... છેલ્લા કેટલાક સમયથી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસમાં સાક્ષીઓની નિવેદન ફેરવી તોળવાની પરંપરા શરૂ થઈ છે તે જોતા અને આ પાછળના જવાબદાર પરબિળોને અનુલક્ષીને આગામી દિવસોમાં આ કેસની તપાસ રાજ્યની બહાર તબદીલ કરવામાં આવે તેવી પૂરતી શક્યતાઓ છે.
આઝમખાન, નઈમુદ્દીન, નુરુ ઘોઘારી, ભાઈલાલ રાઠોડ, નાથુભા જાડેજા- આ તમામ એ સાક્ષીઓ છે જેમણે છેલ્લા કેટલાક સમયમાં સોહરાબ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની કાર્યપ્રણાલી પર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે.
પ્રથમ દ્રષ્ટિએ ભલે એવુ લાગતુ હોય કે આ લોકોની નિવેદનો ફેરવી તોળવાની વૃત્તિથી કેસમાં સંડોવાયેલા કેટલાક હાઈપ્રોફાઈલ લોકોને ફાયદો થશે, પરંતુ શક્ય છે કે આગામી દિવસોમાં આ ઘટનાક્રમ બૂમરેંગ સાબિત થાય. ૨૩મી જુલાઈ, ૨૦૧૦ના રોજ સીબીઆઈની કોર્ટમાં આ તપાસ અંગેની ચાર્જશીટ રજુ કરતા પૂર્વે નાથુભા અને ભાઈલાલ રાઠોડે સીબીઆઈએ ધાક-ધમકીથી તેમને નિવેદન આપવા માટે મજબૂર કર્યા હોવાનું સોગંદનામુ તેમના વકીલ મારફતે કોર્ટમાં રજુ કર્યું હતું.
ત્યાર બાદ, બાકીના ત્રણ સાક્ષીઓએ સીબીઆઈ સમક્ષ નિવેદનો આપ્યા હોવા છતાં શાહ અને ચુડાસમાના બચાવમાં સોગંદનામા રજુ કરી આ સાક્ષીઓએ સીબીઆઈની કાર્યપદ્ધતિ પર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે. આ તમામ સોગંદનામાઓમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને અભય ચુડાસમાની આ કેસમાં કોઈ જ ભૂમિકા ન હોવાની બાબતનું પુનરાવર્તન કરે છે. તદ્ઉપરાંત, આગામી દિવસોમાં હજુ કેટલાક સાક્ષીઓ તેમના નિવેદનો ફેરવવાની પેરવીમાં છે.
તપાસને અન્ય દિશામાં લઈ જવા માટે જેલમાંથી થઈ રહેલા દોરીસંચાર, કંઈક અંશે રાજકીય દખલગીરી, તેમજ આ કેસના અન્ય આરોપીઓ વચ્ચે વધી રહેલા આંતરિક વિખવાદને કારણે આગામી દિવસોમાં સીબીઆઈ આ કેસને રાજ્ય બહાર ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજ કરે તેવી શક્યતા નકારી શકાય નહીં.
આ ઉપરાંત, ડીવાયએસપી અમીનની જેલ ટ્રાન્સફરના કેસ વખતે ઊભા થયેલા કાનૂની આટાપાટા, સીબીઆઇની ખાસ અદાલતના જજોની ટૂંક સમયમાં થયેલી બદલીઓ અને હાઇ પ્રોફાઇલ આરોપી સાથેના કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધરોબાથી તપાસમાં સર્જાતી અસર પણ કેસ તબદિલીનું મજબૂત કારણ બની શકે.
નાથુભા જાડેજા : સોહરાબ કેસની તપાસ સીબીઆઈના હસ્તક આવ્યા બાદ, સીબીઆઈને લગભગ અઢી દિવસ સુધી એટીએસનાં ડ્રાઇવર નાથુભા જાડેજાની સઘન પૂછપરછ કરી હતી. આ પૂછપરછથી ડરેલા જાડેજાએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી અને રજુઆત કરી કે, ‘સીબીઆઈ તેની ધરપકડ કરશે અને તેને ખોટી રીતે નિવેદન આપવા માટે પ્રેરશે.’
જો કે, સીબીઆઈએ નાથુભાની ધરપકડ ન કરવાની બાંયધરી આપી. આમ છતાં, તેણે જજ સમક્ષ સીબીઆઈ વિરુદ્ધ નિવેદન આપ્યું, તેની સર્ટિફાઇડ નકલ મેળવી અને આ નકલો માનવાધિકાર પંચ સહિતની સંસ્થાઓને ‘સ્વ બચાવ’માં મોકલ્યું. આટલી ક્વાયત પછી પણ આખરે તે સીબીઆઈના ખોળે જઈને બેસી ગયો હતો.
