અમદાવાદ- ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી કબજે લેવાયેલા ઘીના નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા
રાજ્યમાં ઘી સહિતના ખોરાકી પદાર્થોમાં થતી અક્ષમ્ય ભેળસેળ રોકવા માટે હવે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર કામે લાગ્યું છે. અમદાવાદ-ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા પડાયેલા દરોડામાં અંદાજે રૂપિયા ૨પ લાખથી વધુની કિંમતનો બનાવટી ઘીનો જથ્થો કબજે લેવાયો છે. જેના કેટલાક નમૂના પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
હાલની સ્થિતિએ ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા બનાવટી ઘીમાં કરાતી બેફામ ભેળસેળ રોકવા અને આવા અધમ કૃત્ય આચરનારાઓ સામે આંખ લાલ કરાઈ છે. જેને પગલે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. કલોલ તાલુકામાં જેમીની ફૂડ પ્રોડક્સ રકનપુર અને ખાત્રજના ગોરસ ડેરી ખાતેથી ત્રણ-ત્રણ નમૂના લેવાયા હતા.આ ઉપરાંત અહીંથી લીલાધર શુદ્ધ ઘીના નામે ૬પ પેક ટીનનો અંદાજે રૂપિયા ૨,૮૨,૬૪૦ની કિંમતનો કુલ ૯૭૪ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અસલાલીના સચિન કોલ્ડ સ્ટોરેજ ખાતેથી ડોઆબા વ્હાઈટ બટરનો અંદાજે ૧૦,૦૩,૬૦૦ની કિંમતનો પ૦૧૮ કિલો જથ્થો ગુણવત્તામાં શંકાસ્પદ જણાતા જપ્ત કરાયો હતો. વિરમગામ શહેરમાંથી પણ ઘીના બે નમૂના લેવાયા હતા.કડીમાં અંબુજા એકસપર્ટ,કડી થોળ રોડ ખાતેથી ૮,૯૭,૦૬૦ની કિંમતનો ૧૪,૯પ૧ કિલો મુન વનસ્પતિ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાંથી ઘીના કુલ ૨પ નમૂના લેવાયા હતા.મે.મનતભાઈ ખેરાજીભાઈ કાજી,મુન માર્કેટિંગ, નવા બાપુનગર ખાતેથી અંદાજે ૩,૪૭,૪૨૪ની કિંમતનો પ૬૪૦ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.