મહાનગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં ચૂંટણીસભાઓ ગજાવતાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યાં છે. સોહરાબુદ્દીન પ્રકરણ ટાંકતાં વાઘેલાએ જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન ભાજપનો કાકો છે. કારણ કે, સોહરાબુદ્દીનનું આખું ગક્ષેત્ર જનસંઘના સમયથી ભાજપમાં સક્રિય છે.
અમદાવાદના ગોમતીપુર, સરસપુર, મેઘાણીનગર અને સૈજપુર-બોઘા ખાતે જાહેરસભાને સંબોધતાં વાઘેલાએ ભાજપ શાસનની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે, સોહરાબુદ્દીન ભાજપનો કાકો છે કારણ કે, સોહરાબુદ્દીનનું આખું ગક્ષેત્ર જનસંઘના સમયથી ભાજપમાં સક્રિય છે. આ જ સોહરાબુદ્દીન જ્યાં સુધી ભાજપના રાજકારણીઓને ખંડણી ઉઘરાવવામાં મદદ કરતો હતો ત્યાં સુધી તેને ક્યારેય આતંકવાદી કહ્યો ન હતો. પરંતુ સોહરાબુદ્દીન પોતાનું મોં ખોલે અને ભાજપનો ભાંડો ન ફોડે તેટલા માટે તેને રસ્તામાંથી હટાવવામાં આવ્યો હતો.
તેમણે સભામાં મુખ્યમંત્રીને અણિયારા સવાલો કર્યા હતા કે, સ્વ. હરેન પંડ્યાની હત્યાની પુન: સીબીઆઈ તપાસની તેમનાં પત્નીની માગણીના મુદ્દે મોદી કેમ ચૂપ છે? અક્ષરધામ પર હુમલા વખતે ઘટનાસ્થળે ન ગયેલા પરંતુ લાશો પર રાજકારણ કરવા ટેવાયેલા મોદી મુંબઈ હુમલા વખતે મુંબઈ પહોંચી ગયા હતા. સંજય જોશીની સીડીકાંડમાં ગુજરાતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને મુંબઈ ભાજપ અધિવેશન વખતે સીડી વહેંચવાના આક્ષેપો થઈ રહ્યા હોવા છતાં મુખ્યપ્રધાન મોદી ચૂપ કેમ છે?
મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ માત્ર સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે પરંતુ નળ, ગટર, રોડ-રસ્તા, સફાઈ, પાણી અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં ભાજપ નિષ્ફળ ગયો હોવાથી નરેન્દ્ર મોદી આ મુદ્દાઓ વિશે વાત કરવાનું છોડીને કેન્દ્ર દ્વારા અન્યાય અને સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સીની ટીકા કરવા પર ઊતરી આવ્યા છે.