પોલીસ દ્વારા મોબાઇલ ફોનના લોકેશનથી હત્યારાઓને શોધવા તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નથી
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા કૃષ્ણગામ સોસાયટીમાં રહેતા અને ગુજરાત યુનિવર્સિટીમાં એમસીએમાં અભ્યાસ કરતા રતનકુમાર મહાવીર યાદવની ગઈ ૧૭મી ઓગસ્ટે તેના મિત્રો હત્યા કરીને લાશ એસ.જી હાઈવે પાસે આવેલા તારાપુર ગામના પાટિયા પાસે નાખીને ગયા બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસ મોબાઇલ ફોનના લોકેશનથી હત્યારાઓને શોધવા તપાસ શરૂ કરી હતી, પરંતુ હત્યારાઓને હજી સુધી પોલીસ પકડી શકી નથી.
આ સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી અનુસાર અમદાવાદના નરોડા કૃષ્ણગામ સોસાયટીમાં રહેતો અને ગુજરાત યુનિવર્સિટીમાં એમસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા રતનકુમાર યાદવની ગઈ ૧૭મી ઓગસ્ટે હત્યા થઈ હતી. બનાવના દિવસે સવારે કોલેજ જવા નીકળેલો રતનકુમાર તેની મમ્મીને સાંજે મોડો આવશે તેમ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે ફોન કરીને મોડું થશે ચિંતા કરવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું હતું.
પરંતુ મોડીસાંજે જ્યારે ત્યારબાદ માતાએ રતનકુમારને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. રાતના દસ વાગ્યા સુધી રતનકુમારનો પત્તો ન લાગતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બીજી બાજુ મોડીરાત્રે ગાંધીનગર-સરખેજ હાઇવે પર તારાપુર ગામની સીમમાં પાટિયા પાસેથી રતનકુમારની લાશ મળી હતી.
રતનકુમારના મિત્રો બીજા કોઈ સ્થળે હત્યા કરીને લાશ તારાપુર પાસે ફેંકી દીધી હતી. રતનકુમારની ૬૦ હજાર રૂપિયાની ઉઘરાણીમાં તેના મિત્રોએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, પરંતુ તપાસ ચાલતી હોવાથી પોલીસ આ અંગે કશું બોલતી નથી.
પોલીસ મોબાઈલ લોકેશનને આધારે તપાસ શરૂ કરી હતી. રતનકુમારની હત્યા થયાને બે અઠવાડિયા જેટલો સમય થઇ ગયો છે પણ હત્યારાઓ હજી પકડાયા નથી. આ બનાવની તપાસ કરતાં પીઆઇની બદલી થઇ ગઇ છે. હવે અડાલજમાં નવા પીઆઇ એમ.એ. ચૌધરીની નિમણૂક થતાં હત્યાની તપાસ નવેસરથી કરવાના છે.