આણંદ પાસેના બોરીઆવી હાઇવે ઉપર મધરાત્રે ટોર્ચના અજવાળે ત્રણ ટ્રક ચાલકોને રોકી લાકડાના દંડાથી માર મારી લૂંટારાઓએ ૩૨૫૦૦ રૂપિયાની મતાની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રના હિંગુલી જિલ્લાના અખાડા બાલાપુરના કલમનુરી ખાતે રહેતા મારૂતિ ગણપતરાવ મરાઠા નાંદેર માળા ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તા.૩૧-૧૨-૧૧ના રોજ રાત્રે તેઓ ટ્રક નંબર એમ.એચ.૨૬.એચ.૬૭૧૪માં મહારાષ્ટ્રના નંદગાવથી કપાસ ભરી રાજકોટ જવા રવાના થયાં હતાં. તેઓની સાથે બીજા ચાલક તરીકે સંતોષ કદમ પણ સાથે હતો.
તેઓ તા.૧-૧-૧૨ના રોજ રાત્રિના બે વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સામરખા ચોકડી થઇ બોરીઆવી તરફ આગળ વધી રહ્યાં હતાં. દરમિયાન બોરીઆવી મોટી નહેર પાસે એક ઇસમે ટોર્ચનો પ્રકાશ મારી ટ્રકને રોકાવાનો ઇશારો કરતાં મારૂતિએ ટ્રક ઊભી રાખી હતી. ટોર્ચ મારનારાં ઇસમે મારૂતિને નીચે ઊતાર્યો હતો. એ દરમિયાન બીજા એક ઇસમે ત્યાં આવી મારૂતિને પકડી લીધો હતો.
આ બંને ઇસમોએ મારૂતિને ઉંચકી બાજુની ગટરમાં લઇ ગયાં હતાં. જ્યાં બીજા બે ઇસમો સાથે મળી કુલ ચાર લૂંટારાઓએ લાકડાના દંડાથી માર મારી ખિસ્સામાંથી ૬ હજાર રૂપિયા રોકડા તેમજ મોબાઇલ લઇ લીધો હતો.
બાદમાં બે ઇસમોએ ટ્રકની અંદર સૂઇ રહેલા સંતોષ કદમને પણ ઉંચકી ગટરમાં લાવી તેને પણ માર માર્યા બાદ બંનેના હાથપગ બાંધી દીધાં હતાં. એક ઇસમ ફરીથી રોડ ઉપર આવી ટોર્ચ બતાવી અન્ય બે ટ્રકને ઊભી રખાવી હતી. જેમાં એક ટ્રકના ચાલક શ્રીરામ અખાડેને ઉંચકી ગટરમાં લાવી માર મારી તેની પાસેથી ૨૫ હજાર રૂપિયા અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.
જોકે, આ ત્રણેય જણાએ બૂમાબૂમ કરતાં ચારેય લૂંટારા ત્યાંથી ખેતરાળુ માર્ગે પલાયન થઇ ગયાં હતાં. બાદમાં આ લોકો રોડ ઉપર આવ્યાં હતાં. જ્યાં કોઇની મદદથી ૧૦૮ને બોલાવી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બનાવ અંગે આણંદ રૂરલ પોલીસે મારૂતિ ગણપતરાવ મરાઠાની ફરિયાદ આધારે ચાર અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.