ગાંધીનગર ટાઉનહોલ ખાતે આજે પદાધિકારીઓની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર તાલુકાથી માંડીન જિલ્લો બન્યો ત્યારથી વિકાસમાં યોગદાન આપનાર ધારાસભ્ય, આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર તાલુકા પંચાયત દ્વારા આજે પદાધિકારીઓની શિબિર સાથે યોજાયેલા સન્માન સમારંભમાં વિકાસ યોજનાની માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સેવાનું આ યોગ્ય સન્માન સેવાકીય ક્ષમતાને વધુ સમાજપયોગી બનાવવાનું પગલું છે.
ગુજરાતમાં સમતુલિત વિકાસ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, શ્રીમંત અને ગરીબ વચ્ચેની ભેદરેખા ઓછી કરી, વંચિતોની ચિંતા કરવી જોઇએ.અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સહિયારા પુરુષાર્થના આ સન્માનમાં ઉજજવળ આવતીકાલ માટે છેવાડાના સામાન્ય માનવીને વિકાસલક્ષી ફળ ચાખવા મળશે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી કાસમબાપુ, વાડીભાઇ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડા અને પોપટલાલ પટેલે જણાવ્યું હતું કે, પંચાયતના સરપંચો અને સદસ્યો પણ આ સન્માનના અધિકારી છે. આ પ્રસંગે ૨૦ જેટલા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ ડૉ.કૌશિક શાહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, પંચાયતી રાજના કારણે ગાંધીનગરનો હરણફાળ વિકાસ થઇ શક્યો છે. આ સમારંભમાં ડીડીઓ એમ.એ.ગાંધી, સરપંચો, પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં.