પ્રજા માટે પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરાયો ન હોવાથી રહિશોને ત્રાસજનક પરિસ્થિતિમાં જીવન જીવવાની ફરજ પડી રહી છે
દહેગામ શહેરનો વોર્ડ નં.૩ અંદાજે ૨૭૦૦ મતદાર ધરાવતો વોર્ડ છે. તેમાં સોસાયટી વિસ્તાર ઉપરાંત શ્રમજીવી વિસ્તાર તેમજ કંથરાઇ, તેલનાર અને અલુવાના છાપરાનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં દહેગામની પ્રથમ એવી અતુલ સોસાયટી પણ સમાવષ્ટિ છે. ઉપરાંત આ વોર્ડમાં શાકમાર્કેટ આવેલી છે જયાં દિવસ દરમ્યાન સતત ચહલ પહલ થતી રહે છે. અહીં શાકભાજીનો કચરો ફેંકવામાં આવતાં ગંદકી થાય છે. ઉપરાંત સતત ટ્રાફિક રહેતો હોવાને કારણે અતુલ સોસાયટીના રહીશોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉપરાંત નજીકમાં જ ગર્લ્સ હાઇસ્કૂલ આવેલ હોવાથી અસામાજિક તત્ત્વોના ટોળાં ઊભા રહેતા હોવાનું અને બિભત્સ વર્તન અને બિભત્સ ભાષાપ્રયોગને કારણે આ સોસાયટીના લોકો ત્રસ્ત થઇ ગયા હોવાનું જણાવી રહ્યા હતાં.
આ વોર્ડમાં સમાવષ્ટિ બારોટવાડા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર, જાહેર મૂતરડીની અનિયમિત સફાઇ તેમજ સ્ટ્રીટલાઇટો વારંવાર બંધ થઇ જતી હોવાની ફરિયાદો ઊઠી હતી. નજીકમાં આવેલ સરકારી દવાખાનાના પાછળનો દેવી પૂજકવાસ, ઠાકોરવાસ તેમજ લવાડીયા ફળી વિસ્તાર પણ અનિયમિત સફાઇ, ખુલ્લી અને ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી રહેતી હોવા ઉપરાંત આ વિસ્તારમાં અપૂરતા પ્રેશરથી પાણી આવતું હોવાનું લોકોએ જણાવ્યું હતું. સરકારી દવાખાનાના પાછળના ભાગમાં મુખ્ય રોડ પર અડધો ભાગ સી.સી.રોડનો બનાવાયો છે, જયારે અડધા ભાગમાં પથ્થરો રહેવા દીધા હોવાથી બૂમો ઊઠી છે.
રામેશ્વર સોસાયટી પાસેથી અલુવાના છાપરા તરફ જતાં માર્ગની વસાહત પાસે ખૂબ જ ગંદકીનું સામ્રાજય હોવાની સાથે વાળીનાથ વિસ્તારમાં ચોકડી વિનાના પાણીના સ્ટેન્ડને કારણે પડતી હાલાકી અને જાહેર શૌચાલય ન હોવાને કારણે જાહેરમાં શૌચક્રિયા માટેની ફરજ પડે છે. આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો બી.પી.એલ.કાર્ડ ધારક હોવા છતાં તેમને શૌચાલયનો લાભ અપાયા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. અલુવાના છાપરા, કંથરાઇના છાપરા તેમજ તેલનારના છાપરામાં પાલિકા અપાતી દ્વારા સફાઇની કે ગટરની વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઇટ તેમજ શૌચાલયની સુવિધાથી વંચિત રહ્યા છે. જોકે આ વિસ્તારમાંથી ચૂંટાઇ આવેલ નગરસેવકો વિકાસના કામો દ્વારા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.
રહીશોના પ્રતિભાવો
સુવિધા પથ પર અસુવિધાઓ
અતુલ સોસાયટીની નજીકમાં જ શાક માર્કેટ આવેલું હોવાથી ગંદકીથી દુર્ગંધ ફેલાતાં ત્રાસ ભોગવવો પડે છે. સોસાયટીની દીવાલને અડીને સુવિધા પથ પર લારીઓના દબાણને કારણે શોરબકોર થતાં શાંતિથી રહી શકાતું નથી અને સોસાયટીમાં સ્વચ્છતા અંગે ધ્યાન અપાતું ન હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ પૂરતા પ્રેશરથી પાણી પણ મળતું નથી. -રજનીબેન ગુપ્તા. અતુલ સોસાયટી
ઉભરાતી ગટરોને સથવારે પથરાળો રસ્તો
સરકારી દવાખાનાની પાછળના ભાગમાં અવારનવાર ખુલ્લી અને ભૂગર્ભ ગટર ઉભરાય છે. અહીં અડધા માર્ગમાં સી.સી.રોડ છે જયારે અડધો પથ્થર રોડ છે જે પૂર્ણ કરી સી.સી.રોડ બનાવાયો નથી નજીકમાં આવેલ દેવીપૂજકવાસમાં પણ સફાઇ કરાતી નથી તેમજ ગટરોના ગંદા પાણી રોડ પર ફરી વળે છે.
હીનાબેન દંતાણી.સરકારી દવાખાના પાછળ.
