બોરસદના કાવીઠા ગામે શુક્રવારની સમી સાંજે પટેલ અને ભરવાડનાં બે જુથ વચ્ચે ભેલાણ બાબતે સશસ્ત્ર મારામારી થતાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ સ્થિતિને કાબુમાં લેવા બોરસદ ગ્રામ્ય અને શહેરનો પોલીસ કાફલો પણ તુરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ મારામારીમાં સાત વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર માટે બોરસદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બોરસદ તાલુકાના વહેરા કાવીઠા રોડ પર તળાવની બાજુમાં સરકારી જમીન પર રહેતાં ભરવાડ પરિવારનાં કેટલાંક ઉંટ નજીકના ખેતરમાં ઘુસી ગયાં હતાં. આ સમયે ખેતર માલિક કેતનભાઈ નટુભાઈ પટેલે ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાન બાબતે ભરવાડને ઠપકો આપતા પરિસ્થિતિ વણસી હતી. જેમાં બોલાચાલી બાદ વાત વણસતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
આ ઝઘડાની જાણ થવાનાં પગલે અન્ય કેટલાક ભરવાડ શખ્સો પણ લાકડી સહિતનાં હથિયાર સાથે ધસી આવ્યાં હતાં અને કેતનભાઈ પર હુમલો કર્યો હતો. આથી, કેતનભાઈએ પોતાનાં પરિવારને જાણ કરતાં તેઓ પણ ખેતરે પહોંચ્યાં હતાં. જેના પગલે થોડીવારમાં જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મામલો બિચકયો હતો અને એકબીજા પર શસ્ત્રો વડે હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી.
કાવીઠા સીમમાં ભેલાણ મામલે બે જુથ વચ્ચે દંગલ થયું હોવાનાં બનાવની જાણ બોરસદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.વી. બતુલ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ થાળે પડી હતી. જ્યારે આ મારામારીમાં પટેલ પરિવારમાં ચાર અને ભરવાડ પરિવારનાં ત્રણેક સભ્યને ઈજા પહોંચી હતી. જેઓને ૧૦૮ની મદદથી સારવાર માટે બોરસદ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ બનાવ અંગે મોડી રાત્રે બોરસદ ગ્રામ્ય પોલીસે બંને પક્ષના નિવેદન આધારે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે બોરસદ શહેર અને ગ્રામ્યનો પોલીસ કાફલો કાવીઠા ગામ અને આસપાસનાં અન્ય સીમનાં રહેણાંક વિસ્તારોમાં પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.