- ‘સ્વર્ણિમ’ ઉજવણીના ભાગરૂપે ૩૪૪થી વધુ કેદીઓને મુક્તિ અપાઈ છે ત્યારે કેટલાક સાથે ભેદભાવ રખાયો હોવાની ફરિયાદ
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં રાજ્ય સરકારે જેલના કેદીઓને પણ સાંકળી લીધા છે. આ વિશેષ ઉજવણીના ભાગરૂપે રાજ્યની ૨૫ જેલોમાંથી ૩૪૪ કેદીઓને મુક્તિ આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્ય સરકારે જુદા જુદા દિવસો કે તહેવારોને ધ્યાનમાં રાખીને ૧૭ વખત કેદીઓને સજામાફીનો લાભ આપ્યો છે અને કુલ ૧૧૪૭ જેટલાં કેદીઓને છોડયા છે.
ગુજરાત સ્થાપનાને ૧લી મે-૨૦૧૦ના રોજ ૫૦ વર્ષ પૂરા થયાં છે. આ પ્રસંગે અમુક પ્રકારની સજા ભોગવી ચૂકેલા કેદીઓને છોડવાનો નિર્ણય સરકારે લીધો હતો અને તે અંગેના ઠરાવો ૨૮-૨૯ એપ્રિલના રોજ કરવામાં આવ્યા હતા. આ ઠરાવોના પગલે રાજ્યની ૨૫ જેલોમાંથી ૩૪૪ કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૩૪ પુરુષ તથા ૧૦ સ્ત્રી કેદીઓનો સમાવેશ થાય છે.
હત્યા, બળાત્કારથી માંડીને સામૂહિક હત્યાકાંડના આરોપીઓને પણ સજા માફીનો લાભ આપવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણય વિવાદમાં ઘેરાયો છે. સરકારે માનગઢ ખાતે ૧૧ વ્યક્તિઓની સામૂહિક હત્યા અને અમરાઈવાડી ટ્રિપલ મર્ડર કેસના આરોપીઓની બાકીની સજા માફ કરી છે, પરંતુ પાછલા ૧૮ વર્ષથી જનમટીપની સજા ભોગવી રહેલા લતીફ ગેંગના સાગરિતોને આ માફીનો લાભ અપાયો નથી.
જેના કારણે સજા માફીમાં રાજ્ય સરકારે બેવડા ધોરણો અપનાવ્યા હોવાના આક્ષેપ સાથે લતીફના એક સાગરીતે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી અને પોતાને સજા માફીનો લાભ આપવા દાદ માગી હતી. જેના પગલે હાઈકોર્ટે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જેલ સત્તાવાળાઓ અને ગૃહવિભાગને નિર્દેશ આપ્યા છે.
લાભ કોને? ૩૦૨ના ગુનામાં સજા માફી
ઇ.પી.કો. કલમ ૩૦૨ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને ૩૦-૪-૧૦ની સ્થિતિએ ૧૨ વર્ષની સજા ભોગવી હોય તેવા કેદીઓની બાકીની સજા સંપૂર્ણ માફ કરવામાં આવી છે. આ કક્ષા હેઠળ ૬૧ પુરુષ તથા ૧ સ્ત્રી કેદીનો સમાવેશ થાય છે.
ઇ.પી. કો. કલમ ૩૦૨ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને ૩૦-૪-૧૦ની સ્થિતિએ ૫ વર્ષની કોરી સજા ભોગવી ચૂક્યા હોય તેવા ૬૫ વર્ષની વય ધરાવતા ૧૭ પુરુષ કેદીઓની બાકીની સજા સંપૂર્ણ માફ કરવામાં આવી હતી.
ઇ.પી. કો. કલમ ૩૦૨ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને ૩૦-૪-૧૦ની સિથતિએ ૫ વર્ષની કોરી સજા ભોગવી હોય તેવી ૬૦ વર્ષની વય ધરાવતી સ્ત્રી કેદીઓની બાકીની સજા માફ કરવામાં આવી હતી. તેમાં ૬ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.
આજીવન કેદની સજા સિવાયની સજાવાળા કેદીઓ- જેઓએ તા.૩૦-૪-૧૦ની સ્થિતિએ સેટઓફ તેમ જ મેળવેલ માફી સહિત ૭૫ ટકા સજા પૂર્ણ કરેલ હોય તેવા કેદીઓની બાકીની સજા સંપૂર્ણ માફ કરવામાં આવી હતી. આવા ૨૫૬ પુરુષ તથા ૩ સ્ત્રી કેદીઓને જેલ મુક્ત થયેલા છે.
