- નડિયાદ અમદાવાદી બજારમાં કમલા જ્વેલર્સનું શટર તોડી ચોરટા આખી તિજોરી ઊઠાવી ગયા નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં આવેલા કમલા જવેલર્સમાં મંગળવારે વહેલી સવારે દુકાનનું શટર તોડી R ૧ કરોડ ઉપરાંતની મત્તાની ચોરીની ઘટના બનતાં વેપારીઓમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ ચોકીથી માત્ર ૫૦ મીટરના અંતરે જ આવેલી આ દુકાનમાં ચોરી થતાં સ્થાનિક વેપારીઓ રોષે ભરાયાં છે. વેપારીઓએ વિરોધ દર્શાવી મંગળવારે દુકાનો બંધ કરી દીધી હતી. ચોરટાઓ શટર તોડી આખેઆખી તિજોરી ઉપાડી ગયાં છે. પોલીસને શંકા છે કે, ચોર ચારથી પાંચની સંખ્યામાં ફોર વ્હીલર લઈને આવ્યાં હોવા જોઈએ.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ પર આવેલા પુણ્યપાર્કમાં રહેતાં સુનિલભાઈ ઠાકોરભાઈ પરીખની અમદાવાદી બજારમાં ૧૦૦ વર્ષથી આવેલી બાપ-દાદાની સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. પિતા ઠાકોરભાઈ પરીખ અને સુનિલભાઈ સાથે ધંધો કરે છે. રાબેતા મુજબ સોમવારે સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. માતા પ્રવિણાબહેનને મણકાની બીમારી હોવાથી રાત્રે તેઓને વડોદરાની હોસ્પિટલમાં ખબર જોવા માટે ગયા હતા.
સવારે ૭ વાગ્યે વેપારી હરિશભાઈ સુખડિયાએ ફોન કરીને તેઓની દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જાણ થતાંની સાથે જ સુનિલભાઈ પરીખ મિત્રો અને સંબંધીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર સમગ્ર સામાન વેરવિખેર પડેલો હતો. સુનિલભાઈએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુનિલભાઈએ ફરિયાદમાં R ૮૪ લાખ સોનાના દાગીના, R ૨૫ લાખ ચાંદીના દાગીના અને R ૯૦ હજાર રોકડ મળીને કુલ ૧,૦૯,૯૦,૦૦૦ની મત્તા તિજોરી સાથે ઉપાડી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાની તપાસ પીએસઆઈ વી.પી.પટેલ કરી રહ્યા છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ આજુબાજુના વેપારીઓને થતાં તેઓએ પોલીસની નિષ્ક્રિયતા સામે વિરોધ વ્યક્ત કરી દુકાનો બંધ કરી દીધી હતી. આ અંગે પોલીસે ડોગ સ્કવોર્ડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલના અધિકારીઓની મદદથી તસ્કરોનું પગેરું શોધવા તેમજ અગાઉ આ પ્રકારની ચોરીઓના શકમંદ ઈસમોની તપાસ પણ ચાલુ કરી હોવાનું પીએસઆઈ વી.પી.પટેલે જણાવ્યું હતું.
કઈ કઈ વસ્તુની ચોરી થઈ
સોનાના દાગીના વીંટીઓ, લગડીઓ, બુટ્ટીઓ, અછોડા, મંગળસૂત્ર મળીને કુલ ૩ કિલો સોનું (રૂ. ૮૪ લાખ), ચાંદીની ચીજવસ્તુઓમાં છઠ્ઠા, સાંકળા, કંદોરા, ચોરસા, લગડી મળીને આશરે ૪૨ કિલોગ્રામ (કિંમત R ૨૫ લાખ), રોકડ રકમ R ૯૦ હજાર મળીને કુલ R ૧,૦૯,૯૦,૦૦૦ની મત્તાની તિજોરી સાથે ચોરી.
માત્ર ૫૦ મીટરના અંતરે પોલીસચોકી
નડિયાદ શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં કમલા જવેલર્સમાં થયેલી ચોરી સંદર્ભે અનેક પ્રશ્નો ઉભા થયા છે. કમલા જવેલર્સની બરાબર સામે માત્ર ૫૦ મીટરના અંતરે જ અમદાવાદી બજાર પોલીસચોકી આવેલી છે. તેમછતાં પણ ચોરી થતાં વેપારીઓમાં પોલીસની કામગીરીને લઈને સવાલ ઊભા થયા છે. ચોરીની તપાસ એલસીબીને સોંપાઈ
સૂત્રોએ કહ્યું હતું કે ‘અમદાવાદી બજાર વિસ્તારમાં સોનીને ત્યાંથી R ૧ કરોડ ઉપરાંતની થયેલી ચોરીએ કદાચ નડિયાદ શહેરમાં સૌથી મોટી ચોરી હશે, તેવું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. તપાસ એલસીબી પીઆઇને સોંપવા માટેની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. હાલ તેઓ સદભાવના મશિનમાં બંદોબસ્તની કામગીરીમાં રોકાયેલા હોવાથી તેમનાં આવ્યા બાદ આ તપાસ સોંપાશે.’
શટર તોડ ગેંગ પર શંકા
અમદાવાદમાં ઘરફોડ ડિટેકશન સ્કવોર્ડમાં કામ કરી ચૂકેલાં અને હાલ ઘટનાની તપાસ કરતાં પીએસઆઇ વી.પી.પટેલે જણાવ્યું હતું કે ‘આ ઘટના જોતાં કોઈક ગેંગ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. શટર તોડીને આખે આખી તિજોરી ઊઠાવી જવાની ઘટના પણ અગાઉ અન્ય જિલ્લાઓમાં બનેલી છે. ચારથી પાંચ વ્યક્તિ કદાચ ફોર વ્હીલર લઈને આવ્યા હોવાની શક્યતા છે.’
પોલીસ ચોકીને છેલ્લા ત્રણ દિવસથી ખંભાતી તાળાં
અમદાવાદી બજાર વિસ્તારમાં સોના-ચાંદીનો વેપાર કરતાં એક ચોકસીએ જણાવ્યું હતું કે ‘અમદાવાદી બજાર પોલીસ ચોકીને છેલ્લા ત્રણ દિવસથી તાળું મારેલું છે. સદભાવના મશિનમાં પોલીસ સ્ટાફને મૂકવામાં આવ્યો હોવાની ચર્ચાથી હાલ આ પોલીસ ચોકી બંધ હોવાનું કહેવાય છે. જોકે, ચોરી થતાં મંગળવારે પોલીસચોકીનું તાળું ખોલવાની ફરજ પડી હતી.’
પોલીસની નિષ્ક્રિયતા સામે બજારે બંધ પાળ્યો
અમદાવાદી બજાર સલુણ પોલીસ ચોકીની સામે જ આવેલી કમલા જવેલર્સમાં થયેલી એક કરોડની મત્તાની ચોરી સંદર્ભે પોલીસ નિષ્ક્રિયતા સામે સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. ચોરી થયા અંગેની જાણ થતાંની સાથે જ સમગ્ર ચોકસી બજાર અને અમદાવાદી બજારની દુકાનોએ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તેવી માગણી પણ વેપારીઓએ કરી છે.