પોલીસે અજાણ્યાં ઈસમ વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો : કુલ ૫૮ હજારની લૂંટ
કપડવંજમાં રહેતી એક વૃદ્ધ મહિલાની કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરી તેણે પહેરેલ R ૫૮ હજારના સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે કપડવંજ ટાઉન પોલીસે ૩૫ વર્ષના આશરાના એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ લૂંટ અને મર્ડરનો ગુનો નોંધ્યો હતો.
કપડવંજ કાપડ બજાર પાસે કાચાની ખડકીમાં જયોત્સનાબહેન કિર્તનલાલ શાહ (ઉં.વ.૬૫)ની રવિવારે સાંજના ૭:૧૫ કલાકે બલ્યુ કલરના ટી-શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલાં એક ૩૫ વર્ષના ઈસમે તેઓના મકાનમાં પ્રવેશી એકલાં વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી. આ ઈસમે જયોત્સનાબહેને ગળામાં પહેરેલા વેફર ઘાટની સોનાની સવા બે તોલાની ચેઈન કિંમત R ૪૮ હજાર, કાનમાં પહેરેલી સફેદ નંગવાળી સોનાની બુટ્ટીઓ કિંમત R ૧૦ હજાર તથા બગસરાની ચાર બંગડી મળી કુલ R ૫૮ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે રક્ષાબહેન મનહરલાલ શાહ (રહે.અમથા પારેખની ખડકી, કપડવંજ)ની ફરિયાદના આધારે કપડવંજ ટાઉન પોલીસે અજાણ્યાં ઈસમ વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ ડી.એસ.પુનડિયા ચલાવી રહ્યા છે.
કપડવંજ વૈષ્ણવ સંપ્રદાયે ઘટનાને વખોડી કાઢી
શ્રી ગોકુલનાથજી મંદિર કપડવંજના ટ્રસ્ટી કિર્તન પરીખે જણાવ્યુ હતું કે ‘વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ એવા બે મહિલા પ્રેમીલાબહેન ચંદ્રકાન્ત શાહ તથા જયોત્સનાબહેન કિર્તનલાલ શાહ ઉપર અજાણ્યા ઈસમોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ કિસ્સામાં જયોત્સનાબેનની લૂંટના ઈરાદે નિર્મમ હત્યા કરતાં સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.’