મુખ્યમંત્રી અને કલેક્ટરની હૈયાધારણા કાગળ ઉપર : ૧૬ ગામના નાગરિકો અને વાહન ચાલકોને હાલાકી
સૌરાષ્ટ્ર, મુંબઈને જોડતો અને આણંદ, ખેડા ભરૂચ, સુરત, વડોદરા તથા સૌરાષ્ટ્રની ત્રિભેટ આવેલ તારાપુર-વટામણ હાઈવેનો ગોલાણા બ્રીજ જર્જરિત બનતાં જોખમી સ્થિતિનું સર્જન થયું છે. ર૪ કલાક વાહનોથી ધમધમતા આ આઝાદી પૂર્વેના બ્રીજમાં તિરાડો, પેરાફીટ ઉપર ગાબડા પડી ગયા હોઈ મોટી હોનારત સર્જાવાતી સંભાવના છે. આ બ્રીજની ભયાવક સ્થિતિને પગલે મુખ્યમંત્રીએ વિશેષ સંદેશો પાઠવી ૮ ઓગ.૨૦૧૦માં જિલ્લા કલેક્ટરને સૂચનો કરી સદર પુલને પહોળો કરવા આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી અને કલેક્ટરની હૈયાધારણા બે વર્ષ પછી પણ માત્ર કાગળ ઉપર રહેતાં સ્થાનિક ૧૮ હજારથી પણ નાગરિકો તથા વાહનચાલકોને રોષ ભભૂકી ઉઠયો છે.
આ અંગે ખડાના અગ્રણી બિપીનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તારાપુર વટામણ હાઈવે પરનો ગોલાણા-કાઠીયાવાડને જોડતો બ્રીજ સાબરમતી નદી ઉપર આવેલો છે. સતત વાહનોની અવરજવરને કારણે જર્જરિત બનેલો પુલનું આયુષ્ય પૂર્ણ થયું હોવાનું ઈજનેરો તથા પંચાયત વિભાગ પણ જણાવે છે. આ પુલને પહોળો કરવા બે વર્ષ પૂર્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્થાનિક પંચાયતના સરપંચો, અગ્રણીઓએ રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ રાજ્ય સરકાર તરફથી ખાસ સંદેશો આણંદ જિલ્લા કલેક્ટર કચેરીને મોકલવામાં આવ્યો હતો. જેમાં અનુસંધાને તા.૯ ઓગ.૨૦૧૦ના રોજ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા સદર પુલને ૮૦ મીટર ઉંચો અને ૪૦ મીટર પહોળો બનાવવાની હૈયાધારણા આપી હતી.
અકસ્માત જન્ય આ બ્રીજના રિપેરિંગ કે નિર્માણની કોઈ જ કામગીરી આજદિન સુધી હાથ ન ધરાતાં ૧૩ ગામના નાગરિકો તથા હજારો વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. મહિલા અગ્રણી સુમનબેન પરમારે જણાવ્યું હતું કે આ બ્રીજ વર્ષે જૂનો અને સાંકડો હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ગોલાણાથી વટામણ જવા માટે ૧પ મિનિટના સ્થાને ક્યારે દોઢથી બે કલાકનો સમય થાય છે. તંત્ર દ્વારા સત્વરે બ્રીજ નિર્માણની કામગીરી હાથ ધરાય તે જરૂરી છે.
પીલર અને પેરાફીટમાં તિરાડો
સાબરમતી નદી ઉપર આવેલ અડધો કિમી ગોલાણા-ફતેપુરા બ્રીજ ઉપરથી પસાર થતાં વાહનના ચાલકો ડરે છે. આ બ્રીજના વિશાળકાય જ પીલરોમાં તિરાડ પડી છે તેમજ પેરાફીટ પણ ઠેર-ઠેર તૂટી ગઈ છે. સ્થાનિક ખેડૂતોના મતે, વારંવાર અકસ્માત સર્જતા આ પુલના નવિનર્માણની કામગીરી ઝડપથી હાથ નહીં ધરાય તો ગોજારો અકસ્માત સર્જાશે.
વાહન પસાર થતાં ધ્રુજારી ઉદભવે છે
પાંચ જિલ્લા માટે અતિમહત્વના ગણાતા માર્ગ ઉપરનો સૌથી મોટા બ્રીજના નિર્માણમાં બેદરકારીથી ઠેર-ઠેર રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોના જણાવ્યા મુજબ જર્જરિત બ્રીજને કારણે જ્યારે આ બ્રીજ ઉપરથી વાહન પસાર થાય છે. ત્યારે ધ્રુજારી ઉદભવે છે. હેવી વ્હીકલ દરમિયાન તો લાંબા સમય સુધી વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે.
૧૬ ગામ અને ૧૮ હજાર નાગરિકોની વેદના
તારાપુર અને ધંધૂકા તાલુકાના ૧૬ જેટલા ગામના ખેડૂતો તથા વિદ્યાર્થીઓ માટે ગોલાણા બ્રીજ અતિમહત્વનો છે. ૧૮ હજાર જેટલા નાગરિકોની હાલાકી પછી પણ તંત્ર ચૂપ હોઈ પ્રજામાં અસંતોષ છે. ફતેપુરા, વટામણ, ગોલાણા, ગલિયાણા, રીંઝા, નભોઈ, પચેગામ, ઈન્દ્રણજ, ખડા, ઈસરવાડા જેવા ગામોના ખેડૂતોને ખેતીકાર્યમાં મુશ્કેલી પડે છે. બિમારી કે એક્સીડન્ટ જેવા કેસ વખતે બ્રીજને કારણે મુશ્કેલી વેઠવી પડે છે.