નુર મોહમ્મદ ઘોઘારી : કોર્ટમાં હાજર રહી સીબીઆઈ વિરુદ્ધ ‘બફાટ’ કરનારાં નુર મોહમ્મદ ઘોઘારીને ચૂડાસમાએ ધરપકડ પૂર્વે જ મીરઝાપુર કોર્ટ સંકુલમાંથી ઊઠાવી લીધો હતો. ઘોઘારીની પૂછપરછ કરી સીબીઆઈ ચૂડાસમાને ટ્રેપ કરવાની ફિરાકમાં હતી, પરંતુ ઘોઘારી ગમે તે રીતે સીબીઆઈના સકંજામાંથી ભાગી છુટ્યો.
કહેવાય છે કે, એક અધિકારીની છત્રછાયા હેઠળ તે અત્યાર સુધી છુપાતો રહ્યો. દરમિયાન, પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાયરિંગ કેસમાં ઘોઘારી વિરુદ્ધ વોરંટ નીકળતા તે આખરે કોર્ટ સમક્ષ હાજર થયો. જો કે, સીબીઆઈને નિવેદન આપી ચૂકેલા ઘોઘારીએ ચાર્જશીટ હાથમાં આવતાં ફેરવી તોળ્યું અને તેણે સીબીઆઈને આ પ્રકારનું કોઈ નિવેદન ન આપ્યું હોવાનું જણાવ્યું.
આઝમખાન : સોહરાબુદ્દીનના સાગરિત અને આ કેસમાં સીબીઆઈને ૧૬૪ મુજબનું નિવેદન આપી ચૂકેલા આઝમખાને હરેન પંડ્યા હત્યા કેસમાં ચુડાસમા અને શાહની ભૂમિકા પર સવાલો ઉભા કર્યા હતા. જોકે, બાદમાં તેણે પણ ફેરવી તોળી બે દિવસ પૂર્વેજ કોર્ટમાં સોગંદનામુ કર્યું હતું કે- આ નિવેદન તેણે સીબીઆઈના એક અધિકારીના દબાણથી અને કોંગ્રેસના એક નેતાના ઈશારે આપ્યુ હતું.
સીબીઆઇ વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ આઝમખાન પાછલા બે-ત્રણ દિવસથી ગાયબ થઇ ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન, આઝમખાનને ગોંધી રાખવામાં આવ્યો હોવા અંગે તેની પત્નીએ ઉદયપુરમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
મહેન્દ્ર સિંહ ઝાલા : પોલીસના બાતમીદાર મહેન્દ્રસિંહ ઝાલાના નામે જ આ કેસમાં સંડોવાયેલા એક અધિકારીએ કેટલીક અરજીઓ તૈયાર રાખી હતી. ઝાલાનો સંપર્ક થતાં જ તેની સહીઓ લઈને સીબીઆઈ વિરુદ્ધની ફરિયાદો સાથેની આ અરજીઓ આ અધિકારીએ માનવ અધિકાર પંચ સહિતની સંસ્થાઓને મોકલવાની તજવીજ કરી.
જોકે, સીબીઆઈ વિરુદ્ધ રજુઆત કરનારા ઝાલાએ પણ બાદમાં મુંબઈ જઈને સીબીઆઈની કચેરીમાં હાજરી આપી અને મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ અન્વયે આ કેસના સંડોવાયેલા વિરુદ્ધ નિવેદન આપ્યા.
નઈમુદ્દીન: સોહરાબના જ ભાઈ નઈમુદ્દીને પત્ર મારફત કોર્ટને એવી રજુઆત કરી કે સીબીઆઈએ આ કેસમાં તેનું નિવેદન દબાણપૂર્વક લીધું છે. આ નાટકીય વળાંક બાદ આ કેસ માટે લડત આપી રહેલા રૂબાબુદ્દીને નઈમુદ્દીન દ્વારા દબાણ હેઠળ કોર્ટ સમક્ષ આ ખુલાસો થયો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. વળી, નઈમુદ્દીને સ્વયમ હાજર રહીને જ્યારે કોર્ટ સમક્ષ આ ખુલાસો નથી કર્યો ત્યારે તેની સત્યાર્થતા પર પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.
