- એકતા અને સમરસતાની સુવર્ણ જયંતિ
- પંચાયતી રાજની અડધી સદીથી વિવિધ જ્ઞાતિના લોકો ધરાવતાં તારાપુરનાં ગોરાડમાં આજ સુધી પંચાયતની ચૂંટણી યોજાઇ જ નથી
- ૧૯૬૧થી ગામનાં લોકો ભેગાં મળીને સરપંચ અને સભ્યોની સવૉનુમતે વરણી કરે છે
ચૂંટણી એટલે વેરઝેર, લોભ-લાલચ અને ધાકધમકી. એકથાળીમાં ખાતા બે ખાસ મિત્રો વચ્ચે વેર, એવું આપણે ત્યાં થતું આવ્યું છે. તારાપુર તાલુકાનું ગોરાડ ગામ આ બધાથી પર છે. ગોરાડમાં સરપંચની ચૂંટણી આવે એટલે ગામનો વિકાસ, એકતા અને સમરસતાની વાત આવે. ઐતિહાસિક કહી શકાય એવી બાબત તો એ છે કે પંચાયતી રાજના અમલ બાદ ગોરાડ પંચાયતમાં સરપંચની ક્યારેય ચૂંટણી યોજાઇ જ નથી!
ગોહિલ, દરબાર, પટેલ, ભરવાડ, બેલદાર, કોળી પટેલ, વણકર અને હરિજનની વસ્તી ધરાવતાં ગોરાડ ગામના લોકો ભેગાં મળી સરપંચ અને સભ્યોની નિમણુંક સવૉનુમતે કરે છે. પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે ગોરાડની સાથે જીચકા અને ખાનપુર ગામ જોડાયેલાં હતાં. આ ગામ જોડાયેલાં હતાં ત્યારે, પણ ત્યાં ચૂંટણી થતી નોહતી. સમયાંતરે ખાનપુર અને જીચકા પંચાયતો અલગ અસ્તિત્વમાં આવી. હાલમાં જીચકા અને ખાનપુર પંચાયતમાં ચૂંટણી થાય છે, પણ ગોરાડ ગામે હજુપણ સમરસની પરંપરા જાળવી રાખી છે.
બીજી ચૂંટણી વખતે અનોખી સમરસતા
‘અમારાં ગામની એકતાનું ઉદાહરણ પંચાયતની ચૂંટણીની સાથે સાથે એ વાત પણ છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ગ્રામવાસીઓ જે પક્ષ નક્કી કરે તેની તરફેણમાં જ મતદાન કરીએ.’ - વલ્લભાઇ પટેલ, અગ્રણી
મતભેદ ખરાં પણ મનભેદ નહીં
અમારા ગામમાં પણ બીજા ગામની જેમ નાના-મોટા ઝઘડા કેટલીક વખત થાય છે. ગામના લોકો વચ્ચે મતભેદ થતાં રહે છે, પરંતુ આ મતભેદને અમે મનભેદમાં પરિવર્તિત થવા દેતાં નથી, જેથી ગામની અંખડિતતા અને એકતા જળવાઇ રહી છે.’ - સજનબા ગોહિલ, માજી સરપંચ
સૌનો સાથ સૌનો વિકાસ
ગામના વિકાસને ધ્યાનમાં રાખી સમરસતાથી જ ચૂંટણી થાય છે. અમારું ગામ દરેક માળખાકિય સુવિધાથી સજજ છે. જેને લઇને ‘સૌનો સાથ સૌનો વિકાસ’નું સૂત્ર ગામ માટે સુસંગત છે. - જટુભાઇ ગોહિલ, સામાજીક કાર્યકર
ઘરની વાત ઘરમાં જ રહે
‘પંચાયતી રાજ બાદ ગોરાડ, ખાનપુર અને જીચકા એમ ત્રણ ગામો વચ્ચે એક પંચાયત હતી ત્યારથી લઇને અત્યાર સુધી ગોરાડ ગામે ‘સમરસતા’ની પરંપરા જાળવી રાખી છે. અમે આજે પણ ગામનો કોઇ પણ પ્રશ્ન ગામના લોકો દ્વારા જ બેસીને ઉકેલ મેળવવામાં માનીએ છીએ.’ - ગોહિલ બળવંતસિંહ
વડીલોની ત્યાગની ભાવના અસરકારક
‘અમારાં ગામમાં વડીલોની ત્યાગની ભાવના અને સત્તાને નહીં ચીપકી રહેવાની સમજ સમરસતાને વધુ અસરકારક બનાવી છે. અમારા વડિલોની ત્યાગની ભાવના અમે જાળવી રાખી છે.’ - સિદ્ધરાજસિંહ ગોહેલ, યુવા અગ્રણી
યુવાનો અમારો ગર્વ
૮૦ વર્ષના વૃદ્ધ ઉમેદસિંહ છત્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ‘મુખીપણાથી સરપંચ સુધી બધાની નિમણુંક ગામ ભેગું મળીને જ કરતું હતું. આજે પણ યુવાનો આ કાર્ય એ જ રીતે કરે છે. યુવાનોએ પણ ગામની ભાવના જાળવી રાખી છે, જેનો અમને ગર્વ છે.’