ટેક્સ ભરવા છતાં પાણી માટે વલખાં
અલુવાના છાપરા, કંથારાઇના છાપરા તેમજ તેલનારનાં છાપરામાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પડાઇ નથી. પાલિકાનો ટેક્ષ ભરવા છતાં સફાઇ પૂરતા સમયે પાણી અને સાર્વજનિક શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાને અભાવ છે. - હિંમતસિંહ વાઘેલા .અલુવાના છાપરા.
રામેશ્વર સોસાયટીમાં સુવિધાઓને નામે રામ રાજ્ય
રામેશ્વર સોસાયટી પાસે આવેલ વાળીનાથ વસાહતમાં પાણીના નળ છે પરંતુ ચોકડી બનાવાઇ ન હોવાથી ગંદા પાણીના ખાબોચિયામાંથી પાણી ભરવું પડે છે. જાહેર શૌચાલય ન હોવાને કારણે ખુલ્લામાં ક્ષોભજનક સ્થિતિમાં બેસવું પડે છે. અહીં પાલિકા દ્વારા સફાઇ કરવામાં આવતી નથી કે ડોર ટુ ડોર કચરો ઉઘરાવાતો નથી. -બાલુબેન ચૌહાણ .- વાળીનાથ
ટેક્સ ભરવા છતાં પાણી માટે વલખાં
અલુવાના છાપરા, કંથારાઇના છાપરા તેમજ તેલનારનાં છાપરામાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પડાઇ નથી. પાલિકાનો ટેક્ષ ભરવા છતાં સફાઇ પૂરતા સમયે પાણી અને સાર્વજનિક શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાને અભાવ છે. - હિંમતસિંહ વાઘેલા .અલુવાના છાપરા.
લવાડિયા ફળીમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં લાલિયાવાડી
લવાડિયા ફળી વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઇ જવાની સમસ્યા ઘેરી બની છે. ભૂગર્ભ ગટર ઉભરાંતા ગંદુ પાણી રોડ પર ફેલાય છે. ઉપરાંત અહી પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. નિયમિત સફાઇ થતી નથી. તેમજ સ્ટ્રીટ લાઇટો અનિયમિત રીતે બંધ ચાલુ થાય છે.- હનીફભાઇ શેખ .લવાડીયા ફળી
ઉભરાતી ગટરોની ગંદકીની સરકારી દવાખાના તરફ દોટ
બારોટવાડા નજીક લાઈબ્રેરી પાસે જાહેર મૂતરડીની યોગ્ય સફાઇ ન થતાં ગંદુ પાણી ઉભરાય છે અને જે પાણી બેક મારતાં સરકારી દવાખાના તરફ વળે છે અને બારોટવાડા તરફ ફેલાય છે. અહી ભૂગર્ભ ગટરો પણ અવારનવાર ઉભરાય છે. સ્ટ્રીટ લાઇટો મોડી સાંજે ચાલુ કરવામાં આવે છે અને વહેલી સવારે અંધારામાં જ બંધ કરી દેવાય છે. - બંદીશભાઇ બારોટ, બારોટવાડા.
નગરસેવકો શું કહે છે ?
પ્રજાના પ્રશ્નો હલ કરાશે
વોર્ડ નં.૩માં સમાવષ્ટિ કંથારાઇના છાપરામાં રોડનું કામ પૂર્ણ કર્યુ ઉપરાંત છાપરા વિસ્તારમાં પાણીની પાઇપલાઇનનાંખી સ્ટેન્ડ બનાવ્યા,સ્ટ્રીટ લાઇટના ફિકચર ફિટ કરાવાયા છે. દાઉદભાઇની ચાલીમાં સી.સી.રોડ પંકજ સોસાયટીમાં પથ્થર રિફિટિંગ રામેશ્વર સોસાયટીમાં પણ પથ્થર રિફિટિંગ કરી ગરનાળું પહોળું બનાવવામાં આવશે અને પ્રજાના પ્રશ્નો હલ કરવામાં આવશે.- સલીમભાઇ મલેક. ઉપપ્રમુખ નગર પાલિકા.
વિકાસ કાર્યો માટે કટિબદ્ધ છીએ
પાલૈયાથી શરૂ થતી વરસાદી પાણીના નિકાલની પાકી કેનાલ માટેનો ઠરાવ કર્યો અને તે ઝડપથી બને તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. શક્કરકુઇ ગરનાળાથી દેવી પૂજક વાસ સુધીના સી.સી.રોડ, સ્લમ વિસ્તારમાં પથ્થર રીફીટિગના કામ ઝડપી થાય તે માટે કટિબદ્ધ છીએ. -ચેતનભાઇ બારોટ.
ઉમદા કાર્યો કરવાનો ગર્વ છે
વોર્ડમાં સફાઇ થતી નથી તે વાત સાચી છે. જાહેર શૌચાલયની જરૂર છે પણ ભૂગર્ભ ગટર સંપૂર્ણપણે ફેઇલ હોવાથી હાલ નક્કર પરિણામ મળતું નથી, પરંતુ આ પ્રશ્ન ઉકેલવામાં અમે પ્રયત્ન શીલ છીએ. જોકે આ વિસ્તારમાં વૃદ્ધ સહાય, વિધવા સહાય,કુંવરબાઇનું મામેરું તેમજ બહેરા-મુંગા સહાય અપાવવાનું ઉમદા કાર્ય કર્યુ છે તેમજ આગળ પણ કરતી રહીશ તેનો મને ગર્વ છે. - અલકાબેન જોષી.