‘દરિદ્રનારાયણના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટાવશે- ગરીબ કલ્યાણ મેળો’- એ સૂત્ર સાથેનાં નગરનાં હાર્દસમા વિસ્તારોમાં વિશાળ હોર્ડિગ્સ અને પ્રચારનાં શોરબકોર વચ્ચે વર્ષોથી ઉપેક્ષિત એવા ખંભાતનાં મહત્વનાં આઠ જેટલા મુખ્ય માર્ગોનું રાતોરાત નવિનીકરણ, માર્ગની બંને બાજુ ફૂલ છોડ અને વૃક્ષોની રોપણી, નરકાગારની સ્થિતિથી ખદબદતાં જહાંગીરપુરા, લાલદરવાજા વિસ્તારમાં ડીડીટીનો છંટકાવ, ગાંધી સર્કલનું રંગરોગાન થતાં નગરજનો પાલિકાની ત્રણ દિ’ની ત્વરાભરી કામગીરીથી પણ અચરજ પામી ગયાં હતાં. તેમ છતાં શુક્રવારે મેળાનાં ટાણે શહેરી તેમ જ ગ્રામ્યમાં રાજ્યનાં શહેરી વિકાસ મંત્રી નીતિનભાઈ પટેલ સામે વિવિધ સમસ્યા અંગે લોકપ્રશ્નોનો ધોધ વહ્યો હતો.
ખંભાતમાં શુક્રવારે બપોરે ગરીબ કલ્યાણ મેળાને પગલે નગરપાલિકા ખંભાત અને પ્રાંત વિભાગની કચેરીએ તાબડતોબ માત્ર ત્રણ દિ’માં નગરને નવાબી નગરી બનાવવાનું બીડું ઝડપ્યું હતું. જેમાં છેલ્લાં ૨૦ વર્ષથી જર્જરિત દબાણોથી ઘેરાયેલા પીઠ બજારથી લાલ દરવાજા માર્ગને રાતોરાત રંગબેરંગી ફૂલછોડ - વૃક્ષો અને ડિવાઈડરથી સજાવવામાં આવ્યો હતો. આ અંગે પાલિકા વપિક્ષના નેતા ચંદુભાઈ કડિયાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લી ત્રણ ટર્મથી શાસન સંભાળતા નેતાઓ અને તેમના કર્મચારીઓને રાતોરાત ખંભાત પ્રત્યે વહાલ ઉભરાઈ ગયું.’
બીજી તરફ ખંભાતની પાયાની જરૂરિયાતો જેમને સ્પર્શે છે તેવા પાણી પૂરવઠા, જળસંપતિ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગનાં મંત્રી નિતીનભાઈ પટેલનું આગમન ખંભાતમાં થતાં જ સમસ્યાનો ફરિયાદ મેળો બની ગયો હતો. આ ઉપરાંત મંત્રીની ધુવારણ, ખડોધી, તરકપુર અને ખંભાતમાં મુલાકાત દરમિયાન પ્રજા દ્વારા ઠેર-ઠેર પાણી, રસ્તા અને અધિકારીઓની બેદરકારીની જ ફરિયાદો થતાં મંત્રી પણ ચોંકી ઉઠ્યાં હતાં અને તાબડતોબ બપોરના બે કલાકે ખંભાતનાં સિ-વ્યુ બંગલા ખાતે તાકીદની બેઠક બોલાવી જવાબદાર સત્તાધીશોને તેડું મોકલીને બંધ બારણે ઉધડો લઈને ધડબડાટી બોલાવી હોવાનું સુમાહિતગાર સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
મંત્રીની યાત્રામાં માત્ર ફરિયાદો જ
ખંભાત પંથકમાં શહેરી વિકાસ મંત્રીએ શુક્રવારે સવારે ધુવારણથી યાત્રા શરૂ કરતાં જ ખડોધીના ગ્રામજનોએ મંત્રીનો ઘેરાવ કરી ૩૦૦૦ ટીડીએસ ધરાવતું દૂષિત પાણી બાબતે અને સંરક્ષણ દીવાલ બાબતે ફરિયાદ કરી હતી. તરકપુર-પાંદડ અને ખંભાતમાં પણ રસ્તા, પાણી માટે ઉગ્ર રજુઆતો કરી હતી. જ્યારે નવાબી નગરીમાં આકૃતિ ટાઉનશીપ, આદર્શનગર, પરિશ્રમ, અંબિકા સહિતની ૧૩ સોસાયટી તથા લાલદરવાજા, કતકપુર, મેતપુર વિસ્તારમાં ગટર સુવિધા ન હોઈ સ્થાનિકોએ ગટરનાં પ્રશ્ને આવેદનપત્ર આપ્યું હતું.
સાઈકલો પરત લઈ ફરી આપી !
ખંભાતની સરકારી શાળામાં ભણતાં પછાત વર્ગના બાળકોને ગત મહિને મફત સાઈકલનું વિતરણ કરાયું હોઈ છતાં સામાજિક કલ્યાણ વિભાગે આ લાભાર્થીઓની સાઈકલો પરત લઈ ફરીથી શુક્રવારે ગરીબ મેળામાં આપી હતી, જે બાબત જાગૃત્ત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સુશોભન માટેનાં ફૂલછોડ કરમાતાં રોનક રોળાઈ
ખંભાતનાં હાર્દસમા મુખ્ય માર્ગો ઉપર રાતોરાત ૩૦૦થી વધુ ફૂલછોડ-વૃક્ષો રોપ્યા બાદ પાણી નાંખવાનું તથા ટ્રી ગાર્ડ મુકવાનું ભૂલી ગયેલી પાલિકાને માથે કલંક લખાયું હતું. રાત્રે રોપેલા ફૂલછોડનાં ફૂલો શુક્રવારે બપોરે ૩-૩૦ કલાકે મંત્રી આવતાં જ કરમાઈ ગયાં તો કેટલાય છોડને નગરમાં વહિરતા રખડતાં પશુઓ ખાઈ ગયાં હતાં.
ચેકડેમને લીધે સ્થળાંતર અટક્યુ
અમારી સરકારે ભાલ જેવા છેવાડાના વિસ્તારમાં બે મોટા ચેકડેમ બનાવ્યા છે. જેને કારણે પાંદડ, તરકપુર સહિતના સાત જેટલાં ગામમાં પાંચ હજારથી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે. જો અમે ચેકડેમ ન બનાવ્યાં હોત તો ફરજિયાત ગ્રામજનોને સ્થળાંતર કરવું પડતું.
- નીતિનભાઈ પટેલ, શહેરી વિકાસ મંત્રી.