સીબીઆઇના નામે કોંગ્રેસે જ ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું છે
કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદંબરમે દેશના પોલીસવડાઓની બેઠકમાં ભગવો આતંકવાદ કહી હિંદુ સંસ્કૃતિનું ઘોર અપમાન કર્યું છે અને તેના માટે કોંગ્રેસના વડાપ્રધાન દેશની જનતાની માફી માગે તેવી માગણી કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથે લેતાં કહ્યું કે, હિંદુ સમાજની લાગણી દુભાવવા બદલ ગુજરાતની જનતા એક એક કોંગ્રેસીનો જવાબ માગશે.
મ્યુનિ.દ્વારા હાથ ધરવામાં આવેલા બાગેફિરદોશ રિક્રિએશન સેન્ટર, ઓઢવ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા રાયપુર રમતગમત સંકુલ તથા સરદાર પટેલ હેરિટેજ ભવન અને નવું સરદાર પટેલ ભવન તેમજ નવા પશ્ચિમ ઝોનની નવનિર્મિત કચેરીના લોકાપર્ણ બાદ બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલો ચાર રસ્તા પાસે જાહેરસભાને સંબોધતાં રોષસભર ભાષામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, જે ખુરશી ઉપર સરદાર પટેલ બિરાજતા હતા તે ખુરશીને લજવતાં કોંગ્રેસના મંત્રી પી.ચિદંબરમે ભગવો આતંકવાદ શબ્દ પ્રયોગ કરી ગૃહમંત્રીની ખુરશી લજવી છે અને શું મંદિરો ઉપર ભગવી ધજા ફરકે છે તો તે આતંકવાદીઓના અડ્ડાછે?
હિંદુ સંતો -મહંતો ભગવા વસ્ત્ર ધારણ કરે છે તો શું તેઓ આતંકવાદી છે તેવો સવાલ તેમણે પ્રજાને પૂછયો હતો અને સભામાં ઉપસ્થિત લોકોએ તેનો ઊંચા સ્વરે વિરોધ કર્યો હતો. હિંદુસ્તાનની સંસ્કૃતિ અને ભગવા રંગની પરંપરા દાનવ વૃત્તિનો નાશ કરવાની છે તે જાણવા છતાં કોંગ્રેસી મંત્રીએ ભગવો આતંકવાદ કહી હિંદુસ્તાનની સંસ્કૃતિનું અપમાન કર્યું છે. તેની સામે નાગરિકોએ જનઆક્રોશ જગાવવો પડશે.
દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં વિકાસના પંથે આગળ વધી ચૂકેલા ગુજરાતમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ સ્થપાયું છે તે કોંગ્રેસની આંખમાં કણાની જેમ ખૂંચે છે, તેથી મોદીને સાફ કરવા કારસો રચે છે પણ કોંગ્રેસ સમજી લે કે કોની સાથે તેમનો પનારો પડ્યો છે, સીબીઆઇના ભરોસે જનતાના દિલમાં જગ્યા નહિ મળે અને સીબીઆઇના ખીલે કૂદતાં કોંગ્રેસીઓને ગુજરાતની જનતા મોકો આવ્યે સાફ કરી નાખશે.
કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે જ હવે સીબીઆઇના નામે ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું છે અને લોકોને સીબીઆઇમાં તમારું નામ આવે તેમ છે તેમ કહી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું છે. હું તો મૂલ્યોને વરેલો છું અને કોઇપણ પ્રકારના અવરોધ ગુજરાતની વિકાસયાત્રાને રોકી નહિ શકે, ગુજરાતને બદનામ કરવાની પાપલીલાનો હિસાબ જનતા ચૂકતે કરશે તેમ તેમણે જણાવતાં લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.
કેન્દ્ર સરકાર પાસે નાણાભંડોળ છે અને રૂપિયા છાપવાનું કારખાનું પણ છે ત્યારે ગુજરાતની સાથે વિકાસની સ્પર્ધામાં ઊતરવાનો લલકાર કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં એવી તાકાત છે કે એક બાજુ આખો દેશ હશે તો પણ વિકાસની સ્પર્ધામાં ગુજરાત જ આગળ નીકળી જશે.