-હડતાળ ને જલદ કાર્યક્રમોની ચીમકી -સરકારના મહેસૂલી વિભાગ દ્વારા નાયબ મામલતદારોની જિલ્લા બહાર પણ બદલી થઈ શકે તેવી પરપિત્રમાં જોગવાઈ
રાજ્ય સરકારના મહેસૂલી વિભાગ દ્વારા નાયબ મામલતદારોની જિલ્લા બહાર પણ બદલી થઈ શકશે એવા પરપિત્રના વિરોધમાં સૂર ઊઠ્યો છે. ખેડા જિલ્લાના નાયબ મામલતદારોએ બાંયો ચઢાવી છે અને આ સંદર્ભે તાબડતોડ ખેડા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળની એક બેઠક બોલાવી આ પરપિત્રનો વિરોધ કર્યો છે. આગામી દિવસોમાં રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા સુચના આપવામાં આવશે તે પ્રમાણે કાર્યક્રમો કરાશે. સાથે-સાથે જલદ કાર્યક્રમો અને હડતાળ કરવા સુધીના કાર્યક્રમો કરતાં પણ તેઓ ખચકાશે નહીં.
આ અંગેની વધુ માહિતી આપતાં ખેડા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના મહામંત્રી બી.પી.ગોસ્વામીએ જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારની મહેસૂલી વિભાગ ગાંધીનગર દ્વારા નાયબ મામલતદાર વર્ગ-૩ સંવર્ગને રાજ્યકક્ષાના સંવર્ગમાં લઈ જવા અંગેનો ઠરાવ કરેલો છે. આ અન્વયે નાયબ મામલતદારોની બદલી જિલ્લા બહાર પણ થવાની જોગવાઈ છે, તેવો મતલબ પણ આ પરપિત્રનો થાય છે. ખેડા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આ બાબતે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ખેડા જિલ્લાના જુદાં-જુદાં તાલુકાના નાયબ મામલતદારો પણ આ સામાન્ય સભામાં જોડાયા હતા. સભામાં પરપિત્રનો વિરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ રાજ્ય કર્મચારી મહેસૂલી મંડળ દ્વારા સુચનાઓ મળશે તે મુજબ આગળનું કાર્ય કરવામાં આવશે. ઠરાવના વિરોધમાં હડતાળ અને જલદ કાર્યક્રમો કરતાં પણ અમે ખચકાશું નહીં.’
અત્રે ઉલ્લેખનિય છે કે, એક તરફ વાજબી ભાવની દુકાનો પર બારકોડેડ રેશનકાર્ડ સંદર્ભે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ નાયબ મામલતદારોને જિલ્લા બહાર બદલી કરવાનો પરપિત્ર કરાતાં ભારે મુશ્કેલી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.