- આરટીઓએ અમદાવાદના ચાર લક્ઝુરિયસ કારના ડીલર્સને નોટિસ પાઠવી
- અમદાવાદ આરટીઓએ ટેમ્પરરી રજિસ્ટ્રેશન બંધ કરી દીધું
- અમદાવાદ-ગાંધીનગરમાં ફરતી મોટા ભાગની વૈભવી કાર ચંદીગઢ પાસિંગની છે
અન્ય રાજ્યોમાં પાસિંગ કરાવીને લક્ઝુરિયસ કારની ટેક્સચોરીનું કૌભાંડ ધ્યાને આવતાં અમદાવાદ આરટીઓ દ્વારા આ વાહનોનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન બંધ કરી દેવાયું છે. એટલું જ નહીં આરટીઓએ મોંઘી કારના અમદાવાદના મર્સિડિઝ બેન્ઝ, ઓડી, નિશાન અને બીએમડબલ્યુ કારના ડીલર્સને નોટિસ પાઠવી કારના વેચાણ, રજિસ્ટ્રેશન વગેરેની વિગતો પૂરી પાડવા તાકીદ કરી છે.
ટેક્સ વસૂલાત માટે ‘વેટ’ વિભાગને પણ સર્વે કરવા જણાવાયું છે. એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં જ આવી ૧૦૦થી વધુ વૈભવી કાર ફરી રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘી કારના વેચાણમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે મોટા ભાગની કાર અન્ય રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટર કરાવીને શહેરમાં ફેરવવામાં આવે છે.
આરટીઓનાં સૂત્રોએ જણાવ્યું કે, નિયમ મુજબ આવી કાર એક વર્ષથી વધુ સમય માટે જે-તે રાજ્યમાં ફરે તો ત્યાંનું સ્થાનિક રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અમદાવાદ આરટીઓ જે.એન. બારેવાડિયાએ જણાવ્યું કે, એક અંદાજ મુજબ અમદાવાદમાં અન્ય રાજ્યોમાં પાસિંગ-રજિસ્ટ્રેશન થયેલી ૧૦૦થી વધુ કાર ફરી રહી છે. આ અંગે અમદાવાદના ચાર ડીલરોને વાહનોનાં વેચાણ અને રજિસ્ટ્રેશન અંગેની વિગતો પૂરી પાડવા લેખિતમાં આદેશ કર્યો છે.
ગુજરાતમાં ટેક્સ ઊંચો ભરવો પડતો હોવાથી આ કારનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં કરવામાં આવે તો ૬થી ૧૨ ટકા જેટલો ટેક્સ ભરવો પડે છે, પરંતુ આ જ કારનું રજિસ્ટ્રેશન કે પાસિંગ કેન્દ્રશાસિત અથવા અન્ય રાજ્યોમાં કરાવવામાં આવે તો ટેક્સની રકમ ઓછી થઈ જાય છે. જો કે અમદાવાદમાં ફરતી મોટા ભાગની વૈભવી કારનું રજિસ્ટ્રેશન ચંદીગઢનું હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
કેન્દ્રશાસિત પ્રદેશને કારણે ચંદીગઢમાં ટેક્સની ટકાવારી ગુજરાતની સરખામણીએ નજીવી થવા જાય છે. આરટીઓનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ફરતી વૈભવી કારનું ગુજરાતમાં રજિસ્ટ્રેશન થાય તો આરટીઓની આવકમાં લાખો રૂપિયાનો વધારો થશે.
વેટ વિભાગને પણ સર્વે કરવા જણાવાયું
અમદાવાદમાં ફરતી મોંઘી દાટ કારનો ટેક્સ વસૂલવા માટે આરટીઓ દ્વારા ‘વેટ’ વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવી છે અને વેટ વિભાગે સર્વે પણ હાથ ધર્યો છે. જાણકારો કહે છે કે, મોંઘી કાર ઉપર ૧૫ ટકાનો ‘વેટ’ ભરવો પડે છે અને અન્ય રાજ્યોમાં રજિસ્ટ્રેશન થયું હોય તો પણ આ વાહનોએ ગુજરાતમાં એન્ટ્રી ટેક્સ અને ફોર્મ-સી ભરવાનું રહે છે.
જો મોંઘી કાર માટે આ પ્રક્રિયા કરવામાં ન આવી હોય તો વાહનમાલિક પાસેથી ૧૫૦ ટકા પેનલ્ટી વસૂલ કરવાની જોગવાઈ છે.
૨૫મી ડિસેમ્બર સુધીમાં સ્વૈચ્છિક રીતે ટેક્સ ભરવા તાકીદ
અમદાવાદ તથા ગાંધીનગરમાં મોંઘી કાર ધરાવતા વાહનમાલિકોને ૨૫મી ડિસેમ્બર સુધીમાં સ્વૈચ્છિક રીતે ટેક્સ ભરે તો તેમને અન્ય રાજ્યોમાંથી નો ડ્યૂસર્ટિફિકેટ (એનઓસી) લાવવાની જરૂર રહેશે નહીં અને માત્ર ટેક્સ ભરવાનો રહેશે, પરંતુ ત્યારબાદ નોટિસ આપવામાં આવેલા માલિકોને ટેક્સ ઉપરાંત ૨૫ ટકા દંડ અને ૧૮.૫ ટકાના વાર્ષિક દરે વ્યાજ ભરવું પડશે. ટેક્સ ન ભરનારાઓનું વાહન જપ્ત કરવા સુધીનાં પગલાં ભરવાની તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરાશે.