- ચાર જેસીબી, છ ટ્રેક્ટર, ચાર ફાયર ફાઈટર, બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
- 1991-92માં બનાવાઇ હતી દુકાનો
- 108 દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાવાઇ
- અન્ય દુકાનોમાં તિરાડો પડી ગઇ
- ઘટનામાં એકનું મોત, એકને ઇજા
- મૃતકના પરિવારજનોને સહાય કરાશે, ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો
નડિયાદમાં નગર પાલિકાની માલિકીની અને શહેરના મુખ્ય માર્ગ સંગ્રામ રોડની અડોઅડ આવેલી 1991-92માં બનેલી 31 દુકાનો પૈકી 25 દુકાનો શનિવારે સવારે 6.35 કલાકે ધરાશાયી થઇ ગઇ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેનું નામ મોહનભાઈ સિંધી હોવાનું જાહેર થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી જેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો.
ખરીદીનું હોટ સ્થળ મનાતી આ દુકાનો પડી ભાંગતા આ વિસ્તારની 108 દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાઇ હતી. બાકીની અમુક દુકાનોમાં તિરાડ પડી ગઇ છે જેને તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તરફથી ખાલી કરવાની સૂચના આપી દેવાઇ હતી.
- તંત્ર લાગ્યું કામે
ધરાશાયી થયેલી દુકાનોના કાટમાળને હટાવવા કટર, ચાર જેસીબી, છ ટ્રેક્ટર, ચાર ફાયર ફાઇટરને કામે લગાડાયા છે. જ્યારે બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. દરમિયાન મળતી માહિતી પ્રમાણે જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે મૃતકને સહાય કરાશે.
1991-92માં બનેલી આ દુકાનોને જાહેર હરાજીથી વેપારીઓને ભાડા પટ્ટે આપાઈ હતી.
ઘટનાની જાણ થતા નગરપાલિકાના પ્રમુખ સંજય દેસાઈ, મામલતદાર જયશ્રીબેન જરૂ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, જિલ્લા કલેક્ટર એમ.વી.પારગી, ટાઉન પીઆઈ એચ. કે. રાઠોડ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેન્જમેન્ટના અધિકારીઓ પહોંચી ગયા હતા.
- દુકાનો ધરાશાયી થવા પાછળનું કારણ આ હોઇ શકે છે
કાંસ ઉપર આ દુકાનો બનાવવામાં આવી હતી અને કાંસમાં કેમિકલયુક્ત પાણી વહી રહ્યું હતું તેથી માનવામાં આવી રહ્યું છે કે આ પાણીની અસરથી દુકાનો જમીનમાં બેસી ગઈ છે. જો કે સાચું કારણ તો તપાસમાં બહાર આવશે.
તમામ તસવીરો નરેશ ધનવાણી, નડિયાદ
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.