મહાનગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાહેરસભાઓમાં ભાજપની પેનલને જીતાડવા અપીલ કરી રહ્યા છે. સાબરમતીના જવાહરચોક પાસે સોમવારે યોજાયેલી જાહેરસભામાં મોદીએ કહ્યું હતું કે, ૧૦મી ઓક્ટોબરે તમે મતદાન કરવાના છો, પરંતુ આ મતદાન માત્ર કોર્પોરેટર કે મેયરને ચૂંટવા માટે નહીં પણ ગુજરાતના વિકાસમાં અડચણો પેદા કરનારી દિલ્હીની સલ્તનતને ઝુકાવવા માટે કરવાનું છે. ૧૦-૧૦-૧૦ના રોજ ભારે મતદાન કરીને કમળના નિશાન પર મહોર લગાવી સાચા અર્થમાં વિજયાદશમી ઊજવવા મોદીએ આહ્વાન કર્યું છે.
મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર સરકારની નીતિ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીની સલ્તનતને ગુજરાતનો વિકાસ આંખમાં કણાની જેમ ખૂંચે છે. શહેરમાં રેલવેટ્રેક પર બ્રિજ બાંધવાની વાત હોય કે સરદાર સરોવર અને નર્મદા ડેમના દરવાજા બનાવવા માટેની વાત હોય, કેન્દ્ર સરકાર ખોટાં બહાનાં આગળ ધરીને પરવાનગી આપતી નથી.
શાંતિ, સલામતી અને વિકાસને ગુજરાતનો મંત્ર ગણાવીને કહ્યું હતું કે, દેશમાં ઠેર-ઠેર માઓવાદ, આતંકવાદ અને નક્સલવાદને ડામવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ પુરવાર થઈ છે, ત્યારે ગુજરાતના નાગરિકો છેલ્લાં ૨૫ વર્ષમાં ન જોવા મળી હોય તેવી શાંતિ, સલામતી અને વિકાસનો અનુભવ કરી રહ્યા છે. જેથી આપણા ગુજરાતમાં માઓવાદ, નક્સલવાદ કે આતંકવાદનો પગપેસારો રોકવા માટે મને આપના આશીર્વાદ જોઈએ છે.
કોમનવેલ્થ ગેમ્સમાં આચરાયેલા કૌભાંડની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોમનવેલ્થમાં ધડાકા-ભડાકા કરી દુનિયાની આંખ આંજવાની કોશિશ કરી છે, પરંતુ કોમનવેલ્થમાં થયેલા ૭૦ હજાર કરોડના ભ્રષ્ટાચાર અંગે તપાસ સોંપવા જ તૈયાર નથી.