- ૨૦૦૮-૦૯માં ૨૪૯ શિક્ષકની ભરતી સામે ૩૦૭ની કરવામાં આવી
- ગેરકાયદે ભરતી કરાયેલાં ૫૮ શિક્ષક આજે પણ ફરજ પર
ખેડા જિલ્લામાં વિદ્યા સહાયકો (શિક્ષકો)ની ભરતીમાં તંત્ર દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ૨૦૦૮ના વર્ષમાં ૨૪૯ વિદ્યાસહાયકોની ભરતીના સ્થાને તંત્રએ ૫૮ શિક્ષકોની વધુ ભરતી કરીને ૨૪૯નો આંકડો ૩૦૭ સુધી પહોંચાડી દીધો હતો. આ બાબત માહિતી અધિકાર એક્ટ હેઠળ બહાર આવી છે. એ સમયના પ્રાથમિક શિક્ષણાધિકારીએ આચરેલાં આ કૌંભાડના કારણે ગેરકાયદે ભરતી થયેલાં ૫૮ શિક્ષકોને માથે હવે લટકતી તલવાર છે. આજે આ ૫૮ શિક્ષકો વિવિધ સ્થળે ફરજ બજાવી રહ્યા છે.
આ સંદર્ભે જાગૃત નાગરિક સતીષભાઇ રાણાને માહિતી અધિકારી એક્ટ હેઠળ પ્રાપ્ત થયેલી વિગતો વિશે તેઓએ જણાવ્યું હતું કે ‘ખેડા જિલ્લા પંચાયતની પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૨૦૦૮ની સાલમાં વિદ્યાસહાયક નવા તબક્કાની ભરતી અંગેની અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એ સમયે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી ૨૫૭ જગ્યાઓ ભરવાની હતી. આ જગ્યામાં ૨૨૬ પીટીસી, ૧૩ સીપીએડ, ૧૦ એટીડી અને ૮ સંગીત વિશારદની વેકેન્સી હતી. ત્રણ ટકા મુજબ સંગીત વિશારદની ભરવા પાત્ર જગ્યાની ગણતરી કરી તેટલી જગ્યા ખાલી રાખવાનો જિલ્લા પ્રાથમિક નિયામકે ૩જી એપ્રિલ ૨૦૦૮માં પરીપત્ર કર્યો હતો.
આ પરીપત્ર મુજબ આઠ જગ્યા ભરવાની ખાલી રહેતી હતી, જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૨૫૭ના બદલે ૨૪૯ વિદ્યાસહાયકોની ભરતી અંગેની કાર્યવાહી ૨૧થી ૨૩ એપ્રિલ, ૨૦૦૮ દરમિયાન હાથ ધરાઇ હતી. ત્યારબાદ ભરતીની મેરીટ યાદી ૫ મેથી ૧૫ મે, ૨૦૦૮ દરમિયાન જાહેર કરાઇ હતી. ૨૬ મે, ૨૦૦૮ના રોજ પસંદગીની યાદી તૈયાર કરાઇ હતી.’
વધુમાં તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ‘આ ભરતી કરેલાં વિદ્યાસહાયકોને સ્થળ પસંદગીનો કાર્યક્રમ ૬ જુનથી ૮ જુન, ૨૦૦૮ સુધી યોજાયો હતો. ભરતી પ્રક્રિયામાં તત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સત્તાનો દુરૂપયોગ કરીને ૨૪૯ વિદ્યાસહાયકના બદલે ૩૦૭ વિદ્યાસહાયકોની ભરતી કરી દીધી હતી, જેથી ૫૮ જેટલા વિદ્યાસહાયકોની ગેરકાયદે ભરતી થઇ હોવાનું સ્પષ્ટ ફલિત થયું હતું. હજુ આ શિક્ષકો પોતાની પસંદગીની શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. આ શિક્ષકોની ભરતી કેવી રીતે અને કોના આદેશથી થઇ હતી?’
તમામ માહિતી ઉચ્ચ કચેરીએ મોકલી: ડીઇઓ
આ સંદર્ભે પ્રાથમિક શિક્ષણાધિકારી કે.પોટાએ જણાવ્યું હતું કે ‘૨૦૦૮-૦૯ની ભરતીની તમામ ગાંધીનગર માહિતી નિયામકની કચેરીને મોકલી અપાઇ છે. ગેરરીતિની તપાસ સોંપાયા બાદ જો કોઇ કસુરવાર સાબિત થાય તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી સક્ષમ અધિકારી દ્વારા કરી શકાય.’