... આ લોકોની સ્માર્ટનેસ જ બુમરેંગ સાબિત થઇ શકે
સ્વયંને શાતિર્દ સમજતા સોહરાબ કેસમાં સંડોવાયેલાં કેટલાંક પોલીસ અધિકારીઓ પોતાના પગ પર કુહાડો મારવાની પેરવીમાં છે. સાક્ષીઓનાં નિવેદનો સાથે છેડખાની કરવાની તેમની નેમ ક્યાંક સીબીઆઈને કેસ ગુજરાતની બહાર લઈ જવાની પ્રેરણા તો નહીં આપે ને ! સોહરાબ એન્કાઉન્ટર કેસની તપાસમાં ત્રણ માસનું ‘એક્સટેન્શન’ મેળવી ચૂકેલી તપાસ એજન્સી-સીબીઆઈ માટે આ કેસના જ કેટલાંક આરોપી અધિકારીઓ તપાસને વધુ સરળ બનાવવાની ફિરાકમાં છે.
આ આરોપી અધિકારીઓની વર્તણૂંક સીબીઆઈની આ કેસને ગુજરાતની બહાર ‘ટ્રાન્સફર’ કરવાની ઇચ્છાશક્તિ માટે નિમિત્ત બને તો નવાઈ નહીં ‘ડીબી ગોલ્ડ’ આ અંગેના કેટલાંક તાર્કિક કારણોને પાંચ સાક્ષીઓની વર્તણૂંક સાથે વિગતવાર અહીં રજુ કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોહરાબ કેસમાં સંડોવાયેલા કેટલાંક ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં દોરીસંચારથી જે પ્રકારે સાક્ષીઓ સીબીઆઈ વિરુદ્ધ વર્તી રહ્યા છે, તે ભવિષ્યમાં તેમને જ નડતરરૂપ બનશે. આ પ્રકારના જ પાંચ સાક્ષીઓની ‘ગેરવર્તણૂંક’ વિષે અહીં ઉલ્લેખ કર્યો છે.
આ પાંચેય - નાથુભા જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા, નૂર મોહમ્મદ ઘોઘારી, નઈમુદ્દીન અને આઝમખાને આ કેસની તપાસ સીબીઆઈને સોંપાયા બાદ જે રીતે વર્તાવ કર્યો છે, તે હાસ્યપાદ છે ! તેમના હાલના નિવેદનો અને તેમની સીબીઆઈ વિરુદ્ધ આક્ષેપો કરવાની વૃત્તિ કેસ પર ‘વિપરિત’ અસરો ઊભી કરશે.
હજુ સાક્ષીઓ ફરશે?
‘ડીબી ગોલ્ડ’ના સૂત્રોને પ્રાપ્ત જાણકારી અનુસાર આગામી દિવસોમાં હજુ ત્રણથી ચાર સાક્ષીઓ તેમના નિવેદનો ફેરવી તોળે તેવી શક્યતા છે. એટલું જ નહીં, આ સાક્ષીઓ પણ અગાઉના પાંચ સાક્ષીઓની માફક સીબીઆઈની બદબોઈ કરવાની કામગીરી કરશે.
જો આમ થશે તો સીબીઆઈને તપાસમાં થતી દખલગીરીનું સબળ કારણ મળશે અને તે સુપ્રીમ કોર્ટમાં આ કેસને રાજ્યની બહાર તબદીલ કરવા માટે રજુઆત કરશે.
અન્યોનું શું?
અત્યંત રસપ્રદ બાબત તો એ છે કે, જે-જે સાક્ષીઓએ આ કેસમાં તેમના નિવેદન ફેરવી તોળી સીબીઆઈની ભૂમિકા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કર્યા છે તે તમામે આ કેસમાં રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ અને ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન વડા અભય ચુડાસમાની ભૂમિકા ન હોવાનું એક-યા બીજી રીતે રટણ કર્યા કર્યું છે.
તો શું આ કેસમાં હાલ સજા ભોગવી રહેલા અન્ય આરોપી અધિકારીઓની જ ભૂમિકા હતી? આ મામલે જેલસ્થ પોલીસ અધિકારી અને કર્મચારી તેમ જ અન્યો આમને-સામને આવી ગયા છે. ડીવાયએસપી અમીનની તાજના સાક્ષી બનવાની સુનાવણી હવે નજીકમાં જ છે ત્યારે અન્ય પોલીસ કર્મચારીઓનો આંતરિક વિખવાદ આ કેસમાં નવા વળાંકો લાવે તેવી શક્યતા છે.સીબીઆઈને મદદ?
મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ આપેલા નિવેદનો બાદ પણ કેટલાક સાક્ષીઓએ કોર્ટમાં સોગંદનામા રજુ કરીને સીબીઆઈ સમક્ષ તેમનો આક્રોશ ઠાલવે છે ત્યારે હવે તેમની આ વાતને કાયદાકીય દ્રષ્ટિએ કેટલી યોગ્ય ઠેરવી શકાય તે હવે આવનારો સમય જ બતાવશે, પરંતુ આ તબક્કે આ વિરોધાભાસ સીબીઆઈ માટે મદદરૂપ બની શકે છે.