કેશુભાઇનાં આક્રોશ પર ઠંડું પાણી રેડી દેતું હાઇકમાન્ડ

-કેશુભાઈ તથા તેમનું ભયભીત જૂથ ભાજપ સાથે છેડો ફાડે તેવી શક્યતા
-હવે ગુજરાતમાં મોદી-કેશુભાઈ વચ્ચે રાજકીય જંગ જામશે
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માગ સાથે ભાજપ હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવા મંગળવારથી દિલ્હી પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બુધવારે અરુણ જેટલી, રાજનાથસિંહ અને સુષ્મા સ્વરાજને મળ્યા હતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં રજૂઆત કરી હતી. આ બે દિવસની તેમની દિલ્હી મુલાકાત દરમિયાન ભાજપની આગલી હરોળના નેતાઓ સમક્ષ કરાયેલી રજૂઆત વખતે તેમને'ચર્ચા કરીશું અને વિચારણા કરીશું’ જેવા ઠાલાં રાજકીય વાક્યોચ્ચાર સાથે તેમના મોદી-વિરુદ્ધ આક્રમક વલણ ઉપર ઠંડું પાણી રેડવાનો પ્રયાસ કરાયો હોવાનું માલૂમ પડયું છે.
હાઇકમાન્ડના 'નિર્ણય નહીં પણ વિચારણા’ કરવા અંગેના પ્રતિભાવથી વ્યથિત કેશુભાઈએ પ્રવાસ ટૂંકાવીને ગુરુવારે પરત ફરવાનો નિર્ણય પણ લઈ લીધો હતો, જે પાછળથી રદ કરીને છેલ્લી ઘડીના પ્રયાસો કરવાનું નક્કી કર્યું હતું. જો કે હવે ગુજરાત પાછા ફર્યા બાદ તેઓ ભાજપ હાઇકમાન્ડ સમક્ષ તેમની રજૂઆતનું પરિણામ જાણવા સુધી રાહ જોશે. ફરીથી ભાજપના હાંસિયામાં શાંતિથી બેસી જશે કે ભાજપ છોડીને ગુજરાતના ભાવિ રાજકારણમાં રમખાણ મચાવશે ? તે પ્રશ્નો જવાબ આપવાને બદલે કેશુભાઈએ હાલ મૌન રહેવાનું પસંદ કર્યું છે.
કેશુભાઈ બુધવારે કોને મળ્યાકેશુભાઈએ રજૂઆત શું કરી ?
દિલ્હીમાં ભાજપ હાઇકમાન્ડને રજૂઆત કરવા ગયેલા કેશુભાઇ પટેલે ભાજપના અગ્રણી નેતાઓની મુલાકાત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીની કાર્યશૈલી સામે વિરોધ વ્યક્ત કરીને આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાજપને થનારા ગેરલાભની વિગતો રજૂ કરી હતી, તથા નેતૃત્વ પરિવર્તનને એકમાત્ર વિકલ્પ ગણાવ્યો હતો.
કેશુભાઈ હવે શું કરશે ?
જિંદગી આખી ભાજપ માટે ઘસી નાખ્યા બાદ કેશુભાઈ, તેમના રાષ્ટ્રીય નેતાઓ સમક્ષની રજૂઆતની સામે તેમને મળેલા પ્રતિભાવને તેઓ મોદી માટેની હાઇકમાન્ડની મજબૂરી અનુભવી શક્યા છે એટલે તેઓ હવે ગુજરાત પરત આવીને શું કરશે તેનો ફોડ પાડવા માગતા નથી પરંતુ એમ મનાય છે કે દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓ તેમના સાથીઓ સાથે બંધબારણે ચર્ચા કરશે અને તેમને શું કરવું જોઈએ તે અંગેનો સામૂહિક નિર્ણય કરશે.
હાઈકમાન્ડનો પ્રતિભાવ કેવો રહ્યો
કેશુભાઈએ મુખ્યમંત્રી મોદીના વિરોધમાં કરેલી તમામ રજૂઆતોને શાંતિથી સાંભળ્યા બાદ જાણે તેઓ આ બધું પહેલીવાર સાંભળતા હોય તેવો પ્રતિભાવ આપીને એવા વાક્યોચ્ચાર કર્યા હતા કે, ચાલો કાંઈ નહીં, અમે બધા સાથે બેસીને ચર્ચા કરીશું અને પછી વિચારણા કે નિર્ણય કરીશું.
ભાજપ હાઇકમાન્ડનો સંકેત શું છે?
ભાજપના અરુણ જેટલી સહિતના છ નેતાઓ ૨૩મીથી ૨પમી સુધી ગુજરાતમાં આંદોલનાત્મક કાર્યક્રમોનું નેતૃત્વ કરવા આવવાના છે, તથા તે દરમિયાન તેઓ મુખ્યમંત્રી મોદી સાથે પણ પરામર્શ કરશે પણ એમ મનાય છે કે, ભાજપ-મોદીના સમર્થનમાં તેમનું ગુજરાતગમન એ વાતનો સંકેત છે કે હાઇકમાન્ડ કેશુભાઈને ગંભીરતાથી લેવા માગતું નથી.
દિલ્હીમાં ભાજપના નેતાઓને મળ્યા કેશુભાઇ: વાંચો, શું કરી રજૂઆત
ગુજરાત ભાજપમાં ફાટફૂટ વધવાના અણસાર, ચૂંટણી પહેલા દાવેદારની દોડધામ






