી. મહેમદાવાદ-રાસ્કા પાસેના ખેતરમાં ધમધમતા કૂંટણખાનામાં તેને રાખવામાં આવી હતી. અહિ ૩પ જેટલી યુવતીઓ રાખી લોહીનો વેપાર કરાવવામાં આવતો હતો . ભયજી નામનો દલાલ અને એક કિન્નર સમગ્ર નેટવર્ક સંભાળતા હતાં.
તેઓ બ્યુટિફુલ યુવતીઓને રાજકોટમાં પણ મોકલી આપતા હતાં. ૧૮ વર્ષથી આછી ઉંમરની કિશોરીઓનો પાંચ હજાર જેટલો ઊંચો ભાવ લેતા હતાં. કિન્નરે તો તેના આંખમાં મરચાંની ભૂકી નાખી દેહવેપાર કરવા માટે મજબૂર કરી હોવાની કેફિયત કરી હતી.
યુવતીનો સાવકો બાપ નટુભાઈ, તેની સગી માતા મનુબહેન, દાદા અને સગો ભાઈ. તસવીર મહેન્દ્રસિંહ અટોદરિયાઆદિવાસી તરુણીના સાવકા બાપ નટુભાઈ પરમારે માતા મનુબહેનની મદદ દ્વારા સગીરાનું અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ સાવકા બાપ નટુભાઈ પરમારે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ સગીરાને ભયજી દલાલ નામના વ્યક્તિને ૨.૭૦ લાખ વેચી દીધી હતી.
ભયજી દલાલ અમદાવાદ મહેમદાબાદ તેમજ અલગ અલગ સ્થળે લઈ જઈ આ સગીરા પાસે વેશ્યાવૃત્તિનો ધંધો કરાવતાં હતાં. સગીરા પર મહેમદાબાદ વિસ્તારમાં ૧૬થી ૧૭ પુરુષોએ બળાત્કાર ગુજાર્યો હતો. વાસનાના લોલુપ નરપીશાચોએ બળાત્કાર બાદ સગીરાના ગુપ્તભાગે ચપ્પુના ઘા માર્યા હતા. આ ઉપરાંત સીગારેટના ડામ આપી શ્રૃષ્ટી વિરુદ્ધ કૃત્ય પણ કર્યું હતું.
આ સમગ્ર ઘટના પાંચથી છ માસ પહેલા બની હતી. જેને લઈ સગીરા ગર્ભવતી બનતાં દલાલે તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાંથી એકલતાનો લાભ લઈ લઘુશંકાને બહાને શૌચાલયમાં સંતાઈ ત્યાંથી ભાગી જઈ તે આણંદ અને ત્યાંથી સુરત આવી હતી.
જ્યાં લંબેહનુમાન મંદિર પાસે રહેતા સામાજિક કાર્યકરોએ ભરૂચની નારીગૃહમાં મોકલી આપી હતી. નારી ગૃહના સંચાલકોએ તેને વડોદરા હોસ્પિટલમાં ખસેડી હતી. માંગરોળ પોલીસ સ્ટેશનમાં આજે આ અંગે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એમ. એમ. મન્સુરી કરી રહ્યાં છે.
સગીરાના અપહરણની ભીતિથી સિકયુરિટી તૈનાત
સગીરા સયાજીમાં સારવાર લઇ રહી હોવાની જાણ ઓરમાન પિતા નટુ પરમારને થતાં સગીરા જેમ ફફડી રહી છે. વોર્ડના સિકયુરિટી ઇનચાર્જને તેણે જણાવ્યું કે મારો ઓરમાન પિતા મારુ ફરીથી અપહરણ કરાવી દેશે. આજે સવારે પિતાની ઓળખવાળા બે વ્યક્તિને મેં વોર્ડમાં ફરતી જોઇ હતી. સગીરાની કેફિયતના પગલે પોલીસ રક્ષણ ન મળે ત્યાં સુધી હોસ્પિટલની સિકયુરિટી તૈનાત કરી દેવાઇ છે.
સમાજ સુરક્ષા અધિકારી દોડી આવ્યા
માંગરોલની સગીરા પર બળાત્કારનો મામલો છેક ગાંધીનગર પહોંચતાં સમાજ સુરક્ષા અધિકારીને તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચવા જણાવ્યું હતું. સમાજ સુરક્ષા કચેરીના એલ.એમ. પટેલ અને સોલંકી ભોગ બનેલી સગીરાની મુલાકાતે દોડી આવ્યા હતાં. તેમણે નારી સંરક્ષણ ગૃહની બંને મહિલાઓ તેમજ સગીરા સાથે વાતચીત કરી ઉપરી અધિકારીને અહેવાલ મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.