અમદાવાદથી શરૂ થયેલા રાજ્યભરના કુલ ૩૪ સદ્ભાવના ઉપવાસની તમામ માહિતી એકત્ર કરવા રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે. તમામ સ્થળેથી વિગતો પૂરી પડાયા બાદ મુખ્યમંત્રીના સદભાવના મિશન પ્રત્યે રાજ્યના કેટલા નાગરિકોએ સદભાવના દાખવી તે જાણવા મળશે.
મુખ્યમંત્રીએ તેમના જન્મદિવસ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૧થી અમદાવાદમાં ત્રિદિવસીય સદભાવના મિશન ઉપવાસ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારબાદ ૨૬ જિલ્લા અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ એમ ૬ મહાનગરપાલિકા મળી કુલ ૩૪ સદભાવના ઉપવાસ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી સાથે જોડાયેલા ઉપવાસીઓની સંખ્યાથી લઇને રાજ્ય સરકારના માસિક સામિયક ગુજરાતનાં લવાજમોની સંખ્યા સહિતની તમામ માહિતી માગવામાં આવી છે.
રાજ્ય સરકારે કઈ કઈ વિગતો માગી
ઉપવાસી સ્ત્રી-પુરુષોની સંખ્યા
મુલાકાતી સ્ત્રી-પુરુષોની સંખ્યા
વિકલાંગ સ્ત્રી-પુરુષોની સંખ્યા
પ્રદર્શનના દર્શકોની સંખ્યા
ગુજરાતનાં લવાજમની સંખ્યા
પુસ્તકોની ખરીદીની સંખ્યા
કન્યા કેળવણીના દાનની સંખ્યા
મુખ્યમંત્રી રિલીફ ફંડ માટેના દાનની સંખ્યા
સદભાવનાની અસર-પ્રતિભાવો પણ મગાયા
સચિવાલયમાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કોન્ફરન્સ યોજવામાં આવતી હોય છે. આ કોન્ફરન્સમાં પણ સદભાવના મિશન વિશે ચર્ચા કરવામાં આવે છે. ઉપરાંત સદભાવના ઉપવાસની લોકો પર કેવી અસર પડી રહી છે તથા લોકો શો પ્રતિભાવ આપી રહ્યાં છે તેની વિગતો પણ મગાય છે.