હેરિટેજ વોક દ્વારા શહેરના પૌરાણિક ઈતિહાસ અને સાંસ્કૃતિક જગ્યાઓની જાણકારી તો મળી રહે છે પણ હજુ આપણે આપણા શહેરના વિવિધ ક્રાંતિ સ્થળોથી અજાણ છીએ. યુવાનોને એ પણ જાણકારી હોવી જોઈએ કે અમદાવાદ એક ક્રાંતિભૂમિ હતી અને શહેરમાં એવી કેટલીક ક્રાંતિકારી ઘટનાઓ બની ગઈ છે જે સ્થળો જોવા જાણવા જોઈએ.
આ માટે મ્યુનિસપિલ કોર્પોરેશનના હેરિટેજ પોગ્રામ હેઠળ ફ્રીડમ વોક શરૂ કરવામાં આવશે. આ નાની ક્રાંતિયાત્રા બનશે જે પાંચ કૂવા દરવાજાથી શરૂ થઈને રાયપુર ચકલામાં પૂરી થશે.
આ વોક દરમિયાન ક્રાંતિકારી ઘટનાના સ્થળો અને ક્રાંતિવીરોના મેમોરિયલ બતાવીને તેમનો ઈતિહાસ જણાવવામાં આવશે. જેમ કે ખાડિયામાં આવેલી સાઈકલની એક દુકાન પાછળ ઈતિહાસ છુપાયેલો છે. એ જગ્યાએ પહેલાં એક મકાન હતું અને તે બોંબ ફેક્ટરી તરીકે વપરાતું હતું. બંગાળથી ક્રાંતિકારીઓ આવીને આ મકાનમાં ગુજરાતીઓને બોંબ બનાવતા શિખવાડતા.
રાયપુર દોલતખાનામાં મંદિર છે જ્યાં ક્રાંતિવીરો રોકાયા હતા અને તે જ જગ્યાએ બોંબ છુપાવવામાં આવતા હતા. સૌ પ્રથમ શહીદ થયેલા ઉમાકાંત કડિયાનું મેમોરિયલ જેવી જગ્યાઓ પણ આ વોક દરમિયાન બતાવવામાં આવશે. આખી ક્રાંતિયાત્રા ૪ કલાકની રહેશે અને ખાસ ભારતીયો માટે ડિઝાઇન કરેલી છે.
આ ફ્રીડમ વોકમાં ફક્ત ઈન્ડિયનને જ એન્ટ્રી આપવામાં આવશે. ઘણાંને એ ખબર નહીં હોય કે ભારતમાતાની આકૃતિ આપણા શહેરના એક શિક્ષકે દોરી હતી. વર્ષો પહેલા શહેરની પ્રાથમિક શાળાના એક શિક્ષક મગનલાલ શર્માએ ૧૯૦૬માં મુકુટ ત્રિશૂલ ધારિણી દેવીરૂપે ભારતમાતાનું સૌ પ્રથમ કલ્પના ચિત્ર દોર્યું હતું. આ ચિત્ર ‘હિંદ દેવી’ તરીકે ઓળખાયું હતું. વાસ્તવમાં ૧૯૯૬માં મ્યુનિ.કોર્પોરેશને આવી યાત્રાનું આયોજન કર્યું હતું. તે જોકે હવે અમલમાં મુકાશે અને નજીકના ભવિષ્યમાં આ ફ્રીડમ વોકની શરૂઆત થશે તેમ હેરિટેજ કાર્યકર નીરવ પંચાલે કહ્યું હતું.