ગાંધીનગર જિલ્લાની માહિતી એકઠી કરવા કલેકટર કચેરીની કવાયત
ક્ષતિગ્રસ્ત ધર્મસ્થાનનો પ્રકાર, તોફાન સમયની સ્થિતિ અને ત્યારપછીની સ્થિતિની માહિતી મગાવાઇ
ગોધરાકાંડને પગલે રાજ્યભરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં નુકસાન પામેલાં ધર્મસ્થાનોના સમારકામ માટે વળતર ચૂકવવા અંગેના વડી અદાલતના ચુકાદા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળોની વિગતો એકત્ર કરવા રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ આદેશો આપ્યા છે. આ આદેશને પગલે ગાંધીનગર કલેકટરે પણ જિલ્લાના તોફાન અસરગ્રસ્ત મંદિરો-મસ્જિદોની વિગતો મેળવવાની કામગીરી શરૂ કરાઇ છે.
વર્ષ ૨૦૦૨માં સર્જાયેલા જઘન્ય ગોધરાકાંડમાં કારસેવકોને જીવતા જલાવી દેવાની ઘટનાના પ્રત્યાઘાતરૂપે રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં. સમગ્ર રાજ્યમાં સેંકડો નિર્દોષ લોકોને તોફાનોના ભોગ બનાવાયા હતાં. કોમવાદી તત્ત્વોએ તોફાનો દરમિયાન અસંખ્ય ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડયું હતું. જ્યારે કેટલાય ધર્મસ્થાનોનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું હતું.
કોમી રમખાણો બાદ ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળોની મરામત અને નિભાવણી માટે રાજ્ય સરકાર પાસે વળતરની માગણી કરવા એક સ્વૈચ્છિક સંસ્થાએ વડી અદાલત સમક્ષ અરજી કરી હતી. નવ વર્ષ સુધીની લંબાણપૂર્વકની દલીલો, સરકાર પક્ષની રજૂઆતો બાદ વડી અદાલતે વળતર ચૂકવવામાં ઢીલ બદલ રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને ક્ષતિગ્રસ્ત ધર્મસ્થાનોના સમારકામ-નિભાવણી માટે વળતર ચૂકવવા માટે ચુકાદો આપ્યો છે.
હાઇર્કોટે આપેલા ચુકાદાને પગલે રાજ્યમાં ૨૦૦૨ના તોફાનો દરમિયાન નુકશાન પામેલા ધર્ર્મસ્થાનોની વિગતો એકત્ર કરવાના સરકારે તમામ જિલ્લા કલેકટરને આદેશો કર્યા છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા પણ ગાંધીનગર જિલ્લામાં નુકસાન પામેલા ધાર્મિક સ્થળોની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. કલેકટર કચેરી દ્વારા ગાંધીનગર તાલુકા, દહેગામ, કલોલ અને માણસા તાલુકાની કચેરીઓને વિગતો એકત્ર કરવા આદેશો કરવામાં આવ્યા છે.ગાંધીનગર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ગોધરાકાંડના કોમી રમખાણોમાં ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળોની માગવામાં આવેલી માહિતી અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે ક્ષતિગ્રસ્ત ધર્મસ્થાનનો પ્રહાર, તોફાન સમયની સ્થિતિ, ત્યારબાદ સમારકામ થયું છે કે, નહીં ? સમારકામ કેટલું થયું ? તે સહિતની વિગતો માગી છે.