શહેરની મુલાકાતે આવેલા ઈમરાનખાને લવ, મેરેજ અને રિલેશનશિપ વિશે કરી વાતો
આગામી ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહેલી ‘એક મૈં ઔર એક તૂ’ ફિલ્મનો એક્ટર ઇમરાનખાન શુક્રવારે અમદાવાદનો મહેમાન બન્યો હતો. વિશાલ ભારદ્વાજની નેકસ્ટ ફિલ્મ ‘મટરુ કી બીજલી કા મંડોલા’ના લુકમાં જ અમદાવાદ આવેલા ઇમરાને ફિલ્મની સ્ટોરી, યંગસ્ટર્સના નવી ફિલ્મો વિશેના વિચારો, મેરેજ લાઇફ વગેરે બાબતો પર ચર્ચા કરી હતી. હાલમાં જ શાહરુખ ખાને પાર્ટીમાં ફરાહ ખાનના હસબન્ડ શિરીષ કુંદરને ફટકાર્યાની ઘટના વિશે પણ તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ફિલ્મ વિશે ઇમરાનખાને જણાવ્યું હતું કે, આ ફિલ્મ માત્ર માતા-પિતાના કહ્યા પ્રમાણે જીવન જીવતા રાહુલ નામના એક યુવાનની સ્ટોરી છે. રાહુલના માતા-પિતા તેના કપડાં પહેરવાથી લઇને કઇ હેરસ્ટાઇલ રાખવી વગેરે જાતે જ નક્કી કરે છે અને તે નિર્ણયો રાહુલ પર થોપે છે. ૨૫ વર્ષે રાહુલના જીવનમાં એક છોકરી આવે છે અને તે તેના જીવનમાં પરિવર્તન લાવી દે છે. આ છોકરી રાહુલને અહેસાસ કરાવે છે કે તેનામાં શું ખૂટે છે? આ ફિલ્મમાં જે સમસ્યા છે તે ઘણા યુવાનોને સતાવે છે.
મને વિશ્વાસ છે કે આ ફિલ્મમાંથી યુવાનો અને માતા-પિતા ઘણું લઇને જશે. ફિલ્મની સ્ટોરી ૩ ઇડિયટ્સ જેવી નથી લાગતી? તેવું પૂછાતાં ઇમરાને કહ્યું હતું કે, ૩ ઇડિયટ્સ આપણી એજ્યુકેશન સિસ્ટમ પર વધુ કટાક્ષ કરે છે. જ્યારે આ ફિલ્મ બાળક અને પેરન્ટ્સની રીલેશનશિપ પર વધુ ભાર મૂકશે. ફિલ્મ પર્સનલ રીલેશનશિપને આદર્શ રીતે દર્શાવશે. ફિલ્મ જોયા બાદ યુવાનો પોતાની જાતને શોધી શકશે. કરિના વિશે તેમણે કહ્યું હતું કે, કરિના પર ક્યારેય સ્ટારડમ સવાર થયું નથી. ઇમરાને લવ, મેરેજ અને રીલેશનશિપ પર પણ પોતાના મત વ્યક્ત કર્યા હતા.
મને ખબર નથી...
શાહરુખ અને શિરીષ કુંદરની કોન્ટ્રોવર્સી તેમજ ફિલ્મ પર કોઇ કોમેન્ટ કરે તો કેવી રીતે લેવી જોઇએ તે વિશે ઇમરાને કહ્યું હતું કે, હું પાર્ટી વખતે હાજર ન હતો તેથી શું થયું તે મને ખબર નથી. જોકે તમારી ફિલ્મ વિશે કોઇ કોમેન્ટ કરે તો તમારે દિલ પર લેવું ન જોઇએ. કારણ કે તે તેમનું માનવું છે, તમારું માનવું અલગ હોઇ શકે છે. શાહરુખ-શિરીષ વચ્ચે શું પ્રોબ્લેમ હતો તે મને ખબર નથી. ડ્રીમ રોલ વિશે પૂછાતાં ઇમરાને કહ્યું હતું કે, ડ્રીમ રોલ જેવું કશું હોતું નથી. કારણ કે હું તે વિશે વિચારીશ તો સ્ક્રીપ્ટ કોણ લખશે.
એલ્વિસ અને બિટલ્સ વિશે પણ લોકો બોલતાં
દેલ્હી બેલી ફિલ્મમાં એડલ્ટ કોમેન્ટ્સ વિશે ઇમરાને જણાવ્યું હતું કે, હકીકતમાં યંગસ્ટર્સને તે ગમે છે. જે પ્રોબ્લેમ છે તે સિનિયર્સ એટલે કે વડીલોને છે. ભૂતકાળમાં પણ આવું થયું છે કે જ્યારે સિનિયર્સને લાગે છે ફિલ્મો કે આર્ટ યૂથને કરપ્ટ કરે છે. બોબી ફિલ્મ વખતે પણ હોબાળો થયો હતો. એલ્વિસ અને બિટલ્સ પર પણ યૂથને કરપ્ટ કરવાના આરોપો થયા હતા. જોકે યંગસ્ટર્સે તેમને વધાવી લીધા હતા. દેલ્હી બેલી પણ યંગ લોકોને ખૂબ પસંદ પડી હતી.