શ્રાવણ વદ - ૮ એટલે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે આણંદવાસીઓ થનગની રહ્યાં છે. આણંદની હવેલી, કૃષ્ણમંદિર ઉપરાંત લાંભવેલ હનુમાનજી અને ઈસ્કોન મંદિરમાં ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મટકીફોડ સહિતના કાર્યક્રમનો તડામાર તૈયારીઓ આગલની સાંજથી જ જોવા મળી હતી.
વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે રાત્રિના એક કલાક સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યાં છે. વહેલી સવારે ૪-૩૦ વાગ્યે મંગળાઆરતી, ૭-૩૦ કલાકે ગુરૂપૂજન, ૮ કલાકે શૃંગાર દર્શન બાદ શોભાયાત્રા નીકળશે. જે નગરના રાજમાર્ગો પર ફરશે. સાંજે ૭ કલાકે સંધ્યા આરતી, કિર્તન, વેશભુષા, પ્રવચન, નાટક, મહાઅભિષેક બાદ રાત્રે ૧૨ મહાઆરતી થશે.
આ ઉપરાંત લાંભવેલ મંદિર ખાતે પણ જન્માષ્ટમી નિતિત્તે ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ શહેર ઉપરાંત તાલુકાના નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મટકીફોડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. બોરસદ, આંકલાવ, ખંભાત, તારાપુર, પેટલાદ, સોજીત્રાના ગામોના મંદિરોમાં ભાવિભક્તપૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
ખંભાતની સંસ્થામાં જન્માષ્ટમીની ઉજવૉ
ખંભાતની બી.ડી. રાવ અધ્યાપન મંદિરના બાળકોએ કૃષ્ણના લલાટમાં કેસર મિશ્રિત કુમકુમ તિલક કરીને શ્રીકૃષ્ણને પારણે જુલાવ્યા હતા. ખંભાત તાલુકા અધ્યાપન મંદિર તથા મા.શા. હાઈસ્કૂલમાં નંદમહોત્સવ ઉજવાયો હતો. જ્યારે ખંભાતની તાલુકા કેળવણી મંડળ અધ્યાપન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ બાળસ્વરૂપને પારણામાં ઝુલાવીને હાલરડાં ગીતો ગાઈને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું.
આ ઉપરાંત શાળા - કોલેજોમાં શ્રીકૃષ્ણ, રાધા, સુદામાની વેશભૂષા સજ્જ બાળક શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પીટીસી કોલેજમાં તાલીમાર્થીઓએ પિરામીડ રચીને મટકીફોડતા બાળગોપાલને જોવા અન્ય સંસ્થાના બાળકો, અધ્યાપકો પણ ઉમટી પડ્યાં હતાં.