-અહિમા શાળામાં આડાસંબંધનાં આક્ષેપ સાથે ગ્રામજનોનો હોબાળો
-સંસ્થા અને સત્તાધીશો કહે છે ગ્રામજનોના આક્ષેપમાં તથ્ય નથી
-શિક્ષકો રાજકારણનો ભોગ બન્યાં
ઉમરેઠ તાલુકામાં મહી કાંઠાના અહિમા ગામે આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષક અને શિક્ષિકા વચ્ચે આડાસંબંધનાં આક્ષેપ સાથે શુક્રવારે સવારે ગ્રામજનોએ કેમ્પસમાં ધસી આવીને ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો. લોકોનો આક્ષેપ હતો કે, શિક્ષક અને શિક્ષિકાને અસભ્ય વર્તણૂંક કરતાં એક વિદ્યાર્થીએ જોઈ લેતાં શિક્ષકે માર મારીને કોઈને પણ કંઈ જ ન કહેવાની ધમકી આપી હોવાની બાબત વિદ્યાર્થીએ વાલીને જણાવી હતી. ગ્રામજનોએ શુક્રવારે શાળામાં જઈને શિક્ષક અને શિક્ષિકા સામે પગલાં લઈને બદલી કરવાની માગણી કરી હતી. જોકે, તંત્ર અને સત્તાધીશોએ દાવો કર્યો હતો કે, આ વાર્તા છે, તેમાં તથ્ય નથી.
અહિમા પ્રાથમિક શાળામાં એક શિક્ષક અને શિક્ષિકા વચ્ચે આડાસંબંધ હોવાનો આક્ષેપ કરીને તેઓની બદલી કરવાના મામલે ગ્રામજનોએ શુક્રવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ‘શાળામાં ધો.પમાં અભ્યાસ કરતાં રંગીતે ૮મી ફેબ્રુઆરીના રોજ મુખ્ય શિક્ષકની ઓફિસની બાજુના વર્ગખંડમાં શિક્ષક અને એક શિક્ષિકાને અસભ્ય વર્તણૂંક કરતાં જોયા હતા. ત્યારબાદ શિક્ષકે રંગીતને માર મારીને આ વિશે કોઈને કંઈ ન કહેવાની ધમકી આપી હતી.
જોકે, રંગીતે ઘરે આવીને માતાપિતાને વાત કરી હતી. શાળામાં ત્રણ વખત આવા બનાવ બન્યાં હોવા છતાં વાલીઓ આંખ આડા કાન કરતાં હતા. પાંચમા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને આંક પણ આવડતાં નથી. શિક્ષકો મનફાવે ત્યારે આવે છે અને મનસ્વીપણે વર્તે છે. જેથી કસુરવાર શિક્ષક અને શિક્ષિકા સામે પગલાં લેવા સાથે બદલી કરવાની માગણી કરી છે. શાળામાં કાં તો કફ્ત શિક્ષકો અથવા કફ્ત શિક્ષિકાઓ જ રાખવા માટે પણ રજૂઆત કરી છે.’
શાળામાં વાલીઓએ હોબાળો મચાવતાં ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણે પણ શાળામાં પહોંચી જઈને બંને પક્ષની રજૂઆતોને સાંભળી હતી. જોકે, ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તે શિક્ષિકા ગત ૮મી ફેબ્રુઆરીના રોજ બીઆરસી ભવનમાં તાલીમ લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી શિક્ષક અને શિક્ષકા પર થયેલાં આક્ષેપ પાયાવિહોણા હોવાનું શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું.
ગ્રામજનોના આક્ષેપ પાયાવિહોણા‘પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકા વચ્ચે આડાસંબંધ અંગે ગ્રામજનો દ્વારા થઈ રહેલા આક્ષેપ પાયાવિહોણા છે. તાજેતરમાં અહિમા ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ગ્રામજનો શિક્ષકોને રાજકારણનો ભોગ બનાવી રહ્યા છે. અગાઉ પણ શિક્ષકો પર ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેની તપાસ કરતાં કંઈ જ તથ્ય બહાર આવ્યું નથી.’ કે.કે. ચૌહાણ, મુખ્ય શિક્ષક, અહિમા પ્રાથમિક શાળા.
શિક્ષકો રાજકારણનો ભોગ બન્યાં‘અહિમા પ્રાથમિક શાળાના શિક્ષકો સ્થાનિક રાજકારણનો ભોગ બની રહ્યા છે. શાળાના શિક્ષકો સામે થયેલાં આક્ષેપો તથ્ય વિનાના છે.’ - ઉદેસિંહ ભીમસિંહ, સરપંચ, અહિમા.
શિક્ષિકા તાલીમમાં હાજર ‘ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તે શિક્ષિકા ૮મી ફેબ્રુઆરીના રોજ ઉમરેઠ બીઆરસી ભવનમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની કિશોરી શિક્ષણની તાલીમ શિબિરમાં સવારના ૯થી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી હાજર હતા.’ - વિષ્ણુભાઇ પ્રજાપતિ, બીઆરસી.
બંને સામેનાં આક્ષેપમાં તથ્ય નથી‘ અહિમા પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકા વચ્ચે આડાસંબંધના મામલે થયેલા આક્ષેપ અંગે બંને પક્ષની રજૂઆત સાંભળી હતી. શિશિક્ષ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, પણ તે તાલીમમાં હતા. વિદ્યાર્થીઓને બોલાવીને પૂછતાં તેઓએ પણ જણાવ્યું કે ‘આ બહેન ન હતા.’ ગ્રામજનોના આક્ષેપમાં કંઈ તથ્ય ન હતું. આમ છતાં નિરીક્ષકને તપાસ કરીને વાસ્તવિકતાની જાણકારી મેળવવાનું સૂચન કર્યું છે.’ - ભૃગુરાજસિંહ ચૌહાણ, પ્રમુખ, ઉમરેઠ તાલુકા પંચાયત.