સત્તા અને સિદ્ધાંત માટે ફરી એક વખત 'દીવાર’ રચાઈ છે, પણ આ દીવાલ બોલિવૂડની નહીં ગુજરાતની છે. બેમાંથી એક ભાઈ પોતાના ક્ષેત્રમાં સુપરસ્ટારથી કમ નથી, તો બીજો ભાઈ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલાં લોકોનાં હિતો માટે લડે છે. દીવારના ડાયલોગ સ્ટાઈલમાં આ વાત કહીએ તો નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહ્લાદ મોદી હડતાળની હાકલ કરતા કહે છે, 'મેરે પાસ યુનિયન હૈ, એસોસિએશન હૈ, તુમ્હારી પીડીએસ કી સપ્લાય ચેન હૈ, હાઈકોર્ટ કા ઓર્ડર હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ?’ અને મોટાભાઈ નરેન્દ્ર મોદી જવાબ આપે છે, 'મેરે પાસ સરકાર હૈ.’
વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા બારકોડ સાથેનાં રેશનકાર્ડના મુદ્દે મોદી બંધુઓ એકબીજાની સામે આવી ગયા છે. સસ્તા અનાજની દુકાનો અને કેરોસીન લાઈસન્સધારક સંગઠનના પ્રમુખ પ્રહ્લાદ મોદીએ ૧ ફેબ્રુઆરીએ જાહેર વિતરણ વ્યવસ્થામાં રાજ્યવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ એલાનની સામે તત્કાળ પગલાં લઈને બિગ બ્રધર મોદીની સરકારે ૩૦ જાન્યુઆરીએ તમામ જિલ્લા કલેક્ટરને એક પરિપત્ર જારી કરીને એ બાબતની ખાતરી કરવા જણાવ્યું છે કે હડતાળને કારણે જાહેર વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર પડવી ન જોઈએ.
હડતાળની હાકલને અનુમોદન આપતા પ્રહ્લાદ મોદીએ કહ્યું હતું કે, 'રાજ્ય સરકાર બાર કોડ સાથેનાં રેશનકાર્ડ દાખલ કરી રહી છે, પણ તે સંપૂર્ણપણે કાર્યરત થઈ નથી અને તે કારણે રેશનકાર્ડધારકો તેમજ સસ્તા અનાજના દુકાન માલિકો અને કેરોસીનના ડીલરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકાર તરફથી આ નિષ્ફળ પ્રયાસ થઈ રહ્યો છે. તેથી અમે હડતાળનું એલાન આપ્યું છે અને નાગરિક પુરવઠા વિભાગ પાસેથી કોઈ ચીજ ખરીદીશું નહીં.’
તેની સામે સરકારે પરિપત્ર જારી કરીને જણાવ્યું કે, 'સસ્તા અનાજના દુકાનદારો જો જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરે તો કલેક્ટરોએ જિલ્લા પંચાયતો, સફળ અને સક્ષમ સખી મંડળો, તમામ સહકારી સંસ્થાઓ, સ્થાનિક રહેણાક મંડળો તથા સ્થાનિક કિરાણા સ્ટોર મારફત વૈકલ્પિક વ્યવસ્થા કરવી.’ દીવારમાં જે કંઈ વાત હતી તેના કરતાં અહીં થોડો ટ્વિસ્ટ છે ત્યારે એ તમારે નક્કી કરવાનું છે કે અમિતાભ બચ્ચન કોણ છે અને શશી કપૂર કોણ છે?
સરકાર દુકાનધારકો સામે ભૂતિયા રેશનકાર્ડ અંગે પગલાં નહીં લે
સસ્તા અનાજની દુકાનધારકો તેમજ કેરોસીન પરવાનેદારોના સંઘ દ્વારા કરવામાં આવેલી રિટ પિટિશનનો ગુજરાત હાઇકોર્ટે નિકાલ કર્યો છે. આ પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે, દુકાનધારકો પાસેથી ભૂતિયા રેશનકાર્ડ મળી આવશે તો તેમની સામે આકરાં પગલાં લેવાશે નહીં, પરંતુ તેઓએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.