પાછોતરો સુકારો નામનો રોગ : જીરાના પાકને પણ માઠી અસર : ખેડૂતોમાં ચિંતાની લાગણી
ગાંધીનગર જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાના પાકનું અંદાજે ૭,૮૧૬ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ અસહ્ય ઠંડી પડવાથી પાછોતરો સુકારો નામનો રોગ ફેલાયો છે. જેના કારણે બટાકાના ઉત્પાદનમાં ૧પ ટકા જેટલો ઘટાડો થવાની ભીતિ વર્તાઇ રહી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ વર્ષે જિલ્લાના ખેડૂતોએ હોંશેહોંશે બટાકાના પાકનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કર્યું હતું. તેમને એવી આશા હતી કે, બટાકાનો પાક ખૂબ સારા પ્રમાણમાં ઉતરશે અને પોષણક્ષમ ભાવ મળવાથી સારી આવક થશે. પરંતુ ગાંધીનગરમાં ૧૯મી જાન્યુઆરીના રોજ ઠંડીનો પારો નીચે ઉતરીને પ.પ ડિગ્રીએ પહોંચ્યો હતો. તે સમયે બટાકાના પાકને થોડા પ્રમાણમાં નુકશાન થયું હતું.
તે પછી ૯મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર જિલ્લામાં રેર્કોડ બ્રેક ઠંડી નોંધાઇ હતી. ઠંડીનો પારો ૩.પ ડિગ્રીએ નીચે ઉતરતા બટાકાના પાકને વધુ એક ફટકો પડયો છે. જાણકારોના કહેવા મુજબ અસહ્ય ઠંડીના કારણે બટાકાના વાવેતરમાં પાછતરો સુકારાના રોગે દેખા દીધી હતી. તે પછી તાજેતરની અસહ્ય ઠંડીના કારણે છોડ ઉપરના ગ્રીન સેલ બળી જવા પામ્યા છે. જેથી બટાકાના ફળનો વિકાસ અટકી જશે અને ફળ નાનું ઉતરશે. આવી પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે બટાકાના ઉત્પાદનમાં અંદાજે ૧પ ટકા જેટલો ઘટાડો થવાની ભીતિ વર્તાઇ રહી છે. જેના કારણે ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.
જિલ્લા ખેતીવાડી શાખામાંથી જાણવા મળ્યા મુજબ અસહ્ય ઠંડીના કારણે બટાકાના છોડમાં રોગની શરૂઆત થઇ હતી. ટોચ ઉપરના પાંદડા, દાંડી અને પ્રકાંડ ઉપર જાંબુડીયા તથા કાળા રંગના ટપકા જોવા મળ્યા છે. તે પછી ખૂબ ભેજવાળું વાતાવરણ થતા રોગીષ્ટ પાંદડાની નીચેના ભાગે સફેદ રંગની ફૂગ જોવા મળી છે. વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતા પાક દઝાઇ ગયો હોય તેમ દેખાય છે અને તીવ્ર વાસ પણ આવે છે.
ગાંધીનગરના ચિલોડા પંથકમાં ભીંડાનું વાવેતર કરનારા ખેડૂતોની બૂરી દશા બેઠી છે. ઠંડીથી ભીંડાનો પાક નિષ્ફળતાના આરે આવીને ઊભો છે. જેના કારણે અંદાજે ૪પ લાખ રૂપિયાનું બિયારણ એળે જવાની ભીતિથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. આ અંગે જાણવા મળે છે કે, જિલ્લાના ચિલોડા, ડભોડા અને શિહોલી તથા ગાંધીનગર તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોએ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ભીંડાનું વાવેતર કર્યું હતું. એક ખેડૂતે બિયારણ પાછળ અંદાજે ૬ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ભીંડાના બિયારણનો એક કિલોનો ભાવ રૂ.૧પપ૦ જેટલો છે.
હેકટર પ્રમાણે ભીંડાના વાવેતર તરફ નજર કરવામાં આવે તો સમગ્ર પંથકના ખેડૂતોએ અંદાજે ૪પ લાખ રૂપિયાના બિયારણની ખરીદી કરી હતી. મોંઘા દાટ બિયારણનું વાવેતર કર્યા બાદ પિયત અને વાવણીનો ખર્ચ પણ હવે માથે પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા ૧પ દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીએ ભીંડાનું વાવેતર કરનારા ખેડૂતોની દશા બૂરી કરી દીધી છે. પોષણક્ષમ ભાવ પણ ઉપલબ્ધ ન થાય તેવી દહેશતથી ખેડૂતો પારાવાર પસ્તાવો વેઠી રહ્યાં છે. આ ઉપરાંત અસહ્ય ઠંડીની માઠી અસર જીરૂના પાક ઉપર પણ થવા પામી છે. જેથી જીરૂનો પાક પણ ઓછો ઉતરવાથી ખેડૂતોને નુકશાની વેઠવી પડે તેવુ લાગી રહ્યું છે.
સુકારાના રોગને નિયંત્રણમાં લેવાના ઉપાય
બટાકાના પાકમાં પાછોતરો સુકારાના રોગે દેખા દીધી છે તેને નિયંત્રણમાં લેવા ગાંધીનગર જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ કેટલાક સૂચનો-ઉપાયો દર્શાવ્યા છે. જેને અનુસરવા ખેડૂતોને અનુરોધ કરાવ્યો છે. તેમાં સૌ પ્રથમ દવાનો છંટકાવ કરવો અથવા રોગની તીવ્રતા વધુ હોય તો મેટાલેક્ષીલ ૧ કિલો હેકટરે અથવા પ્રોપીનેબ ૧.પ કિલો હેકટરે એક હજાર લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જરૂરી છે. આવા બે-ત્રણ છંટકાવ કરવાથી પાછોડતરા સુકારા ઉપર નિયંત્રણ આવે છે.