શું છે વિવાદ ? કોર્ટે ગૃહવિભાગને નિર્દેશ આપ્યા
ભાવનગરના માનગઢમાં ૧૯૮૪-૮૫ના વર્ષમાં થયેલી ૧૧ જણાની સામૂહિક હત્યાના કેસમાં સાત આરોપીઓને અને ૧૯૮૩માં અમરાઈવાડીમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં ત્રણથી વધુને આજીવન કેદની સજા થઈ હતી. ૨૦૦૧માં આ બંને કેસના નવ આરોપીની બે વર્ષની સજા માફ થઈ હતી. જોકે, અબ્દુલ લતીફ ગેંગના ૧૪ આરોપીઓ પૈકી નવ આરોપીઓ ૧૮ વર્ષથી જેલમાં હોવા છતાં તેમને માફી આપવામાં આવી નહોતી.
લતીફ ગેંગના સાગરિત તજમુલ અન્સારીની પત્ની સમસુદનિશાએ આરટીઆઈ અંતર્ગત હત્યાકાંડના આરોપીઓને અપાયેલી સજા માફી અંગે ઉપરોકત વિગતો ૧ જુલાઈ, ’૧૦ના રોજ મેળવી હતી. બીજી બાજુ, હત્યાકાંડ જેવા ગંભીર કેસમાં માફી આપીને સરકાર પોતાની સાથે ભેદભાવ રાખતી હોવાના આક્ષેપ સાથે લતીફ ગેંગના મહંમદ ફાઈટરે હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી. જેમાં કોર્ટે ગૃહવિભાગને અને જેલ સત્તાવાળાઓને આરોપીની સજા માફી અંગે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યા છે.
આ અંગે વધુ વિગતો મેળવવા રાજ્યની જેલોના વડા પી.સી. ઠાકુરનો સંપર્ક સાધી શકાયો નહોતો. અલબત્, જેલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા કેદીઓને માફી આપવા વખતો-વખત નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં ટાડા, પોટા, નાકોર્ટિકસ, બનાવટી નોટો જેવા દેશદ્રોહના ગુનામાં આ કેદીઓને સજા માફી નહીં આપવાનો પરપિત્રમાં ઉલ્લેખ કર્યો છે. જેના લીધે આ કેદીઓને માફી આપવામાં આવતી નથી.
૧૭ વખત માફી: ૧૧૪૮ કેદીઓને મુક્તિ
અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૭ વખત કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે અને ઉપલબ્ધ માહિતી અનુસાર ૧૧૪૮ કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓમાં ખાસ કરીને ખૂનના ગુનાના કેદીઓ વધુ છે. સૌથી પહેલાં ૧૯૭૫માં સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે કેદીઓને રાજ્યમાફી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૭૮માં ૨૮મા પ્રજાસત્તાક દિન નિમિત્તે તેમ જ શ્રી જયનારાયણના જન્મજયંતિ નિમિત્તે કેદીઓને મુકિત અપાઈ હતી.
જો કે આ દિવસોએ કેટલાં કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. તેની વિગતો મહત્તમ જેલ સત્તાવાળાઓ પાસે પણ ઉપલબ્ધ નથી. કેટલીક જેલોએ જણાવેલી વિગતો મુજબ માત્ર ૧૫ કેદીઓને જ મુક્ત કરાયાં હતા. જ્યારે ૧૯૮૪માં શ્રી રવિશંકર મહારાજની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે ૭ કેદીઓને જ જેલમુક્ત કરાયા હતા. તો ૧૯૮૯માં પંંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જયંતિ નિમિત્તે ૩ કેદીઓને તો ૧૯૯૫માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૯ કેદીઓને જેલમુક્ત કરાયા હતા.
આવી જ રીતે ૧૯૯૭માં આઝાદીની ૫૦મી સુવર્ણ જંયતિ સહિતના અન્ય બે પ્રસંગોએ કુલ ૩૪૮ કેદીઓને છોડવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૦૧માં મહિલા અધિકાર વર્ષ ૨૦૦૧ની ઉજવણી નિમિત્તે જેમાં ૫ મહિલા કેદીઓને છોડવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૦૩માં વડાપ્રધાન વાજપાઇની ૮૦મી જન્મ જયંતિ નિમિત્તે પણ બે તબક્કામાં ૨૨૩ કેદીઓને છોડવામાં આવ્યા હતા. ૨૦૦૭માં ગાંધીજીની સત્યાગ્રહ ચળવળના ૧૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે જન્મટીપની સજા પામેલા તથા જન્મટીપની સજા સિવાયના ૨૨૧ કેદીઓને જેલમુક્ત કરાયા હતા.