-રાજ્ય સરકારે બહાર પાડેલાં જાહેરનામામાં બાર ધોરણ બાદ પીટીસીની લાયકાત માગી હોવાથી હાલના દસ ધોરણ બાદ પીટીસી કરેલાં સિનિયર શિક્ષકો પરીક્ષા નહીં આપી શકે
-ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક માટેની અભિયોગીતા કસોટીમાં શૈક્ષણિક લાયકાત સંદર્ભે ૧૨ પાસ અને પીટીસી કરેલાં ફોર્મ ભરી શકશે તેવો ઉલ્લેખ કરાતા વિવાદ છેડાયો છે. વર્ષ ૨૦૦૦ પહેલાં જેઓ શિક્ષક બન્યાં છે તેઓ એસએસસી બાદ પીટીસી કરેલાં શિક્ષક હોવાથી તેઓને આ લાભ મળશે નહીં. લાયકાતની આવી નીતિરીતિથી સિનિયર શિક્ષકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ બાબતે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના હોદ્દેદારોએ રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘને રજુઆત કરી છે.
આ અંગેની વધુ માહિતી આપતાં એક પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોની અભિયોગીતા કસોટી (હેડ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) લેવાનું આયોજન કર્યું છે. આ કસોટી ૨૫મી ફેબ્રુઆરીએ યોજાશે. આ માટેના ફોર્મ તા.૧૦મી સુધીમાં શિક્ષકોએ ભરી દેવાના રહેશે, પરંતુ શૈક્ષણિક લાયકાતને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. શિક્ષકો આ બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા છે. મોટાભાગના શિક્ષકો હાલમાં આચાર્યના હોદ્દા પર છે. તેઓ સિનિયર શિક્ષકો છે અને તેઓની લાયકાત એસએસસી-પીટીસી છે. હાલના નવા ધારાધોરણ મુજબ એચટીએટીની પરીક્ષા માટે શિક્ષકોની લાયકાત ધો.૧૨ પાસ અને પીટીસી હોવું જરૂરી છે. પરિણામે જૂનાં શિક્ષકોના ફોર્મ ઓનલાઇન રજિસ્ટર થતાં નથી. તેઓ યોગ્ય લાયકાત ધરાવતાં હોવા છતાં પણ ફોર્મ ભરી શકતાં નથી. સિનિયર શિક્ષકોમાં આ બાબતે અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે.’
વધુમાં તેઓએ કહ્યું હતું કે ‘ચોંકાવનારી બાબત તો એ છે કે, આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત પણ ટૂંકી આપવામાં આવી છે. ૧૦મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી દેવા પડશે. આ બાબતે શિક્ષકસંઘમાં પણ રજુઆત કરવામાં આવી છે.
આણંદની ર૧૯ પ્રા.શાળામાં મુખ્ય શિક્ષકની ભરતી
જિલ્લા પંચાયત હસ્તક આવેલી ૨૧૯ પ્રાથમિક શાળામાં આગામી શૈક્ષણિક સત્રથી મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે. રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં પાંચ હજાર મુખ્ય શિક્ષકની ભરતી માટે રપમી ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવામાં આવનાર હોઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે ‘ જિલ્લા પંચાયત હસ્ત ૧૦૨૯ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જે પૈકી ર૧૯ પ્રાથમિક શાળામાં આગામી શૈક્ષણિક સત્રથી મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે. રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં જૂન ૨૦૧૨થી પાંચ હજાર મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવનાર છે. જેમાં રપ૦૦ જગ્યા સીધી ભરતીથી અને રપ૦૦ જગ્યા બઢતી આપીને ભરવામાં આવશે. મુખ્ય શિક્ષક માટેની પરીક્ષા રપમી ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા માટે ઉમેદવારો ૧૦ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હોય અને મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવવા માંગતા હોય તેઓ પણ પરીક્ષા આપી શકશે. પરીક્ષા આપવા માટે ઉમેદવાર સ્નાતક કે અનુસ્નાતક બીએડ કે પીટીસીની શૈક્ષણિક લાયકાત સાથે પાંચ વર્ષની શિક્ષક તરીકેની નોકરીનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. આગામી ત્રણ વર્ષમાં ૧પ હજાર મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે.’
શિક્ષકોના હિતમાં નિર્ણય લેવાશે
આ સંદર્ભે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના કાર્યાધ્યક્ષ સનતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ‘ઘણી ફરિયાદો અમારી પાસે આવી છે. આગામી દિવસોમાં રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘ સાથે ચર્ચા-વિચારણા કરી શિક્ષકોના હિતમાં નિર્ણય લેવાશે.’
અમે કંઈ કહી શકીયે નહીં
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતાં સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ પરીક્ષા માટેનું આયોજન અને નિર્ણય રાજ્યકક્ષાએથી થતો હોવાથી અમે કંઈપણ કહી શકીએ તેમ નથી.’