ગોધરામાં આસારામ બાપુના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો
ગોધરા ખાતે સત્સંગ કાર્યક્રમ માટે આવતા આસારામ બાપુના હેલિકોપ્ટરને ઉતરાણ સમયે જ અકસ્માત નડ્યો
પાઇલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી : હેલિકોપ્ટર જમીન સાથે ટકારાયું
અકસ્માતમાં આસારામ બાપુ અને પાઇલટ સહિત પાંચનો આબાદ બચાવ
ગોધરાના સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા આસારામ બાપુના ઉતરાણ વખતે એકાએક હેલિકોપ્ટર તૂટી પડતાં સત્સંગીઓમાં ચિંતાનું મોજું વ્યાપી ગયું હતું. સાયન્સ કોલેજના મેદાનમાં બનેલી દુર્ઘટનામાં આસારામ બાપુ તેમજ પઇલોટ સહિત પાંચનો આબાદ બચાવ થયો છે.ગોધરામાં તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી સંત આસારામ બાપુની હાજરીમાં પૂનમ દર્શન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને બુધવારના રોજ હેલિકોપ્ટર મારફતે તેઓ અહીં પધારવાના હોવાથી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.
દરમિયાન સત્સંગ સભામાં દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં આવેલા ભકતો આકાશ તરફ મીટ માંડીને બાપુનાં દર્શન માટે અધીરા બન્યા હતા અને બપોરે ૩.૪૫ કલાકે હેલિકોપ્ટર નજરે પડતાં સૌની નજર આકાશ તરફ હતી. પાઇલટ સહિત પાંચ મુસાફરોની બેઠક ક્ષમતા ધરાવતું ટીબીએ પ્રકારનું હેલિકોપ્ટર ઉતરાણ કરવાની તૈયારી કરતું હતું. જેમાં કેપ્ટન રવીન્દ્રસિંહ તથા આસારામ બાપુ સહિત તેઓના ત્રણ સાધકો સવાર હતા. ત્યારે સત્સંગ કાર્યક્રમના સ્થળ નજીક સાયન્સ કોલેજના મેદાનમાં અચાનક પાઇલટે લેન્ડિંગ કરતા હેલિકોપ્ટર મૂળ હેલિપેડના સ્થાનને બદલે તેની નજીકના ભાગમાં એકાએક ધસડાઇ પડ્યું હતું.
જેથી હેલિકોપ્ટરના ફેન તેમજ કેટલોક હિસ્સો જમીન સાથે ટકરાતા ક્ષણભરમાં તૂટી પડતાં સત્સંગીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં આસારામ બાપુ, પાઇલટ સહિતનો અદભુત બચાવ થતાં સત્સંગીઓમાં હાશકારો વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં વેત પોલીસ વડા સચિન બાદશાહ તથા નાયબ પોલીસ વડા વી.જે.જાડેજા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ સાથે ગોધરા પાલિકા ફાયર વિભાગના ચીફ સોલંકી તેમજ લાશ્કરોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ સહિતની કામગીરી હાથ ધરી હતી.







