ગાંધીનગર મહાપાલિકા તંત્રે આ કામગીરી માટે નવેસરથી એકડો ઘૂંટવો પડે તેમ છે
પાટનગરમાં ઘરેઘરેથી કચરો ઉપાડવાની વ્યવસ્થા તો ક્યારે ગોઠવાશે તે કહી શકાય તેમ નથી, પરંતુ જાહેર સફાઈનો પ્રશ્ર ઉકેલવા માટે નવેસરથી એકડો ઘૂંટવો પડે તેવી સ્થિતિ છે, કેમ કે મહાપાલિકામાં કાયમી અને રોજમદાર સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે. જેટલા કામદારો છે તેનાથી જાહેરસ્થળો અને મુખ્ય માર્ગોની સફાઈ વ્યવસ્થા ગોઠવી શકાય તેમ નથી.
ખાનગી એજન્સીઓ મારફતે ઘરે ઘરેથી કચરો ઉપાડવાનું કામ કરાવવાની આખી યોજના યુઝર ચાર્જના વિવાદમાં નિષ્ફળ ગઈ તેને પણ ખાસો સમય વીતી ગયો છે. જો કે તે વખતે સફાઈ કામદારોને રાહત મળી હતી અને તેઓને વીઆઇપી કહેવાતાં સેક્ટરોમાં ઘરઆંગણાનો કચરો સાફ કરવાના કામ લગાડવામાં આવ્યા હતા, પરંતુ ઘરે ઘરેથી કચરો ઉપાડવાની યોજના નિષ્ફળ જતાં આ કામગીરી પણ ચાલુ રાખવી પડી છે.
પરિણામે મહાપાલિકાના કામદારોને જાહેર સફાઈ વ્યવસ્થામાં લગાડવાનું પણ શક્ય બન્યું નથી. નોંધવું રહેશે કે મહાપાલિકા તંત્ર પાસે માત્ર ૮૦ સફાઈ કામદારો છે. જાહેરસ્થળો અને માર્ગો પર જે કચરો ફેંકાતો હોય છે તેને બંધ કરી શકાતો નથી. લોકો હાલતાં ચાલતાં અને વાહનોમાંથી પણ કાગળ, કોથળીઓ જાહેરસ્થળો પર ફેંકી દેતા હોય છે. આ વ્યવસ્થા ગોઠવવા માટે ૮૦ સફાઈ કામદારો પર્યાપ્ત થઈ શકે તેમ નથી, કેમ કે ગાંધીનગરમાં જાહેર વિસ્તારો ખૂબ જ વિશાળ છે.
ભૂતકાળમાં નોટિફાઇડ એરિયા દ્વારા આ કામ માટે કોન્ટ્રાકટ આપી દેવા વિચાર કરવામાં આવ્યો હતો. જેથી કામદારોને સફાઈની ચોક્કસ કામગીરીઓ જ સોંપી દઈ શકાય, પરંતુ તે વિચારનો અમલ મહાપાલિકા કાર્યરત થઈ ગયા પછી પણ થયો નથી.
લેન્ડ ફીલ સાઇટ વિકસાવાશે
ગાંધીનગર શહેરમાંથી રોજ ૫૦થી ૬૦ હજાર કિલો કચરો નીકળે છે. તેનો આખરી નિકાલ કોલવડા ખાતેની લેન્ડ ફીલ સાઇટ પર કરવામાં આવે છે, પરંતુ આ કામ પરંપરાગત દેશી પદ્ધતિએ થાય છે એટલે કે તમામ પ્રકારનો કચરો એક સ્થળે ડમ્પ કરવામાં આવે છે.
હવે આ લેન્ડ ફીલ સાઇટને વિકસાવવામાં આવનાર છે. તેમાં કચરાનું વર્ગીકરણ કરીને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. સૂકા અને ભીના કચરાને અલગ પાડવામાં આવશે. ઉપરાંત પ્લાસ્ટિક અને ધાતુને અલગ કરી વેસ્ટમાંથી બેસ્ટનો કોન્સેપ્ટ પણ અમલમાં મૂકવાની વિચારણા છે.