નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી શિવાલય કોમ્પલેકસની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાં જવાના મુખ્યમાર્ગ પર ગટરના ગંદાપાણી ભરાઈ ગયા છે. તેમજ આ વિસ્તારમાં ખાડા પડી ગયા હોવાથી ઢીંચણસમુ પાણી ભરાઈ ગયું છે. પરિણામે અવરજવરમાં પણ ભારે મુશ્કેલી ઊભી થઈ છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે, આ જ સ્થળ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ પાણી ભરાઈ જવાના કારણે ગણેશ સ્થાપના ક્યાં કરવી? તે પણ એક પ્રશ્ન છે. આ બાબતે અહીંના રહીશોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.
પશ્ચિમ વિસ્તારમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરતાં ગણેશ નાગરિક સેવામંડળના સભ્યોએ જણાવ્યુ હતું કે ‘દર વર્ષે શિવાલય ફ્લેટની બાજુમાં આવેલી જગ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે અહીંના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને વરસાદના પાણી પણ ભરાઈ ગયા છે.
વારંવાર રજુઆત કર્યા બાદ પણ પાલિકા દ્વારા નિકાલ કરવામાં આવતો નથી.’ આ બાબતે ત્રસ્ત રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ પ્રશ્નનો ઉકેલ સત્વરે લાવવામાં આવે તેવી માગણી કરી છે.
પાણીનો નિકાલ કરાવવામાં આવશે
આ સંદર્ભે ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું હતું કે ‘રહીશોની રજુઆત આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેનો આ માર્ગ હોવાથી પાણી ભરાયું છે, પરંતુ પાણીનો નિકાલ સત્વરે થાય તે માટે સેનેટરી વિભાગને જાણ કરી પાણીનો નિકાલ કરાવવામાં આવશે.’