વેકેશનમાં તમે ક્યાંય પણ ફરવા જાવ ત્યારે તમારી સાથે હવે ચોવીસ કલાક લિવિંગ રુમ, બેડરુમ, કિચન, ટીવી, ફ્રીજ, બાથરૂમ પણ ફરશે. ગુજરાત ટૂરિઝમ હવે પ્રવાસીઓ માટે કેરેવાન ટૂરિઝમ દાખલ કરી રહ્યું છે. જેમાં એક બસ કે કાર પર ઘર બનાવીને તેને લોકોને ફરવા માટે અપાશે. અંતરિયાળ તેમજ જંગલ વિસ્તારોમાં ફરવા માટે કેરેવાન બેસ્ટ ઓપ્શન બની રહેશે. અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા દેશ-દુનિયાના લોકો ગુજરાત તરફ આકર્ષાઇ રહ્યા છે ત્યારે ટૂરિઝમ વિભાગ પણ પ્રવાસીઓને સતત નવું આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કેરેવાનમાં શું હોય છે?
કેરેવાન એક હરતું ફરતું ઘર છે. સામાન્ય રીતે એસયુવી પર બોડી બનાવીને તેમાં સુંદર ઇન્ટીરિયર દ્વારા એક ઘર બનાવાય છે. મોડેલ પ્રમાણે ૪થી ૬ લોકો તેમાં રહી શકે છે. ઘરમાં ટીવી, ફ્રીજ, મ્યૂઝિક સિસ્ટમ, વોટર હિટર, ગેસ સ્ટવ વગેરે ફેસિલિટી હોય છે. ઘરમાં ટોઇલેટ હોય છે. ઘણી કેરેવાનમાં કેમિકલ ટોઇલેટ હોય છે. જેમાં એરક્રાફ્ટ જેવી જ સિસ્ટમ હોય છે. ઇન્ડિયામાં ર્કોપોરેટ્સ અને પ્રવાસીઓમાં તેની ડીમાન્ડ વધુ છે.
ગુજરાતમાં ક્યાં મળશે
ગુજરાત ટૂરિઝમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં જાંબુઘોડા, પોળો, ગીર, સાપુતારા, સોમનાથ, દ્વારકામાં કેરેવાન મળી રહેશે. દક્ષિણ ગુજરાતમાં જંગલો હોવાથી ત્યાં પણ કેટલાક એરિયા આઇડેન્ટિફાય કરાઇ રહ્યા છે. શરૂઆતમાં તેની કોસ્ટ પર ડે ૩થી પ હજાર હોઇ શકે છે.
સપરિવાર ફરવા જઈશું
ફરવા જઇએ અને સાથે આખું ઘર આવે તે કન્સેપ્ટ જ અદ્ભુત છે. બહાર ગયા પછી પણ તમે ઇચ્છો તે બનાવી શકો છો, જ્યાં મન થાય ત્યાં ‘ઘર’ને પાર્ક કરી શકો છો. પ્રવાસમાં જમવાની તકલીફ ખૂબ હોય છે, તે સંજોગોમાં કેરેવાન ઉપયોગી છે. મારી પાસે લકઝુરિયસ કાર છે. પરંતુ કેરેવાન શરૂ થશે તો હું તે કારને છોડીને કેરેવાનને જ રેન્ટ પર લઇશ. મારો દીકરો યુકેથી આવશે ત્યારે સપરિવાર તેમાં ફરવા જઇશું.’’ -યશોધર પાઠક, ઓટો કન્સલ્ટન્ટ
એડવેન્ચરથી કમ નથી
હાલમાં જ અમે ગિર જઇને આવ્યા. ગિરમાં જેમ જીપમાં ફરીને સિંહને શોધવા એડવેન્ચર્સ છે, તે જ રીતે કેરેવાન પણ એડવેન્ચર્સ છે. હોટેલમાં રહીએ તો ચેક ઇન અને ચેક આઉટ હોય છે. જ્યારે કેરેવાનમાં તો ઇચ્છા હોય ત્યારે ચેક ઇન અને ચેક આઉટ કરી શકાય છે. સપરિવાર ફરવા જવા ઇચ્છતા લોકો માટે આ અદ્ભુત ઓપ્શન છે. ફિલ્મોમાં આવી વાન જોઇ છે. વિચાર્યું ન હતું રાજ્યમાં પણ આવું કંઇક આવશે.’’-ઉમંગ ત્રિવેદી, પ્રોફેશનલ