-કોલેજ ગ્રાઉન્ડ પર ભવ્ય સામિયાણો તૈયાર
-મુખ્યમંત્રીના આગમન પુર્વે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો
-કોંગ્રેસના સત્કર્મ ઉપવાસમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી તેમજ વપિક્ષના ઉપનેતા ઉપસ્થિત રહેશે
દાહોદ શહેરમાં તા.૪થી ફેબ્રુઆરીના રોજ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીનો સદભાવના મિશન અંતર્ગત ઉપવાસનો કાર્યક્રમ યોજાનાર છે. વહિવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હજારો ઉપવાસીઓ મુખ્ય મંત્રી સાથે ઉપવાસ કરશે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા સત્કર્મ ઉપવાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી દાહોદ શહેર શનિવારે રાજકીય રંગથી રંગાઇ જશે.
દાહોદમાં ૪ તારીખને શનિવારે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં સદભાવના મિશન અંતર્ગત એક દિવસનો ઉપવાસ કરશે. આ કાર્યક્રમ સવારે ૯ વાગ્યાથી શરૂ થઇ જશે. મુખ્ય મંત્રીની સાથે દાહોદ જિલ્લાના ૧પ હજારથી વધુ વનવાસીઓ સ્વેચ્છાએ ઉપવાસમાં જોડાશે.
કોલેજના મેદાનમાં ભવ્યાતભિવ્ય સામિયાણો બનાવવામાં આવ્યો છે તેમજ પ્રદર્શનના બે વિશાળ ડોમ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ સરકારી વિભાગોનાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરનારી ટુકડીઓએ પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મુખ્ય મંત્રી હવાઈ માર્ગે આવી જતી વખતે ભૂ માર્ગે પ્રસ્થાન કરવાના હોઇ આખુ યે દાહોદ શહેર શણગારવામાં આવ્યું છે.
શહેરના રાજમાર્ગો ચોખ્ખા ચણક કરી દેવામાં આવ્યા છે તેમજ રોશનીના ઝળહળાટથી શહેરમાં દિવાળી જેવો માહોલ સજૉયો છે. સદભાવના આગલા દિવસે સાંજે દાહોદ નગર પાલિકા દ્વારા એક મશાલ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ આજ દિવસે દાહોદનાં બીજા છેડે હરીવાટીકામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્કર્મ ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.તુષાર ચૌધરી, વપિક્ષના ઉપનેતા મોહનસિંહ રાઠવા સહિત કોંગ્રેસના સંગઠનના નેતાઓ આવનાર હોઇ કોંગ્રેસે પણ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આમ શુક્રવારે ભાજપ- કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓ તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ દોડધામ કરતાં જોવા મળ્યા હતા. શહેરના સરકારી વિશ્રામ ગૃહો તેમજ હોટલો પહેલેથી જ બુક થઇ ગઇ છે. આમ શનિવારે દાહોદ શહેર તથા જિલ્લામાં રાજકીય ઉત્સવ જેવું વાતાવરણ સજૉશે.
મોબાઇલ પર પ્રતિબંધ
દાહોદમાં સદભાવના માં કોઇપણ પ્રકારનું હથીયાર, તેમજ મોબાઇલ ફોન ઉપરાંત કિંમતી ચીજવસ્તુઓ અથવા શંકાસ્પદ સામાન કોઇ પણ વ્યક્તિ લઇ જતો પોલીસના હાથે ઝડપાસે તો તેની સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા નિપૂણૉ તોરવણેએ જણાવ્યું છે. આ કાર્યક્રમમાં વીઆઇપી પાકિઁગ કોલેજના ગ્રાઉન્ડ પર રાખ્યું છે તેમજ ગરબાડા, ધાનપુર અને દાહોદ તરફ આવતી બસો તેમજ અન્ય ચાર ચક્રિય વાહનો ગીરધર નગરમાં તેમજ બે પૈડાના વાહનો પોલીટેકનિક અને ઇન્જીન્યરિંગ કોલેજમાં રાખવામાં આવ્યું છે.
સદભાવના રેલીમાં નીકળેલી વિદ્યાર્થિનીઓને અકસ્માત
દેવગઢ બારિયા નગરમાં સદભાવના રેલીમાં નીકળેલી વિદ્યાર્થીનીઓને એક બાઇક સવારે અટફેટમાં લીધી હતી. તેના કારણે છ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઇ હતી. જેમાંથી એક વિદ્યાર્થીની નો તો પગ પણ ભાંગી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે બાઇકના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવગઢ બારિયા નગરમાં આવેલી સ્ટેશન શાળાની વિદ્યાર્થીઓ શુક્રવારે સદભાવના રેલીમાં નીકળી હતી. તે વખતે ટાવર નજીક રોંગ સાઇડે પુરપાટ આવેલા એક બાઇકના ચાલકે રેલીમાં નીકળેલી વિદ્યાર્થીનીઓ પૈકીની છ વિદ્યાર્થીઓને અટફેટમાં લીધી હતી. તે પૈકીની ગીતાબહેન અમર સિંગ પરમારનો પગ ભાંગી ગયો હતો. આ ઘટનાથી સનસનાટી ફેલાઇ ગઇ હતી. અકસ્માત બાદ ચાલક પોતાની બાઇક ઘટના સ્થળે મુકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંગી જનમેદની એકઠી કરવા પંચમહાલની ૮૦ બસો ફળવાઇ
દાહોદના સદભાવના કાર્યક્રમને સફળ બનાવવા પંચમહાલ જિલ્લામાંથી તંત્રના અધિકારીઓ પહોચ્યા હતા.જ્યારે જનમેદની એકઠી કરવા શુક્રવારથી જ વિવિધ રુટ રદ કરી ૮૦ એસટી બસ દોડાવવામાં આવી છે.
આજે દાહોદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત સદભાવના કાર્યક્રમને પાર પાડવા દિવસોથી સ્થાનિક તંત્ર વિવિધ કામગીરી આદરી રહ્યું છે.ગત ૨૦મી જાન્યુઆરીએ ગોધરામાં સફળતાપુર્વક કાર્યક્રમ પુર્ણ થતાં હવે દાહોદમાં આ કાર્યક્રમને સફળ બનાવવા પંચમહાલ જિલ્લામાંથી તંત્રના અધિકારીઓના માર્ગદર્શન મેળવાયા છે અને શુક્રવારે વિવિધ સ્ટાફ ગણ દાહોદ પહોચી આયોજનમાં મદદરૂપ બનતાં ગોધરામાં સરકારી કામ કાજ અર્થો આવેલ પ્રજાને ધરમધક્કો ખાવાનો વારો આવ્યો હતો.અને શનિવારે પણ તેઓ ફરજ ઉપર રહેનાર છે. જ્યારે જનમેદની એકઠી કરવા પંચમહાલમાંથી ૮૦ એસટી બસ દોડાવવામાં આવનાર છે.જેને અનુલક્ષીને શુક્રવારની બપોર બાદના અનેક રુટ રદ કરી દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રવાના કરવામાં આવતાં મુસાફરો મુશ્કલીમાં મુકાયા છે.