ટ્રાફિકમાં ખોવાઇ ગયેલા આપણા રસ્તા અને શેરીઓ આપણે પાછી મેળવવી જરૂરી છે. હું ઇચ્છું છું કે અમદાવાદના રસ્તા અને સ્ટ્રીટ્સ વધુ લિવેબલ બને. અમદાવાદ ચારેય બાજુ વિસ્તરી રહ્યું છે ત્યારે આપણે કેટલુંક પ્લાનિંગ પણ કરી લેવું જોઇએ તેવું માર્ક ગોર્ટને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં પ્રેઝન્ટેશન બાદ સિટી ભાસ્કરને જણાવ્યું હતું. આ સાથે જ તેમણે સલાહ પણ આપી હતી કે, ન્યૂયોર્કમાં જે ભૂલો અમે કરી છે તે અમદાવાદમાં રીપીટ ન થાય તે જરૂરી છે. એએમએમાં મ્યુનિ. કમિશનર મહાપાત્રાએ કહ્યું હતું કે, અમે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેરની જેમ અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારને નો-વ્હીકલ ઝોન તરીકે ડેવલપ કરવાનું વિચારીએ છીએ. લો-ગાર્ડન માટે પણ આવી જ કંઇક વિચારણા ચાલી રહી છે, જ્યાં લોકો સરળતાથી હરીફરી શકે.
શહેરના ટ્રાન્સપોટેંશનમાં કારનું મહત્વ દિવસે-દિવસે વધી રહ્યું છે, ત્યારે કાર પરની આ નિર્ભરતા ઘટાડવી જોઈએ. ભારતના એક અઠવાડિયાના પ્રવાસે આવેલા આંત્રપ્રિન્યોર માર્ક ગોર્ટને એનઆઈડીમાં જણાવ્યું હતું કે, ભારત હાલ ટર્નિગ પોઈન્ટ પર આવીને ઊભું છે. વિકાસની સાથે જ ટ્રાન્સપોટેંશન ટેક્નોલોજી પર પણ ધ્યાન આપવાની અને જાહેર પરિવહનની સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાની જરૂર છે.
ન્યૂયોર્કની ઓપન સ્ટ્રીટને સાઈકલ સવારો અને પગપાળા લોકો માટે સલામત બનાવવામાં ગોર્ટને મુખ્ય ભૂમિકા ભજવી છે. ગોર્ટને બહેતર શહેરી જીવન માટે ટ્રાન્સપોટેંશન વ્યવસ્થાને વધારે સારી બનાવવા સૂચન કર્યું હતું. વિશ્વના અન્ય દેશોમાંથી બોધપાઠ લઈને ભારતે સસ્ટેઈનેબલ ટ્રાન્સપોટેંશન પર ભાર મૂકવો જોઈએ. અર્બન પ્લાનિંગમાં શહેરીજનોને પણ સાંકળવા જોઈએ અને તે માટે ક્રાઉડ સોર્સિંગ, જીપીએસ ટ્રેકિંગ સહિતની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. ઓછી સ્પીડના ઝોન અને પાર્કિંગ પર નિયંત્રણ મૂકતાં ઝોન જેવા પગલા લઈને કારના ઉપયોગને ઘટાડી શકાય છે. તાજેતરમાં અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે, ઓછો ટ્રાફિક હોય ત્યારે શહેરની ગલીઓમાં ચાલવા માટેની પૂરતી જગ્યા હોય છે અને એકંદરે બધા ખુશ હોય છે.’