ભાજપના ઉમેદવાર કનુભાઈ ડાભી જ્યારે કોંગ્રેસે ઘેલાભાઈ ઝાલાને ટિકિટ આપીભાજપને પણ ગત વખતે હારેલા ઉમેદવારને ટિકિટ આપવાની ફરજ પડી
કઠલાલ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ માટે આંખે પાણી આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક બાજુ કોંગ્રેસના સ્વ. ધારાસભ્ય ગૌતમભાઈ ઝાલાના પુત્ર ભરત ઝાલાએ છેલ્લી ઘડીએ ટિકિટ ન આપતાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેથી કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ઘેલાભાઈ ઝાલા સામે પોતાના ગઢમાં જ એક પડકાર ઊભા થયો છે.
બીજી તરફ ભાજપને પણ ઉમેદવાર નક્કી કરવામાં બુધવારે સવાર સુધી કવાયત કરવી પડી હતી. છેવટે ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવાર કનુભાઈ ડાભીને જ ટિકિટ આપવાની ફરજ પડી હતી. આ ઉપરાંત કુલ ૧૫ જેટલા ઉમેદવારે છેલ્લા દિવસે ફોર્મ ભરતાં પણ નવાં રાજકીય સમીકરણો મંડાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ૨૮ ઓગસ્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણી જંગ દરમિયાન શંકરસિંહ વાઘેલા ચૂંટણીનું સુકાન સંભાળે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બંને પક્ષે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે બુધવારે સવારે ઉમેદવારોને મેન્ડેટ આપવાની ફરજ પડી હતી. ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હોવાથી કોંગ્રેસે આ બેઠક જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.
ભાજપના સત્તાવાર ઉમેદવાર કનુભાઈ ભુલાભાઈ ડાબી અને કોંગ્રેસના ઉમેદવાર ઘેલાભાઈ માનસિંહ ઝાલાએ ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ટેકેદારો સાથે નડિયાદ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ગૌતમભાઈ ઝાલાના અવસાનને પગલે આ બેઠક ખાલી પડી છે. કોંગ્રેસમાં ઘેલાભાઈની પસંદગીથી શંકરસિંહ વાઘેલાનો હાથ ઉપર રહ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ તેમના સમર્થક કાભાઈને ટિકિટ અપાવવામાં નિષ્ફળ રહ્યા છે.
એક તબક્કે કાભાઈને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું કોંગ્રેસ મોવડીમંડળે જણાવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ નનૈયો ભણી દેતાં ઘેલાભાઈના પુત્ર જયંતીભાઈને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવવું પડ્યું હતું.
જોકે આ બેઠક માટે સદગત ધારાસભ્યના પુત્ર ભરત ઝાલાનું નામ પણ ચર્ચાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ એક તબક્કે ભાજપે ભરત ઝાલાને ભાજપના ઉમેદવાર તરીકે ઊભા રાખવાની તૈયારી કરી લીધી હતી તો સામા પક્ષે ભાજપના ઉમેદવાર કનુભાઈએ પણ કોંગ્રેસના ઉમેદવાર બનવા મન બનાવી લીધું હોવાનું ચર્ચાયું હતું પરંતુ તેમને ભાજપના મોવડીમંડળ તરફથી ઉમેદવારી માટે નિર્દેશ આપવામાં આવતા ઘીના ઠામમાં ઘી પડ્યું હતું.
અલબત્ત, કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. ભરત ઝાલાને ટિકિટ ન મળતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસની આસાન જીતને બ્રેક મારવાની કોશિશ કરી હોવાનું મનાઈ રહ્યું છે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા મુજબ ઘેલાભાઈ ‘અમૂલ’ના ડાયરેક્ટર છે અને ભૂતકાળમાં ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખપદે રહી ચૂક્યા છે.
જોકે ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવા માટે ભરત ઝાલાને અપક્ષ ઉમેદવારી કરાવી હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, ૨૦૦૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સદગત ધારાસભ્ય ગૌતમભાઈ ઝાલા ૧૮૦૦ મતની સરસાઈથી વિજયી બન્યા હતા.