બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળકના જન્મની સાથે જ રસી અપાવવી અત્યંત જરૂરી છે. મોટા ભાગની જરૂરી રસી સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલોમાં તદ્દન મફતમાં અપાય છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, લોકોમાં સરકારી હોસ્પિટલો અંગેની ગેરમાન્યતાઓ, અજ્ઞાન અને દેખાદેખીને કારણે પ્રાઇવેટ અને કોર્પોરેટ હોસ્પિટલોના ડોક્ટરો વિવિધ પ્રકારની રસીનો મન ફાવે તેવો ચાર્જ વસૂલ કરીને ૨૦૦ ટકા જેટલું તગડું કમીશન રળી લે છે.
સરકારી હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે, દેખાદેખીના કારણે આજે અપર અને હાયર મિડલ કલાસના મોટા ભાગના લોકો બાળકોને રસી મુકાવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા થયા છે, જેથી બાળકના જન્મથી પાંચ વર્ષ સુધીમાં આ રસીનો ખર્ચ લગભગ ૧૮થી ૨૦ હજાર સુધી પહોંચી જાય છે, જેમાંથી મોટા ભાગની રસી કે જેના પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો R ૧૦૦થી ૬૫૦ વસૂલે છે. આવી રસી રાજ્યની સરકારી- કોર્પોરેશનની હોસ્પિટલોમાં મોટા ભાગે મફતમાં અપાય છે.
એક સિનિયર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા મુજબ અમે જે રસી મૂકીએ છીએ તેમાં તેઓ દર્દી પાસેથી ૬૦થી ૨૦૦ ટકાનો નફો રળે છે, કારણ કે રસી એકસરખી હોવા છતાં કંપની પ્રમાણે ભાવ જુદા-જુદા હોય છે. દા.ત. અલગ-અલગ કંપની પ્રમાણે ઝેરી કમળાની રસીની કિંમત R ૩૫ અને R ૨૧૦ની હોય છે. તેવી જ રીતે ટાઇફોઇડની રસીનો ભાવ R ૬૦થી R ૧૩૦ સુધીનો હોય છે.
લોકો જ્યારે ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે, ત્યારે ડોક્ટરોએ પણ વિવેકબુદ્ધિ વાપરીને નિષ્ઠાપૂર્વક સમાજસેવા કરવાના ‘હિપોક્રેટિક ઓથ’ને યાદ કરે અને રસી મૂકવાના ચાર્જમાં ૨૦થી૩૦ ટકા સુધી ઘટાડો કરે તો ગરીબ અને નબળા વર્ગને પણ આ રસી મુકાવવા માટે પ્રેરણા મળશે.
એટલું જ નહીં સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાતો કરતી ફાર્મા કંપનીઓએ પણ દવાના રિસર્ચ અને માર્કેટિંગનો ખર્ચ નીકળી ગયા બાદ રસીની કિંમતમાં ઘટાડો કરવા આગળ આવવાની જરૂર છે.
મોંઘી રસી માટે ડોક્ટરો દ્વારા ઇમોશનલી બ્લેક મેલિંગ
ન્યુમોકોકલ, રૂબેલા અને મેન્ગીગોકોકલની રસી કે જેની કિંમત R ૩,૦૦૦ જેટલી હોય છે, જે બાળકને ઇન્ફેકશન હોય ત્યારે જ મૂકવાની હોય છે, પરંતુ બાળકને ઇન્ફેક્શન હોય કે ન હોય તેમ છતાં રોગ ન થાય તે માટે રસી મુકાવવા ડોક્ટરો બાળકનાં માતા-પિતાને ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય છે. અમેરિકામાં આ રસી તદ્દન મફતમાં અપાય છે, જેથી એનઆરઆઇની દેખાદેખીમાં કેટલાક લોકો જરૂર ન હોવા છતાં રસી મુકાવતા થયા છે.
રાજ્યની સરકારી- કોર્પોરેશનની હોસ્પિટલોમાં કઈ રસી ઉપલબ્ધ
સરકારી હોસ્પિટલમાં બીસીજી, પોલિયો, ત્રિગુણી, ઓરી, હિપેટાઇટીસ-બીની રસી તેમજ બરોળ કાઢી નાખી હોય અને રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય તેવાં બાળકોને કેટલાક ખાસ કેસમાં ન્યુમોકોકલ અને મેન્ગીગોકોકલની રસી મફતમાં અપાય છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર એસ.પી. કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બીસીજી, પોલિયો, ત્રિગુણી, ઓરી, હિપેટાઇટીસ-બીની રસી મફત અપાય છે.
પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો શું કહે છે?
પ્રાઇવેટ ક્લિનિકના ચારથી પાંચ ડોક્ટરોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, બાળકને મૂકવામાં આવતી રસી મેડિકલ સ્ટોર્સમાં મળતી નથી. વળી તે રસી લાવીને ૨થી ૮ ડિગ્રી તાપમાનમાં સાચવવી જરૂરી હોવાથી અલગથી ડીપ ફ્રિજ રાખવું પડે છે.
ઉપરાંત રસી મૂકવાનાં ચાર્જમાં કન્સલ્ટિંગ અને રસી મૂક્યા પછીનો ફોલોઅપ ચાર્જ પણ સામેલ હોય છે, જેના કારણે વધારે ચાર્જ લેવામાં આવે છે. જ્યારે સરકારી દવાખાનામાં અપાતી રસી ઓઇલ બેઝ હોવાથી ૧૦માંથી બે બાળકને તાવ અને રસી પાકવાની સમસ્યા રહે છે, જ્યારે અમે વોટર બેઝ રસી મૂકતા હોવાથી રસી પાકતી નથી. ઘણીવાર બેથી પાંચ રસી એકસાથે અપાતી હોવાથી દર્દીને ચાર્જ વધારે લાગે છે.