ભાજપનો વિજય પ્રજાની સૂઝને આભારી છે. સકારાત્મક રાજનીતિનો વિજય થયો છે. ૩૦ ટકા મુસ્લિમોએ પણ ભાજપને મત આપ્યા છે - નરેન્દ્ર મોદીમુખ્યમંત્રી
ગુજરાતનાં છ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મોદી મેજિકના બુલડોઝર નીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ થતાભાજપનો જવલંત વિજય થયો છે. ૨૦૦૫ના વર્ષ કરતાં પણ વધુ દયનીય રીતે આ વખતે કોંગ્રેસની હારનું પુનરાવર્તન થયું છે. શહેરી મતદારોએ કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધાં : જામનગરને બાદ કરતાં તમામમાં ભાજપને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતી
-છ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો કચ્ચરઘાણ
-કુલ ૫૫૫માંથી માત્ર ૯૯ બેઠક મેળવી કોંગ્રેસ આઉટ થઈ ગઈ, ભાજપને ૪૪૨ બેઠકો
-૨૦૦૫ કરતા પણ કોંગ્રેસની સ્થિતિ દયનીય બની
-સુરતમાં શહેર કોંગ્રેસના પુત્ર પણ ચૂંટણી હારી ગયા
-અમદાવાદમાં કોંગ્રેસના સુરેન્દ્ર બક્ષી માત્ર ૭ મતે જીત્યા
-ઘાટલોડિયામાં બળવાખોર ભાજપની સંકલ્પ પેનલનો સંપૂર્ણપણે સફાયો થઈ ગયો
-મોદીએ જનતા અને કાર્યકરોનો આભાર માન્યો
સવારે પરિણામની જાહેરાત થતી હતી ત્યારે કેટલાંક મહાનગરમાં દસના આંક સુધી પહોંચવામાં પણ કોંગ્રેસને ફાંફાં પડ્યાં હતાં. કુલ ૫૫૫ બેઠકમાંથી કોંગ્રેસ માંડ ૯૯ના આંક સુધી પહોંચીને તમામ છ મનપામાંથી ‘ આઉટ’ થઈ ગઈ હતી. જામનગરને બાદ કરતાં તમામમાં બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતી મળી છે.
અમદાવાદમાં ૧૪૯ બેઠક સાથેનો વિજય કોંગ્રેસ માટે મરણતોલ ઘા સમાન છે. તે સાથે મુખ્યમંત્રી મોદીના વિકાસના મુદ્દા પર મતદારોએ વિજયની મહોર લગાવી હોવાનું ફરી એકવાર સાબિત થયું હતું. આ પરિણામોની અસર આગામી પાલિકા-પંચાયતોની ચૂંટણી પર પણ પડશે તેમ મનાઇ રહ્યું છે.
સવારથી પરિણામો જાહેર થતાં હતાં તેમ તેમ એક પછી એક ભાજપની પેનલો વિજયી બનતી જતી હતી. હરખઘેલા ભાજપના કાર્યકરોએ ઉમેદવારો સાથે ઠેરઠેર સરઘસ કાઢી અબીલ ગુલાલ ઉડાડી વિજયને વધાવી લીધો હતો. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો આઘાતમાં સરી પડ્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વિજયનો યશ મતદારોની સૂઝ અને સમજને આપીને પ્રજાની સુવિધા માટે વધુ વિકાસકામો કરાશે તેવી જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસે પ્રજાનો ચુકાદો માથે ચડાવી લોકશાહીમાં હાર-જીત થતી રહે છે તેમ જણાવ્યું છે.
મુખ્યમંત્રી મોદીએ અમદાવાદમાં અનેક સભાઓ કરી હતી. શહેરની કુલ ૧૮૯ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો અંકે કરતા ભાજપને જંગી બહુમતી મળી છે. કોંગ્રેસને અમદાવાદે માત્ર ૩૭ બેઠકો આપી છે અને અપક્ષને ૩ ફાળવી છે. છ મહાનગરના પરિણામ મુજબ કુલ ૧૮૫ વોર્ડની ૫૫૫ બેઠકો પૈકી ભાજપને ૪૪૨ બેઠકો મળી છે. આ સાથે કુલ ૨૨૭૬ ઉમેદવારોના ભાવિનો ફેંસલો પણ થઈ ગયો હતો. અન્ય પક્ષ-અપક્ષના માત્ર ૧૪ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. છ શહેરોમાં સૌપ્રથમ પરિણામ ભાવનગરનું આવ્યું છે. ભાજપે ગુજરાતમાં તેની તમામ મ્યુનિસપિલ કોર્પોરેશનની સત્તાને જાળવી રાખી છે.
રાજ્યના ચૂંટણીપંચ દ્વારા છ મનપામાં નિયત સ્થળોએ મંગળવારે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી કેન્દ્રમાં દિવસ દરમિયાન કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. શરૂઆતથી જ તમામ શહેરોમાં ભાજપના ઉમેદવારો લીડ કરતા હતા. ભાવનગરમાં ૧૦, વડોદરા અને રાજકોટમાં ૧૧, સુરતમાં ૧૬ અને જામનગરમાં કોંગ્રેસને ૧૬ બેઠક મળવા પામી હતી.
જો કે બીજી બાજુ ભાજપની બેઠકોના પરિણામ જાહેર થતા જ કાર્યકરો માટે એક પછી એક વિજયની લ્હાણી મળતી હોય તેમ બેઠકો મળતી જતી હતી. જેનો મતગણતરી કેન્દ્ર બહાર ફટાકડા ફોડી અને સરઘસ કાઢીને આનંદ પણ મનાવાતો હતો. કેટલીક બેઠક પર તો ભાજપના ઉમેદવારો તેમની જીત માટે એટલા નિશ્ચીંત હતા કે બહારથી જ કાર્યકરોને વિજય સરઘસ માટે તૈયાર રહેવાનું જણાવતા હતા અને પંદર મિનિટમાં વિજયના સમાચાર સાથે કેન્દ્ર ની બહાર આવી જતા હતા. ભાજપને સૌરાષ્ટ્રનાં તમામ મહાનગરોએ યારી આપી છે. આ પાર્ટીમાં ફરીથી વિશ્વાસ મૂક્યો છે.
સૌથી અચરજ પમાડે તેવી બાબત એ હતી કે જામનગરના એક વોર્ડમાં ભાજપના ઉમેદવાર માત્ર પાંચ મતથી હારી ગયા હતા. નવા સીમાંકનનો ઉપયોગ કોંગ્રેસ તેની બેઠકો વધારવા માટે કરી શકી નથી.
જે તે મહાનગરપાલિકાનું પરિણામ જાણવા નીચેની લિન્ક પર ક્લિક કરો
>>